બ્રહ્મની પ્રકૃતિ - સ્વામી શિવાનન્દ

અનંત, નિરાકાર, નિર્ગુણ, નિર્વિશેષ, અદૃષ્ટ વગેરે બધા બ્રહ્માના અભાવાત્મક ગુણ છે. સચ્ચિદાનંદ, સત્ય, શાંત, જ્ઞાન વગેરે એમના ભાવાત્મક ગુણ છે.
 
ઈશાવાસ્ય ઉપનિષદમાં આત્માના ગુણોનું આમ વર્ણન કરવામાં આવ્યું છે "આત્મા સર્વવ્યાપી, તેજસ્વી, અકાય, અવ્રણ, સ્નાયુ રહિત, શુદ્ધ, અપાપહત, સર્વ દ્રષ્ટા, સર્વજ્ઞ, સર્વોત્કૃષ્ટ અને સ્વયંભૂ છે. એણે જ નિત્ય-સિદ્ધ પ્રજાપતિઓના માટે યથાયોગ્ય રીતે કર્તવ્યોનો વિભાગ કર્યો છે." (મંત્ર ૮)
 
સાકાર પદાર્થોની જ ઉત્પત્તિ અને નાશ થઈ શકે છે. બ્રહ્મ કે ચૈતન્ય નિરાકાર છે, એની ઉત્પત્તિ અને નાશ માનવું એ મૂર્ખતા છે. બ્રહ્મ નિરાકાર છે, શુદ્ધ ચૈતન્ય છે.
 
કોઈ પણ નાના બાળકને નિમ્નાંકિત પ્રશ્ન પૂછો. તે આત્માના અવિનાશિત્વનો પ્રતિપાદક સાચો ઉત્તર આપશે.
"કેમ ભાઈ, તમારું નામ શું છે?" "મારું નામ રામ છે" "આ નામ તારું છે કે આ જે શરીર છે તેનું છું?" તો તે કહેશે "આ નામ તો આ શરીરનું છે." "આ ટોપી કોની છે?" બાળક રામ કહે "મારી!" "જો આ ટોપી નષ્ટ થઈ જાય, તો શું તું પણ વિનાશને પ્રાપ્ત થશે?" રામ કહે "નહિ" "શરીરનો અંત થઈ જાય, તો શું તારો પણ સંત થઈ જશે?" રામ કહે "નહિ, હું તો અમર આત્મા છું..."
 
"सत्यं ज्ञानं अनन्तं ब्रह्म" (તૅત્તિરીય ઉપનિષદ ૨/૧). વેદાન્તી લોક ઘણીવાર આનું ઉદ્ધરણ (ગ્રંથના કોઇ ભાગમાંથી ઉદાહરણ) આપે છે.
 
આ ધરતી પર એ અસીમ, અવ્યક્ત બ્રહ્મના ચાર પ્રતીક છે - હિમાલય, સાગર, વિશાળ આકાશ અને સૂર્ય.
 
શ્રુતિઓએ બ્રહ્મની પ્રકૃતિના વિષયમાં ભાર આપીને કહ્યું છે "आकाशवत् सर्वगत नित्य।" આકાશની જેમ તે નિત્ય અને વિભુ (સર્વવ્યાપી) છે. આકાશ અને સાગર આ બન્ને કેમ કે અસીમ છે, તેથી સૂક્ષ્મ છે, વિભુ છે અને નિરાધાર છે. બ્રહ્મ પણ સૂક્ષ્મ છે, વિભુ છે અને નિરાલંબ છે. આ છે આકાશ અને બ્રહ્મમાં સામ્ય.
 
હસવું, ગાવું, નાચવું - આ બધા આનંદના લક્ષણ છે. આથી સંકેત મળે છે કે મનુષ્ય વાસ્તવમાં આનંદ રૂપ છે. આથી જાણવા મળે છે કે આનંદ આત્માનો ગુણ છે અર્થાત્ આ સિદ્ધિ થાય છે કે બ્રહ્મ આનંદઘન (આનંદ સ્વરૂપ) છે.
 
બ્રહ્મ ચિદ્ધન (જ્ઞાન-વિજ્ઞાન સ્વરૂપ) છે, પ્રજ્ઞાઘન (બુદ્ધિ સ્વરૂપ) છે. એમાં બીજી કોઈ વિશેષતા નથી. એમાં કોઈ પણ ભેદ નથી. બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું છે "મીઠામાં કોઈ અંદર-બહારનો ભેદ નથી. સર્વત્ર એક જ સ્વાદ છે. તે જ પ્રકારે આત્માનો પણ કોઈ અંદર-બહાર ભેદ નથી; તે વિજ્ઞાનઘન છે." (૪/૧૩) જેમ કે મીઠું સર્વત્ર (ધરતીના કોઈ પણ છેડે પકવેલું હોય, તેનો) એક જ સ્વાદ હોય છે, તે જ પ્રકારે બ્રહ્મ અંતર-બાહ્ય સર્વત્ર શુદ્ધ જ્ઞાનમય છે. આ અંદર અને બહારનો ભેદ માનસિક છે. જ્યારે મન મૌનમાં લીન થાય છે, ત્યારે અંદર-બહારનો ભેદ મટી જાય છે. યોગી ત્યારે અસીમ અને એક માત્ર શુદ્ધ ચેતન-પુંજનો અનુભવ કરે છે.
 
પાણીનું ધરાતલ વિસ્તૃત હોય છે, તો એમાં પ્રતિબિંમ્બિત સૂર્ય પ્રકાશ પણ વિસ્તૃત હોય છે. પાણીનું ધરાતલ સંકીર્ણ હોય છે, તો સૂર્ય પ્રકાશ પણ સંકુચિત હોય છે. પાણી હલે છે તો પ્રકાશ પણ હલે છે. પાણી બે ભાગોમાં વહેંચાય છે તો પ્રકાશ પણ બે ભાગોમાં વહેંચાય છે. પાણીના દરેક પ્રકારના પરિવર્તન સાથે પ્રકાશ પણ પરિવર્તન પામે છે, જ્યારે સૂર્ય તો એક અને સ્થિર છે !! આ પ્રકારે બ્રહ્મ સ્વયં એક સમાન અને સ્થિર હોવા છતાં પણ જે ઉપાધિઓમાં, શરીર, મન વગેરેમાં, જે ગુણધર્મો હોય છે, તે અનુસાર સ્વયં પણ પ્રતિભાસિત થાય છે. જો કે બધા ગુણધર્મો મિથ્યા છે, તો પણ એવું પ્રતીત થાય છે કે માનો એ પોતાના જ ગુણધર્મ છે.
 
બ્રહ્મમાં દ્વૈત નથી. એમાં અંદર-બહાર કઈ નથી. તે એક છે, સમાન છે, અવિભક્ત છે, અમર તત્ત્વ છે. તે જાગૃતિ, સ્વપ્ન અને સુષુપ્તિ રૂપ અવસ્થાત્રયથી (ત્રણ અવસ્થાઓ – જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિથી) વિમુક્ત છે. તે નિરાકાર છે. તે અણુથી પણ અણુતર છે, સૂક્ષ્મતમથી પણ સૂક્ષ્મ છે. સારા-ખરાબથી શ્રેષ્ઠ, શાંત, નિત્ય અને નિર્વિકાર છે, ગતિ અને જડતાથી મુક્ત છે, દેશાતીત છે, નિષ્કલંક અને પરિપૂર્ણ છે. સત્ અને અસત્ થી પણ શ્રેષ્ઠ છે.
 
બ્રહ્મ એની શાંતિથી પૂર્ણ છે. તે મૃત્યુ રહિત છે. મૃત્યુનો અર્થ છે શરીરમાંથી પ્રાણવાયુનું વિઘટન. આ જીવ માટે જ સંભવ છે; કારણ કે તે પ્રાણવાયુ સહિત છે. જ્યારે બ્રહ્મ કે આત્મ-સ્થિતિનું પ્રાણવાયુ સાથે કોઈ સંબંધ જ નથી, તો પછી મૃત્યુને સંભાવના કેવી રીતે? શ્રુતિ કહે છે "બ્રહ્મ પ્રાણવિહીન છે, ચિત-હીન છે, શુદ્ધ છે."
 
આત્માનું કર્મ સાથે કોઈ સંબંધ નથી. આત્મા કોઈ કાર્ય કે પરિણામ નથી. તે કોઈ પ્રાપ્તવ્ય કે શોધનીય પદાર્થ નથી. તે કર્તા કે ભોક્તા નથી. તે સર્વદા મૌન સાક્ષી છે.
 
આંખ એને જોઇ નથી શકતી. મન એનાં સુધી પહોંચી નથી શકતું. પ્રાપંચિક સ્થૂલ બુદ્ધિ એને ગ્રહણ નથી કરી શકતી. વાણી એનું વર્ણન નથી કરી શકતી. વાણી, જો કે કઈ પણ નથી કહી શકતી, કહેવા યોગ્ય શબ્દ જ નથી, તેથી મનની સાથે જ પાછી ફરે છે. ઋષિ કહે છે "એનાં સંબંધમાં કઈ પણ કહેવામાં અમે અસમર્થ છે. અમે ચકિત છીએ. એની મહિમા અનિર્વચનીય છે. એના વિષયમાં કઈ પણ કહેવાનો અર્થ છે એનો નિષેધ કરવો."
 
શું સીમિત મન અસીમને ગ્રહણ કરી શકે છે? પરંતુ જે સાધક સાધન-ચતુષ્ટ્યથી સંપન્ન છે, જે નિરંતર ધ્યાનમાં સ્થિત છે, જેની પ્રજ્ઞા તીક્ષ્ણ, સૂક્ષ્મ અને શુદ્ધ છે, તે બ્રહ્મને પ્રત્યક્ષ અનુભવ કરી શકે છે.
 
- પરમ શ્રદ્ધેય શ્રી સ્વામી શિવાનન્દજી મહારાજ
હિંદી અનુવાદક - શ્રી સ્વામી વિષ્ણુશરણાનન્દ સરસ્વતી 
(સનાતન જાગૃતિ દ્વારા ગુજરાતી અનુવાદ)
 
======== * ========