અધ્યાય ૦૧ - શ્લોક ૩૧

મૂળ શ્લોક: 

निमित्तानि च पश्यामि विपरीतानि केशव । न अच श्रेयोऽनुपश्यामि हत्वा स्वनजमाहवे ॥ ३१ ॥

શ્લોક ભાવાર્થ: 

હે કેશવ ! હું લક્ષણો - શકુનોને પણ વિપરીત જોઇ રહ્યો છું અને યુદ્ધમાં સ્વજનોને મારીને શ્રેય (લાભ) પણ નથી જોઇ રહ્યો.

સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 

'निमित्तानि च पश्यामि विपरीतानि केशव' - હે કેશવ ! હું શકુનોને [૧] પણ વિપરીત જ જોઇ રહ્યો છું. તાત્પર્ય એ છે કે કોઇ પણ કાર્યની શરૂઆતમાં મનમાં જેટલો વધારે ઉત્સાહ (હર્ષ) હોય છે, એ ઉત્સાહ તે કાર્યને એટલું જ સિદ્ધ કરનારો બને છે. પરંતુ કાર્યના આરંભમાં જ જો ઉત્સાહભંગ થઇ જવાય છે, મનમાં અયોગ્ય સંકલ્પવિકલ્પ ઊઠતા રહે છે, તો એ કાર્યનું પરિણામ સારું નથી આવતું. એ જ ભાવથી અર્જુન કહી રહ્યા છે કે અત્યારે મારા શરીરમાં અવયવો ઢીલા પડવા, ધ્રુજારી આવવી, મોઢું સુકાવું વગેરે જે લક્ષણો દેખાઈ રહ્યાં છે, તે વ્યક્તિગત શકુનો પણ યોગ્ય થઇ રહ્યા નથી. [૨] એ સિવાય આકાશમાંથી ઉલ્કાપાત થવો, કસમયે ગ્રહણ થવું, ધરતીકંપ થવો, પશુપક્ષીઓ દ્વારા ભયંકર બોલી બોલાવી, ચંદ્રમાના કાળા ધાબાં ન દેખાવાં, વાદળોમાંથી લોહીનો વરસાદ પડવો વગેરે જે શકુનો અગાઉ થયા છે, તે પણ બરાબર થયા નથી. આ રીતે હાલના અને અગાઉના એ બન્નેય શ્કુનો તરફ નજર નાખું છું, તો મને એ બન્નેય શકુનો વિપરીત અર્થાત્ ભાવિ અનિષ્ટના જ સૂચક જણાય છે.

'न च श्रेयोऽनुपश्यामि हत्वा स्वजनमाहवे' - યુદ્ધમાં પોતાના કુટુંબીઓને મારવાથી અમને કોઇ લાભ થશે - એવી વાત પણ નથી. આ યુદ્ધના ફળસ્વરૂપે અમારે માટે આ લોક અને પરલોક - બન્નેય ભલું કરનારા બને એમ જણાતું નથી. કારણ કે જે પોતાના કુળનો નાશ કરે છે, તે અત્યંત પાપી હોય છે. આથી કુળનો નાશ કરવાથી અમને પાપ જ લાગશે, જેને પરિણામે અમારે નરકમાં જવું પડશે.

આ શ્લોકમાં 'निमित्तनि पश्यामि' - અને 'श्रेयः अनुपश्यामि' [૩] - આ બે વાક્યોથી અર્જુન એ કહેવા માગે છે કે હું શકુનો જોઉ અથવા જાતે વિચાર કરું, બન્નેય રીતે યુદ્ધનો આરંભ અને તેનું પરિણામ અમારે માટે તેમ જ સંસારમાત્રને માટે હિતકારક નથી જણાતું.


[૧] - જેટલા પણ શકુનો થાય છે, તે કોઇ સારી કે ખરાબ ઘટના બનવામાં નિમિત્ત થતા નથી અર્થાત્ એ કોઇ ઘટનાના નિર્માતા નથી હોતા, પરંતુ ભાવિ ઘટનાના સંકેતો આપનારા હોય છે. શકુન બતાવવાવાળાં પ્રાણી વાસ્તવમાં શકુનોને બતાવતાં નથી; પરંતુ એમની સ્વાભાવિક ચેષ્ટાથી શકુનો સૂચિત થાય છે.

[૨] - જોકે અર્જુન શરીરમાં થનારા લક્ષણોને પણ શકુન માની રહ્યા છે, તેમ છતાં વાસ્તવમાં એ શકુનો નથી. એ તો શોકને કારણે ઇંદ્રિયો, શરીર, મન અને બુદ્ધિમાં થનાર વિકારો છે.

[૩]  - અહીં 'पश्यामि' ક્રિયા ભૂતકાળના અને વર્તમાનકાળના શકુનોની બાબતમાં અને 'अनुपश्यामि' ક્રિયા ભવિષ્યના પરિણામની બાબતમાં આવી છે.

શ્લોક માહિતી: 

સંબંધ - અગાઉના શ્લોકમાં પોતાના શરીરના શોકથી ઉત્પન્ન થયેલા આઠ ચિન્હોનું વર્ણન કરીને હવે અર્જુન ભાવિ પરિણામને દર્શાવનારા શકુનોની દ્રષ્ટિએ યુદ્ધ કરવું એ અયોગ્ય છે એમ દર્શાવે છે.