સાધક સંજીવની - શ્રી મદ્‌ ભગવદ્‍ ગીતા

Book Author: 
સ્વામી રામસુખદાસ

This is an excellent commentary on Gita by Swamiji. Most revered Swami Ramsukhdasji has searched out many secret and valuable jewels of spiritual ideas from this unfathomable sea of Bhagavadgita and has very kindly given for the welfare of householders and the public at large studying which they may easily attain highest bliss. Revered Swamiji has written this commentary not for profounding any philosophical view-point or for show of his erudition but he has made this fine endeavour for the spiritual benefit of the practising strivers. This commentary is available in different sizes, languages, and in attractive various forms proved itself as a Guru just like a true guide.

સાધક સંજીવની - શ્રી મદ્‌ ભગવદ્‍ ગીતા

નમ્ર નિવેદન

વિશ્વ સાહિત્યમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનું અદ્વિતીય સ્થાન છે. એ સાક્ષાત ભગવાનના શ્રીમુખથી નીકળેલી પરમ રહસ્યમયી દિવ્ય વાણી છે. એમાં સ્વયં ભગવાને અર્જુનને નિમિત્ત બનાવીને મનુષ્યમાત્રના કલ્યાણને માટે ઉપદેશ આપ્યો છે. આ નાનકડા ગ્રંથમાં ભગવાને પોતાના હ્રદયના બહુ જ વિલક્ષણ ભાવો ભરી દીધા છે, જેમનો આજ સુધી કોઇ પાર નથી પામી શક્યું અને ન પામી શકે છે.

અમારા પરમશ્રદ્ધેય સ્વામીજી શ્રીરામસુખદાસજી મહારાજે આ અગાધ ગીતાસાગરમાં ઊંડા ઊતરીને અનેક ગુહ્યતમ અમૂલ્ય રત્નો શોધી કાઢ્યાં છે, જેમને એમણે આ “સાધક સંજીવની” ટીકાના માધ્યમથી સાધકોના કલ્યાણાર્થે ઉદાર હ્રદયથી વિતરિત કર્યાં છે. ગીતાની આ ટીકા અમને અમારી ધારણા પ્રમાણે બીજી ટીકાઓની અપેક્ષાએ બહુ જ વિલક્ષણ પ્રતીત થાય છે. અમારું ગીતાની બીજી બધી ટીકાઓનું એટલું અધ્યયન નથી, તોપણ આ ટીકામાં અમને અનેક શ્લોકોના ભાવ નવા અને વિલક્ષણ લાગ્યા. જેમકે – પહેલા અધ્યાયનો 10મો, 19મો, 22મો અને 25મો શ્લોક; બીજા અધ્યાયનો 39મો અને 40મો શ્લોક; ત્રીજા અધ્યાયનો 3જો, 10મો, 12મો, 13મો, અને 43મો શ્લોક; ચોથા અધ્યાયનો 18મો અને 38મો શ્લોક; પાંચમા અધ્યાયનો 13મો અને 14મો શ્લોક; છઠ્ઠા અધ્યાયનો 20મો અને 38મો શ્લોક; સાતમા અધ્યાયનો 5મો અને 19મો શ્લોક; આઠમા અધ્યાયનો 6ઠ્ઠો શ્લોક; નવમા અધ્યાયનો 3જો અને 31મો શ્લોક; દસમા અધ્યાયનો 41મો શ્લોક; અગિયારમા અધ્યાયનો 26મો, 27મો, 45મો અને 46મો શ્લોક; બારમા અધ્યાયનો 12મો શ્લોક; તેરમા અધ્યાયનો 1લો, 19મો, 20મો, અને 21મો શ્લોક; ચૌદમા અધ્યાયનો 3જો, 12મો, 17મો અને 22મો શ્લોક; પંદરમા અધ્યાયનો 7મો અને 11મો શ્લોક; સોળમા અધ્યાયનો 5મો અને 20મો શ્લોક; સત્તરમા અધ્યાયનો 7મો, 8મો, 9મો અને 10મો શ્લોક; અઢારમા અધ્યાયનો 37મો અને 73મો શ્લોક વગેરે વગેરે. જો વાચક ગંભીરતાથી અધ્યયન કરે તો તેને બીજા પણ કેટલાય શ્લોકોમાં આંશિક નવાનવા ભાવો મળી શકે છે.

વર્તમાન સમયમાં સાધનનું તત્વ સરળતાપૂર્વક બતાવવાવાળા ગ્રંથોનો ઘણું કરીને અભાવ જેવું જણાય છે, જેથી સાધકોને સાચા માર્ગદર્શન વિના ઘણી જ મુશ્કેલી પડે છે. એવી સ્થિતિમાં પરમાત્મપ્રાપ્તિના અનેક સરળ ઉપાયોથી યુક્ત, સાધકોને ઉપયોગી એવી અનેક વિશષ અને માર્મિક વાતોથી અલંકૃત થયેલ તથા બહુ જ સરળ અને સુબોધ ભાષાશૈલીમાં લખાયેલ પ્રસ્તુત ગ્રંથનું પ્રકાશન અત્યંત મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.

પરમશ્રદ્ધેય સ્વામીજીએ ગીતાની આ ટીકા કોઇ દાર્શનિક વિચારની દ્રષ્ટિએ અથવા પોતાની વિદ્વતાનું પ્રદર્શન કરવા માટે નથી લખી, પરંતુ સાધકોનું હિત કેવી રીતે થાય – એ દ્રષ્ટિએ લખી છે. પરમશાંતિની પ્રાપ્તિ ઇચ્છવાવાળા પ્રત્યેક સાધકને માટે, ચાહે તે કોઇ પણ દેશ, વેશ, ભાષા, મત, સંપ્રદાય વગેરેનો કેમ ન હોય, આ ટીકા મરેલાને સંજીવની બુટ્ટીની સમાન છે. આ ટીકાનું અધ્યયન કરવાથી હિન્દુ, બૌદ્ધ, જૈન, પારસી, મુસલમાન વગેરે બધા જ ધર્મોના અનુયાયીઓને પોતપોતાના મત અનુસાર જ ઉદ્ધારના ઉપાયો મળી જશે. આ ટીકામાં સાધકોને પોતાના ઉદ્દેશ્યની સિદ્ધિને માટે પૂરી સામગ્રી મળશે.

પરમશાંતિની પ્રાપ્તિનાં ઇચ્છુક સઘળાં ભાઇબહેનોને વિનમ્ર નિવેદન છે કે તેઓ આ ગ્રંથરત્નને અવશ્ય જ મનોયોગ્યપૂર્વક વાંચે, સમજે અને યથાસાધ્ય આચરણમાં મૂકવાનો પ્રયત્ન કરે.

શ્રીમદ્ ભગવદ્ ગીતાની “સાધક સંજીવની” ટીકા સર્વ પ્રથમ સંવત 2042માં હિન્દી ભાષામાં પ્રકાશિત કરી હતી. પ્રમશ્રદ્ધેય સ્વામીજીએ તેમાં આવશ્યક સંશોધન (પરિવર્તન અને પરિવર્ધન) કરીને ગ્રંથને વધુ પરિષ્કૃત બનાવી દીધો છે. અત્યાર સુધીમાં તેનું નવ વાર પુનર્મુદ્રણ થયું છે (હાલમાં સંવત ૨૦૪૮ છે) – એ જ તેના સ્વીકારનો વાજબી માપદંડ છે. ગીતાપ્રેસની ગીતાનો ગુજરાતીમાં સારો પ્રચાર થયો છે. ગુજરાતીની જનેતા હિન્દી ટીકાનું ગુજરાતી ભાષાંતર વધુ આવકારાશે એ દ્રષ્ટિએ સંશોધિત આવૃતિનો આ ગુજરાતી અનુવાદ પ્રકાશિત કર્યો છે. આશા છે કે ગુજરાતી ભાવુકો આ ટીકાને સમજવા અને સમજાવવા પ્રયત્ન કરી એનો મહત્તમ લાભ લેશે.
 
ગીતા જયંતી, સંવત 2049
- પ્રકાશક ગોવિંદભવન કાર્યાલય, ગીતાપ્રસ, ગોરખપુર

ગીતાનો મહિમા

बशीधरं तोत्त्रधरं नमामि मनोहरं मोहहरं च कृष्णम् ।
मालाधरं धर्मधुरन्धरं च पार्थस्य सारथ्यकरं च देवम् ॥
कर्तव्यदीक्षां च समत्वशिक्षां ज्ञानस्य भिक्षां शरणागतिं च ।
ददाति गीता करूणार्द्रभूता कृष्णेन गीता जगतो हिताय ॥
संजीवनी साधकजीवनीयं प्राप्तिं हरेर्वै सरलं ब्रवीति ।
करोति दूरं पाथिविध्नवाधा ददाति शीघ्रं परमात्मसिद्धिम् ॥
 
ગીતાનો મહિમા
શ્રીમદ્ ભગવદ્ ગીતાનો મહિમા અગાધ અને અસીમ છે. આ ભગવદ્ ગીતા ગ્રંથ પ્રસ્થાનત્રયમાંનો માનવામાં આવે છે. મનુષ્યમાત્રના ઉદ્ધારને માટે ત્રણ રાજમાર્ગો ‘પ્રસ્થાનત્રય’ ના નામથી ઓળખવામાં આવે છે – એક વૈદિક પ્રસ્થાન છે, જેને ‘ઉપનિષદ્’ કહે છે; એક દાર્શનિક પ્રસ્થાન છે, જેને ‘બ્રહ્મસૂત્ર’ કહે છે અને એક સ્માર્ત પ્રસ્થાન છે, જેને ‘ભગવદ્ ગીતા’ કહે છે. ઉપનિષદોમાં મંત્ર છે, બ્રહ્મસૂત્રમાં સૂત્ર છે અને ભગવદ્ ગીતામાં શ્લોક છે. ભગવદ્ ગીતામાં શ્કોલો હોવા છતાં પણ ભગવાનની વાણી હોવાથી એ મંત્રો જ છે. આ શ્લોકોમાં બહુ જ ઉંડા અર્થ ભરેલા હોવાથી એમને સૂત્રો પણ કહી શકાય છે. ‘ઉપનિષદ્’ અધિકારી મનુષ્યોના કામની ચીજ છે અને ‘બ્રહ્મસૂત્ર’ વિદ્વાનોના કામની ચીજ છે; પરંતુ ‘ભગવદ્ ગીતા’ બધાયના કામની ચીજ છે.
 
ભગવદ્ ગીતા એક બહુ જ અલૌકિક અને વિલક્ષણ ગ્રંથ છે. એમાં સાધકને માટે ઉપયોગી સઘળી સામગ્રી મળે જે ચાહે તે કોઇ પણ દેશની, કોઇ પણ વેશની, કોઇ પણ સમુદાય, કોઇ પણ સંપ્રદાયની, કોઇ પણ વર્ણની, કે કોઇ પણ આશ્રમની કોઇ પણ વ્યક્તિ કેમ ન હોય. એનું કારણ એ છે કે એમાં કોઇ સમુદાયવિશેષની નિંદા કે પ્રશંસા નથી, પરંતુ વાસ્તવિક તત્વનું જ વર્ણન છે. વાસ્તવિક તત્વ (પરમાત્મા) એ છે, જે પરિવર્તનશીલ પ્રકૃતિ અને પ્રકૃતિજન્ય પદાર્થોથી સર્વથા અતીત અને સકળ દેશ, કાળ, વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ વગેરેમાં નિત્યનિરંતર એકરસ-એકરૂપ રહેવાવાળું છે. જે મનુષ્ય જ્યાં છે અને જેવો છે, વાસ્તવિક તત્વ ત્યાં તેવું જ પૂર્ણરૂપે વિદ્યમાન છે. પરંતુ પરિવર્તનશીલ પ્રકૃતિજન્ય વસ્તુઓ અને વ્યક્તિઓમાં રાગદ્વેષરહિત થતાં તેનો આપોઆપ અનુભવ થઇ જાય છે.
 
ભગવદ્ ગીતાનો ઉપદેશ મહાન અલૌકિક છે. એના ઉપર કેટલીય ટીકઓ થઇ ગઇ અને કેટલીય થતી જ રહી છે, છતાં પણ સંતમહાત્માઓ અને વિદ્વાનોના મનમાં ગીતાના નવાનવા ભાવો પ્રગટ થતા રહે છે. આ ગંભીર ગ્રંથ ઉપર ગમે તેટલો વિચાર કરવામાં આવે, તોપણ એનો કોઇ પાર નથી પામી શક્તું. એમાં જેમજેમ ઊંડા ઊતરતા જઇએ છીએ, તેમ ને તેમ એમાંથી ઊંડી વાતો મલતી જાય છે. જો એક સારા વિદ્વાન પુરુષના ભાવોનો પણ જલદી અંત નથી આવતો, તો પછી જેમનું નામ, રૂપ વગેરે યાવન્માત્ર અનંત છે, એવા ભગવાન દ્વારા કહેવાયેલાં વચનોમાં ભરેલા ભાવોનો અંત આવી જ કેવી રીતે શકે?
 
આ નાનકડા ગ્રંથમાં એટલી વિલક્ષણતા છે કે પોતાનું વાસ્તવિક કલ્યાણ ઇચ્છવાવાળો કોઇ પણ વર્ણ, આશ્રમ, દેશ, સંપ્રદાય, મત વગેરેનો કોઇ પણ મનુષ્ય કેમ ના હોય, આ ગ્રંથને વાંચતાં જ તેનાથી આકર્ષાઇ જાય છે. જો મનુષ્ય આ ગ્રંથનું થોડુંક પણ પઠનપાઠન કરે તો એને એમાંથી પોતાના ઉદ્ધારને માટેનો બહુ જ સંતોષજનક ઉપાય મળે છે. પ્રત્યેક દર્શનના અલગ-અલગ અધિકારી હોય છે, પણ ગીતાની એ વિલક્ષણતા છે કે પોતાનો ઉદ્ધાર ઇચ્છવાવાળા સઘળેસઘળા એના અધિકારી છે.
 
ભગવદ્ ગીતામાં સાધનોનું વર્ણન કરવામાં, વિસ્તારપૂર્વક સમજાવવામાં અને પ્રત્યેક સાધનને અનેક વાર કહેવામાં સંકોચ નથી કરવામાં આવ્યો, છતાં પણ ગ્રંથનું કદ નથી વધ્યું. આવો સંક્ષેપમાં વિસ્તૃત, યથાર્થ અને સઘળી વાત બતાવવાવાળો બીજો કોઇ ગ્રંથ નથી જોવા મળતો. પોતાના કલ્યાણની ઉત્કટ અભિલાષાવાળો મનુષ્ય દરેક પરિસ્થિતિમાં પરમાત્મતત્વને પ્રાપ્ત કરી શકે છે; યુદ્ધ જેવી ઘોર પરિસ્થિતિમાં પણ પોતાનું કલ્યાણ કરી શકે છે – આ રીતે વ્યવહારમાત્રમાં પરમાર્થની કલા ગીતામાં શીખવવામાં આવે છે. આથી એની બરોબરીનો બીજો કોઇ ગ્રંથ જોવામાં નથી આવતો.
 
ગીતા એક પ્રાસાદિક ગ્રંથ છે. એનો આશ્રય લઇને પાઠ કરવા માત્રથી ઘણા વિચિત્ર, અલૌકિક અને શાંતિદાયક ભાવો સ્ફુરિત થાય છે. એનો મન દઇને પાઠ કરવા માત્રથી ઘણી જ શાંતિ મળે છે. અને એક વિધિ એવી છે કે પહેલાં ગીતાનો આખો શ્લોક અર્થસહિત કંઠસ્થ કરી લેવામાં આવે, પછી એકાંતમાં બેસીને ગીતાના અંતિમ શ્લોક ‘यत्र योगेश्वरः कृष्ण...’ – અહીંથી લઇને ગીતાના પહેલા શ્લોક ‘धर्मक्षेत्रे कुरुक्षेत्रे...’ – અહીં સુધી પુસ્તક વિના ઊલતો પાઠ કરવામાં આવે તો ઘણી શાંતિ મળે છે. જો દરરોજ આખી ગીતાનો એક કે અનેક વખત પાઠ કરવામાં આવે તો એનાથી ગીતાના વિશેષ અર્થો સ્ફુરિત થાય છે. મનમાં કોઇ શંકા થાય તો પાઠ કરતાંકરતાં એનું સમાધાન થઇ જાય છે.
 
વાસ્તવમાં આ ગ્રંથના મહિમાનું વર્ણન કરવામાં કોઇ પણ સમર્થ નથી. અનંત મહિમાશાળી ગ્રંથના મહિમાનું વર્ણન કરી જ કોણ શકે છે?

ગીતાનું ખાસ લક્ષ્ય

ગીતા કોઇ વાદને લઇને નથી ચાલી અર્થાત્ દ્વૈત, અદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, દ્વૈતાદ્વૈત, વિશુદ્ધદ્વૈત, અચિંત્યભેદાભેદ વગેરે કોઇ પણ વાદને, કોઇ એક સંપ્રદાયના કોઇ એક સિદ્ધાંતને લઇને નથી ચાલી. ગીતાનું મુખ્ય લક્ષ્ય એ છે કે મનુષ્ય કોઇ પણ વાદ, મત કે સિદ્ધાંતને માનવા વાળો કેમ ન હોય, તેનું પ્રત્યેક પરિસ્થિતિમાં કલ્યાણ થઇ જાય, તે કોઇ પણ પરિસ્થિતિમાં પરમાત્મપ્રાપ્તિથી વંચિત ન રહે, કેમકે જીવમાત્રનો મનુષ્ય યોનીમાં જન્મ કેવળ પોતાના કલ્યાણ માટે જ થયો છે. સંસારમાં એવી કોઇ પણ પરિસ્થિતિ નથી, જેમાં મનુષ્યનું કલ્યાણ ન થઇ શકતું હોય. કારણ કે પરમાત્મતત્વ પ્રત્યેક પરિસ્થિતિમાં સમાન રૂપે વિદ્યમાન છે. આથી સાધકની સામે કોઇ પણ અને ગમે તેવી પરિસ્થિતિ આવે, તેનો કેવળ સદુપયોગ કરવાનો છે. સદુપયોગ કરવાનો અર્થ છે – દુઃખદાયી પરિસ્થિતિ આવતાં સુખની ઇચ્છાનો ત્યાગ કરવો; અને સુખદાયી પરિસ્થિતિ આવતા સુખ ભોગની તથા ‘એવું થઇ રહે’ એવી ઇચ્છાનો ત્યાગ કરવો અને તેને બીજાઓની સેવામાં જોરતવી. આ રીતનો સદુપયોગ કરવાથી મનુષ્ય દુઃખદાયી અને સુખદાયી – બન્ને પરિસ્થિતિઓથી પર થઇ જાય છે અર્થાત તેનું કલ્યાણ થઇ જાય છે.
 
સૃષ્ટિની પૂર્વે પરમાત્મામાં ‘હું એક જ અનેક રૂપોમાં થઇ જાઉં’ એવો સંકલ્પ થયો. આ સંકલ્પથી એક જ પરમાત્મા પ્રેમવૃદ્ધિની લીલાને માટે, પ્રેમનું આદાનપ્રદાન કરવા માટે જ શ્રીકૃષ્ણ અને શ્રીજી (શ્રીરાધા) – આ બે રૂપોમાં પ્રગટ થઇ ગયા. એ બન્નેએ પરસ્પર લીલા કરવા માટે એક રમત આદરી. એ રમતને માટે પ્રભુના સંકલ્પથી અનંત જીવોની (કે જે અનાદિકાળથી હતા) અને રમતના પદાર્થો (શરીર વગેરે) ની સૃષ્ટિ થઇ. રમત ત્યારે જ થાય છે, જ્યારે બન્ને તરફના રમનારાઓ સ્વતંત્ર હોય. એટલા માટે ભગવાને જીવોને સ્વતંત્રતા પ્રદાન કરી. આ રમતમાં શ્રીજીનું કેવળ ભગવાનની તરફ જ આકર્ષ્ણ રહ્યું, રમતમાં એમનાથી ભુલ ના થઇ. આથી શ્રીજી અને ભગવાનમાં પ્રેમવૃદ્ધિની લીલા થઇ. પરંતુ બીજા જેટલા જીવો હતા, એ બધાએ ભુલથી સંયોગજન્ય સુખને માટે રમતના પદાર્થો (ઉત્પત્તિવિનાશશીલ પ્રકૃતિજન્ય પદાર્થો) ની સાથે પોતાનો સંબંધ માની લીધો, જેથી જન્મ મરણના ચક્કરમાં પડી ગયા !
 
રમતના પદાર્થો કેવળ રમતને માટે જ હોય છે, કોઇના વ્યક્તિગત નથી હોતા. પરતું એ જીવો રમત રમવાની તો ભૂલી જ ગયા અને મળેલી સ્વતંત્રતાનો દુરુપયોગ કરીને રમતના પદાર્થોને અર્થાત્ શરીર વગેરેને વ્યક્તિગત માનવા લાગી ગયા. આથી તેઓ એ પદાર્થોમાં ફસાઇ ગયા અને ભગવાનની સર્વથા વિમુખ થઇ ગયા. હવે જો એ જીવો શરીર વગેરે ઉત્પત્તિવિનાશશીલ પદાર્થોથી વિમુખ થઇને ભગવાનની સન્મુખ થઇ જાય, તો તેઓ જન્મમરણ રૂપી મહાન દુઃખથી સદાને માટે છૂટી જાય. આથી જીવો સંસારથી વિમુખ થઇને ભગવાનની સન્મુખ થઇ જાય અને ભગવાનની સાથેના પોતાના નિત્ય યોગ (નિત્ય સંબંધ) પિછાણી લે – એટલા જ માટે ભગવદ્ ગીતાનો અવતાર થયો છે.

ગીતાનો યોગ

ગીતામાં ‘યોગ’ શબદના ઘણા વિચિત્રવિચિત્ર અર્થો છે. એમના આપણે ત્રણ વિભાગ કરી શકીએ છીએ –
(૧) ‘युजिर् योगे’ ધાતુથી બનેલો ‘योग’ શબ્દ, જેનો અર્થ છે – સમરૂપ પરમાત્માની સાથે નિત્ય સંબંધ; જેમકે ‘समत्वं योग उच्चते’ (અ. ૨/૪૮) વગેરે માં આજ અર્થ મુખ્યતવે આવ્યો છે.
(૨) ‘युज् समाधौ’ ધાતુથી બનેલો ‘योग’ શબ્દ, જેનો અર્થ છે – ચિત્તની સ્થિરતા અર્થાત્ સમાધિમાં સ્થિતિ; જેમકે ‘यत्रोपरमते चितं निरुद्धं योगसेवया’ (અ. ૬/૨૦) વગેરે.
(૩) ‘युज् संयमने’ ધાતુથી બનેલો ‘योग’ શબ્દ, જેનો અર્થ છે – સંયમન, સામર્થ્ય, પ્રભાવ; જેમકે ‘पश्य मे योगमैश्वरम्’ (અ. ૯/૫) વગેરે.
ગીતામાં જ્યાં ક્યાંય ‘योग’ શબ્દ આવ્યો છે. જેમાં ઉપર્યુક્ત ત્રણેમાંથી એક અર્થની પ્રધાનતા અને બાકીના બે અર્થથી ગૌણતા છે; જેમકે – ‘युजिर् योगे’ વાળા ‘योग’ શબ્દમાં સમતા (સંબંધ) ની પ્રધાનતા છે, પરંતુ સમતા આવતા સ્થિરતા અને સામર્થ્ય(સંદર્ભ) પણ આપો આપ આવી જાય છે. ‘युज् समाधौ’ વાળા ‘योग’ શબ્દમાં સ્થિરતાની પ્રધાનતા છે, પરંતુ સ્થિરતા આવતા સમતા અને સામર્થ્ય પણ આપો આપ આવી જાય છે. ‘युज् संयमने’ વાળા ‘योग’ શબ્દમાં સામર્થ્યની પ્રધાનતા છે, પરંતુ સામર્થ્ય આવતા સમતા અને સ્થિરતા પણ આપો આપ આવી જાય છે. આથી ગીતાનો ‘योग’ શબ્દ ઘણો વ્યાપક અને ગંભીર અર્થવાળો છે. પણ આપો આપ આવી જાય છે.

(સંદર્ભ) ભગવાનમાં સંસારમાત્રની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય વગેરેનું જે સામર્થ્ય છે, તે સામર્થ્ય યોગીમાં નથી આવતું – ‘जगद्व्यापारवर्जम्’ (બ્રહ્મસૂત્ર ૪/૪/૧૭). યોગીમાં જે સામર્થ્ય આવે છે, તેનાથી તે સંસારમાત્ર ઉપર વિજય પ્રાપ્ત પરી લે છે (ગીતા અ. ૫/૧૯) અર્થાત્ કોઇ પણ અનુકૂળપ્રતિકૂળ પરિસ્થિતિ આવે તોપણ તેના ઉપર કોઇ અસર નથી પડતી.

પાતંજલયોગદર્શનમાં ચિત્તવૃતિઓના નિરોધને, ‘योग’ નામથી કહેવામાં આવ્યો છે – ‘योगश्चितवृतिनिरोधः’ (યો.સૂ. ૧/૨) અને એ યોગનું પરિણામ બતાવ્યું છે – દ્રષ્ટાની સ્વરૂપમાં સ્થિતિ થઇ જવી – ‘तदा द्रष्टुः स्वरोपेङवस्थानम्’ (યો.સૂ. ૧/૩). આ રીતે પાતંજલયોગદર્શનમાં યોગનું જે પરિણામ બતાવવામાં આવ્યું છે, અને એને જ ગીતામાં ‘योग’ નામથી કહેવામાં આવ્યું છે (અ. ૨/૪૮, અ. ૬/૨૩). તાત્પર્ય એ છે કે ગીતા ચિત્તવૃતિઓથી સર્વથા સંબંધવિચ્છેદપૂર્વક સ્વતઃસિદ્ધ સમસ્વરૂપમાં થવાવાળી સ્વાભાવિક સ્થિતિને યોગ કહે છે. એ સમતામાં સ્થિતિ (નિત્યયોગ) થઇ જતાં પછી કદિ તેનાથી વિયોગ નથી થતો, કદી વૃતિરૂપતા નથી થતી, કદી વ્યુત્થાન નથી થતું. વૃતિઓનો વિરોધ થઇ જતાં તો નિર્વિકલ્પ અવસ્થા થાય છે, પરંતુ સમતામાં સ્થિતિ થઇ જતાં ‘નિર્વિકલ્પ બોધ’ થાય છે. ‘નિર્વિકલ્પ બોધ’ અવસ્થાતીત અને સઘળી અવસ્થાઓનો પ્રકાશક છે.
 
સમતા અથવા નિત્યયોગનો અનુભવ કરવાને માટે ગીતામાં ત્રણ યોગમાર્ગોનું વર્ણન કરવામાં આવ્યું છે – કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ – આ ત્રણેય શરીરોનો સંસારની સાથે અભિન્ન સંબંધ છે. આથી આ ત્રણેયને બીજાઓની સેવામાં જોતરી દે – એ કર્મયોગ થયો; પોતે એમનાથી અસંગ થઇને પોતાના સ્વરૂપમાં સ્થિત થઇ જાય – એ જ્ઞાનયોગ થયો; અને પોતે ભગવાનને સમર્પિત થઇ જાય એ ભક્તિયોગ થયો. આ ત્રણેય યોગોને સિદ્ધ કરવાને માટે અર્થાત્ પોતાનો ઉદ્ધાર કરવાને માટે મનુષ્યને ત્રણ શક્તિઓ મળેલી છે – (૧) કરવાની શક્તિ (બળ), (૨) જાણવાની શક્તિ (જ્ઞાન) (૩) માનવાની શક્તિ (વિશ્વાસ). કરવાની શક્તિ નિઃસ્વાર્થ ભાવથી સંસારની સેવા કરવાને માટે છે, જે કર્મયોગ છે; જાણવાની શક્તિ પોતાના સ્વરૂપને જાણવા માટે છે, તે જ્ઞાનયોગ છે; અને માનવાની શક્તિ ભગવાનને પોતાના તથા પોતાને ભગવાનના માનીને સર્વથા ભગવાનને સમર્પિત થવાને માટે છે, જે ભક્તિયોગ છે. જેનામાં કરવાની રુચિ અધિક છે, તે કર્મયોગનો અધિકારી છે. જેનામાં પોતાની જાતને જાણવાની જિજ્ઞાસા અધિક છે, તે જ્ઞાનયોગનો અધિકારી છે. જેના ભગવાન ઉપર શ્રદ્ધાવિશ્વાસ અધિક છે, તે ભક્તિયોગનો અધિકારી છે. આ ત્રણેય યોગ માર્ગ પરમાત્માપ્રાપ્તિનાં સ્વતંત્ર સાધન છે. બીજા બધા જ સાધનો આ ત્રણેયની અંતર્ગત આવી જાય છે(સંદર્ભ).

(સંદર્ભ) શ્રીમદ્ ભાગવતમાં ભગવાને કહ્યું છે –
योगास्त्रयो मया प्रोत्का नृणां श्रेयोविधित्सया । ज्ञानं कर्म च भक्तिश्च नोपायोङन्योस्ति कृत्रचित् ॥ (૧૧/૨૦/૬)
‘પોતાનું કલ્યાણ ઇચ્છનારા મનુષ્યોને માટે મેં ત્રણ યોગમાર્ગો બતાવ્યા છે – જ્ઞાનયોગ, કર્મયોગ, ભક્તિયોગ. આ ત્રણ સિવાય બીજો કોઇ કલ્યાણનો માર્ગ નથી.’
આજ વાત અધ્યાત્મરામાયણ અને દેવીભાગવતમાં પણ આવી છે –
मार्गास्त्रयो मया प्रोक्ताः पुरा मोक्षाप्तिसाधकाः । कर्मयोगो ज्ञानयोगो भक्तियोगश्च शाश्वतः ॥ (अध्यात्म. ૭/૭/૫૯)
मार्गस्त्रयो मे विख्याता मोक्षप्राप्तौ नगाधिप । कर्मयोगो ज्ञानयोगो भक्तितयोगश्च सत्तम ॥ (देवी. ૭/૩૭/૩)

બધાં જ સાધનનું ખાસ કામ છે – જડતાથી સંબંધ- વિચ્છેદ કરવો. આથી જડતાથી સંબંધવિચ્છેદ કરવાની પ્રણાલીઓ (સાધનો) માં તો ફરક જ રહે છે પરંતુ જડતાથી સંબંધવિચ્છેદ થતા બધા જ સાધનો એક થઇ જાય છે અર્થાત્ અંતે બધા જ સાધનોથી એક જ સમરૂપ પરમાત્મતત્વની પ્રાપ્તિ થાય છે. આ સમરૂપ પ્રમાત્મતત્વની પાપ્તિને જ ગીતાએ ‘योग’ નામથી ઓળખાવી છે, અને એને જ ‘नित्ययोग’ કહે છે.
 
ગીતામા કેવળ કર્મયોગનું, કેવળ જ્ઞાનયોગનું, અથવા કેવળ ભક્તિયોગનું વર્ણન થયું છે – એવી વાત પણ નથી. એમા ઉપર્યુક્ત ત્રણેય યોગો ઉપરાંત યજ્ઞ, દાન, તપ, ધ્યાનયોગ, પ્રાણાયામ, હઠયોગ, લયયોગ વગેરે સાધનોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. એનું ખાસ કારણ એ છે કે ગીતામાં અર્જુનના પ્રશ્નો યુદ્ધના વિષયમાં નથી, પરંતુ કલ્યાણના વિષયમાં છે અને ભગવાન દ્વારા ગીતા કહેવાનો ઉદ્દેશ્ય પણ યુદ્ધ કરાવવાનો બિલકુલ નથી. અર્જુન પોતાનું નિશ્ચિત કલ્યાણ ઇચ્છતા હતા (અ. ૨/૭, અ. ૩/૨, અ. ૫/૧). એટલા માટે શાસ્ત્રોમાં જેટલાં કલ્યાણ કારક સાધનો કહ્યાં છે, તે સઘળા સાધનોનું ગીતામાં સંક્ષેપથી વિશદ વર્ણન મળે છે. એ સાધનોને લીધે જ સાધકજગતમાં ગીતાનો વિશેષ આદર છે. કારણ કે સાધક ચાહે ગમે તે મતનો હોય, ગમે તે સંપ્રદાયનો, કે ગમે તે સિદ્ધાતને માનવાવાળો હોય, છતાં પોતાનું કલ્યાણ તો બધાને અભીષ્ટ છે.

સાધનની બે શૈલીઓ

જીવમાં એક તો ચેતન પરમાત્માનો અંશ છે અને એક જડ પ્રકૃતિનો અંશ છે. ચેતન-સંશના પ્રાધાન્યને કારણે તે પ્રમાત્માની ઇચ્છા કરે છે અને જડ-અંશના પ્રાધાન્યને કારણે તે સંસારની ઇચ્છા કરે છે. આ બન્ને ઇચ્છાઓમાંથી પ્રમાત્માની ઇચ્છા તો પૂર્ણ થવાવાળી છે જ નહિ. કેટલીક સાંસારિક ઇચ્છાઓની પૂર્તિ થતી હોવાનું દેખાવા છતાં પણ વાસ્તવમાં એમની નિવૃત્તિ નથી થતી, પરંતુ સંસારની આસક્તિને કારણે નવીનવી કામનાઓ પેદા થતી રહે છે. વાસ્તવમાં સાંસારિક ઇચ્છાઓની પૂર્તિ અર્થાત્ સાંસારિક વસ્તુઓની પ્રાપ્તિ ઇચ્છાને આધીન નથી, પણ કર્મને આધીન છે. પરંતુ પરમાત્માની પ્રાપ્તિ કર્મને આધીન નથી. પોતાની ઉત્કટ અભિલાષામાત્રથી પરમાત્માની પ્રાપ્તિ થઇ જાય છે. એનું કારણ એ છે કે પ્રત્યેક કર્મનો આદિ અને અંત હોય છે; એટલા માટે એનું ફળ પણ આદિ-અંતવાળું જ હોય છે. આથી આદિ-અંતવાળાં કર્મોથી અનાદિ-અનંત પરમાત્માની પ્રાપ્તિ કેવી રીતે થઇ શકે છે? પરંતુ સાધકોએ બહુધા એવું સમજી લીધું છે કે જેવી રીતે ક્રિયાની પ્રધાનતાથી સાંસારિક વસ્તુની પ્રાપ્તિને માટે શરીર, ઇન્દ્રિયો, મન અને બુદ્ધિની સહાય લેવી પડે છે, એવી જ રીતે પરમાત્માની પ્રાપ્તિને માટે શરીર, ઇન્દ્રિયો, મન અને સાધકો જડતા (શરીર વગેરે) ની સહાયથી અભ્યાસ કરતાકરતા પરમાત્માની તરફ ચાલે છે.
 
જેવી રીતે ધ્યાનયોગમાં લાંબા સમય સુધી અભ્યાસ કરતાંકરતાં અર્થાત્ પરમાત્મામાં ચિત્તને જોડતાંજોડતાં જ્યારે ચિત્ત નિરુદ્ધ થઇ જાય છે, ત્યારે એમાં સંસારની કોઇ ઇચ્છા ન રહેવાથી અને પોતે (ચિત્ત) જડ હોવાને કારણે પરમાત્માને ગ્રહણ ન કરી શકવાથી તે (ચિત્ત) સંસારથી ઉપરામ થઇ જાય છે. ચિત્તના ઉપરામ થઇ જવાથી સાધકનો ચિત્તથી અર્થાત્ જડતાથી સર્વથા સંબંધવિચ્છેદ થઇ જાય છે અને તે સ્વયં પરમાત્મતત્વનો અનુભવ કરી લે છે (અ. ૬/૨૦). પરંતુ જે સાધક આરંભની જ પરમાત્માની સાથે પોતાનો સ્વતઃસિદ્ધિ નિત્યસંબંધ માનીને અને જડતા સાથે પોતાનો કિંચિત્માત્ર પણ સંબંધ નહિ માનીને સાધન કરે છે, તેને બહુ જ જલદી અને સુગમતાપૂર્વક પરમાત્મતત્વનો અનુભવ થઇ જાય છે.
 
આ રીતે પરમાત્મતત્વની પ્રાપ્તિ ઇચ્છાવાળા સાધકોને માટે સાધનની બે શૈલીઓ છે. જ શૈલીમાં અંતઃકરણની પ્રધાનતા રહે છે અર્થાત્ જેમાં સાધક જડતાની સહાય લઇને સાધન કરે છે, એને ‘કરણસાપેક્ષશૈલી’ ના નામની અને જે શૈલીમાં પોતાની પ્રધાનતા રહે છે અર્થાત્ જેમાં સાધક આરંભથી જ જડતાની સહાય ન લેતાં પોતાને જ સાધન કરે છે, તેને ‘કરણનિરપેક્ષશૈલી’ ના નામથી ઓળખી શકાય છે. જોકે આ બન્નેય સાધનશૈલીઓથી પરમાત્મતત્વની પ્રાપ્તિ કરણનિરપેક્ષતાથી અર્થાત્ પોતાનાથી (જડતા સાથેનો સર્વથા સંબંધવિચ્છેદ થવાથી) જ થાય છે, તોપણ કરણસાપેક્ષશૈલીએ ચાલવાથી તેની પાપ્તિ શીઘ્રતાથી થાય છે. સાધનની આ બે શૈલીઓમાં ચાર મુખ્ય ભેદ છે –
(1)   કરણસાપેક્ષશૈલીમાં જડતા (શરીર, ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ) નો આશ્રય લેવો પડે છે, પરંતુ કરણનિરપેક્ષશૈલીમાં જડતાનો આશ્રય નથી લેવો પડતો, પરંતુ જડતા સાથે માની લીધેલા સંબંધનો વિચ્છેદ કરવો પડે છે.
(2)   કરણસાપેક્ષશૈલીમાં એક નવી અવસ્થાનું નિર્માણ થાય છે, પરંતુ કરણનિરપેક્ષશૈલીમાં અવસ્થાઓહી સંબંધવિચ્છેદ થઇને અવસ્થાતીત તત્વનો અનુભવ થાય છે.
(3)   કરણસાપેક્ષશૈલીમાં પ્રાકૃત શક્તિઓ (સિદ્ધિઓ) ની પ્રાપ્તિ થાય છે, પરંતુ કરણનિરપેક્ષશૈલીમાં પ્રાકૃત શક્તિઓ સાથેનો સંબંધવિચ્છેદ થઇને સીધો પરમાત્મતત્વનો અનુભવ થાય છે.(સંદર્ભ)
 
(સંદર્ભ) જો કરણસાપેક્ષશૈલી (ચિત્તવૃત્તિનિરોધ) થી સીધી પરમાત્મતત્વની પ્રાપ્તિ થઇ જાત, તો પાતંજલયોગદર્શનનો ‘વિભૂતિપાદ’ (જેમાં સિદ્ધિઓનું વર્ણન છે) વ્યર્થ થઇ જાત. કરણસાપેક્ષશૈલીમાં જે સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે, એ તો પરમતત્વની પ્રાપ્તિમાં વિઘ્ન છે. પાતંજલયોગદર્શનમાં પણ એ સિદ્ધિઓને વિઘ્નરૂપે માનવામાં આવી છે – ‘ते समाधावुपसर्गा व्युत्थाने सिद्धयः’ (૩/૩૭) અર્થાત્ એ (સિદ્ધિઓ) સમાધિની સિદ્ધિમાં વિઘ્નો છે અને વ્યુત્થાન (વ્યવહાર) માં સિદ્ધિઓ છે; ‘स्थान्युपनिमंत्रणे सङ्गस्मयाकरणं पोनरनिष्टप्रसङ्गात्’ (૩/૫૧) અર્થાત્ લોકપાલ દેવતાઓ દ્વારા (પોતાના લોકના ભોગોની લાલચ આપીને) બોલાવાતાં ન તો એ ભોગોમાં રાગ કરવો જોઇએ અને ન અભિમાન કરવું જોઇએ; કરણ કે એમ કરવાથી ફરીથી અનિષ્ટ (પતન) થવાની સંભાવના છે.
 
(4)   કરણસાપેક્ષશૈલી ક્યારેક તત્કાળ સિદ્ધિ નથી મળતી, પરંતુ કરણનિરપેક્ષશૈલીમાં જડતાથી સર્વથા સંબંધવિચ્છેદ થવાથી, પોતાના સ્વરૂપમાં સ્થિતિ થવાથી અથવા ભગવાનને શરણે થવાથી તત્કાળ સિદ્ધિ મળે છે.
 
પાતંજલયોગદર્શનમાં તો યોગની સિદ્ધિને માટે કરણસાપેક્ષશૈલીને મહત્વ આપવામાં આવ્યું છે, પરંતુ ગીતામાં યોગની સિદ્ધિને માટે કરણનિરપેક્ષશૈલીને જ મહત્વ આપવામાં આવ્યું છે. પરમાત્મામાં મન લાગી ગયું, તો તો સારું છે, પણ મન ના લાગ્યું તો કંઇ જ ના થયું – આ કરણસાપેક્ષશૈલી છે. તાત્પર્ય એ છે કે કરણસાપેક્ષશૈલીમાં પરમાત્માની સાથે મનબુદ્ધિનો સંબંધ છે, આને કરણનિરપેક્ષશૈલીમાં મનબુદ્ધિથી સંબંધવિચ્છેદપૂર્વક પરમાત્માની સાથે પોતામો સંબંધ છે. એટલા માટે કરણસાપેક્ષશૈલીમાં અભ્યાસ દ્વારા ક્રમિક સિદ્ધિ મળે છે, પરંતુ કરણનિરપેક્ષશૈલીમાં અભ્યાસની આવશ્યકતા નથી. કારણકે પોતાનો પરમત્માની સાથેનો સ્વતઃસિદ્ધ નિત્યસંબંધ (નિત્યયોગ) છે. આથી ભગવાન સાથેનો સંબંધ માનવામાં અથવા જાણવામાં અભ્યાસની આવશ્યકતા નથી; જેમકે – લગ્ન થવાથી સ્ત્રી પુરુષને પોતાનો પતિ માની લે છે, તો એવું માનવા માટે તેણે કોઇ અભ્યાસ નથી કરવો પડતો. એવી જ રીતે કોઇના બતાવ્યાથી ‘આ ગંગાજી છે’ – એવું જાણવા માટે પણ કોઇ અભ્યાસ નથી કરવો પડતો(સંદર્ભ). કરણસાપેક્ષશૈલીમાં તો પોતાને માટે સાધન કરવા (ક્રિયા) ની પ્રધાનતા રહે છે, પરંતુ કરણનિરપેક્ષશૈલીમાં જાણવા (વિવેક) અને માનવા (ભાવ) ની પ્રધાનતા રહે છે.
 
(સંદર્ભ) વાસ્તવમાં પરમાત્માને માનવા અથવા જાણવાની બાબતમાં સંસારનું કોઇ પણ દ્રષ્ટાંત પૂર્ણ નથી મનાતું. કરણ કે સંસારને માનવા અથવા જાણવામાં તો મનબુદ્ધિ સાથે રહે છે, પણ પરમાત્માને માનવા અથવા જાણવામાં મનબુદ્ધિ સાથે નથી રહેતાં અર્થાત્ પર્માત્માનો અનુભવ પોતાનાથી થાય છે, મનબુદ્ધિથી નહી. બીજી વાત, સંસારને માનવા અથવા જાણવાનો તો આરંભ અને અંત હોય છે, પરંતુ પરમાત્માને માનવા અને જાણવાનો આરંભ અને અંત નથી હોતો. કરણ કે વાસ્તવમાં સંસારની સાથે આપણો (પોતાનો) સંબંધ છે જ નહી, જ્યારે પરમાત્માની સાથે આપણો સંબંધ સદાયથી છે અને સદાય રહેશે.
 
‘મારો જડતા (શરીર વગેરે) સાથે સંબંધ છે જ નહિ’ – એવો અનુભવ ન હોવા છતાં પણ જ્યારે સાધક એને આરંભની જ દ્રઢતાપૂર્વક માની લે છે, ત્યારે એને એવો જ સ્પષ્ટ અનુભવ થઇ જાય છે. જેવી રીતે તે ‘હું શરીર છું અને શરીર મારું છે.’ – આ પ્રકારની ખોટી માન્યતા કરીને બંધાયો હતો, તેવી જ રીતે ‘હું શરીર નથી અને શરીર મારું નથી’ – આ પ્રકારની સાચી માન્યતા કરીને મુક્ત થઇ જાય છે; કારણકે માની લીધેલી વાત ન માનવાથી એનો અંત આવી જાય છે – આ સિદ્ધાંત છે. આ જ વાતને ભગવાને ગીતામાં કહી છે કે આજ્ઞાની મનુષ્ય શરીર સાથે સંબંધ જોડીને એનાથી થવાવાળી ક્રિયાઓનો કર્તા પોતાને માની લે છે – ‘अहंकारविमूढात्मा कर्ताहमिति मन्यते’ (અ. ૩/૨૭) પરંતુ જ્ઞાની મનુષ્ય એ ક્રિયાઓનો કર્તા પોતાને નથી માનતો – ‘नैव किञ्चित्करोमीति युक्तो मन्येत तत्ववित्’ (અ. ૫/૮). તાત્પર્ય એ થયું કે વાસ્તવિક માન્યતાને દૂર કરવા માટે વાસ્તવિક માન્યતા કરવી જરૂરી છે.
 
‘હું હિંદુ છું’, ‘હું બ્રહ્મણ છું’, ‘હું સાધું છું’ વગેરે માન્યતાઓ એટલી દ્રઢ હોય છે કે જ્યાં સુધી એ માન્યતાઓને પોતે નથી છોડતો, ત્યાં સુધી એમને કોઇ બીજો નથી છોડાવી ધકતો. એવી જ રીતે ‘હું શરીર છું’, ‘હું કર્તા છું’ વગેરે માન્યતાઓ પણ એટલી દ્રઢ બની જાય છે કે એમને છોડવાનું સાધકને કઠિન માલૂમ પડે છે. પરંતુ આ લૌકિક માન્યતાઓ અવાસ્તવિક અને અસત્ય હોવાને કારણે સદા રહેવાવાળી નથી, પરંતુ દૂર થવાવાળી છે. એનાથી વિરુદ્ધ ‘હું શરીર નથી’, ‘હું ભગવાનનો છું’ વગેરે માન્યતા વાસ્તવિક અને સત્ય હોવાને કારણે કદી દૂર થતી જ નથી, પરંતુ એમની વિસ્મૃતિ થાય છે, એમનાથી વિમુખતા થાય છે. એટલા માટે વાસ્તવિક માન્યતા દ્રઢ થઇ જતાં માન્યતારૂપે નથી રહેતી, પરંતુ બોધ (અનુભવ) માં પરિણમે છે.
 
જોકે ગીતામાં કરણસાપેક્ષશૈલીનું પણ વર્ણન કરવામાં આવ્યું છે (જેમકે અ. ૪/૨૪-૩૦,૩૪, અ. ૬/૧૦-૨૮, અ. ૮/૮-૧૬, અ. ૧૫/૧૧ વગેરે) તોપણ કરણનિરપેક્ષશૈલીનું જ વર્ણન થયું છે (જેમકે અ. ૨/૪૮,૫૫, અ. ૩/૧૭, અ. ૪/૩૮, અ. ૫/૧૨નો પૂર્વાર્ધ, અ. ૬/૫, અ. ૯/૩૦-૩૧, અ. ૧૨/૧૨, અ. ૧૮/૫૨,૬૬,૭૩ વગેરે). એનું કારણ એ છે કે ભગવાન સાધકોને શીઘ્રતાથી અને સુગમતાપૂર્વક પોતાની પ્રાપ્તિ કરવા ઇચ્છે છે. બીજી વાત, અર્જુનને યુદ્ધની પરિસ્થિતિ પ્રાપ્ત થવાને સમયે પોતાના કલ્યાણનો ઉપાય પૂછ્યો છે. આથી એના કલ્યાણને માટે કરણનિરપેક્ષશૈલીમાં મનુષ્ય પ્રત્યેક પરિસ્થિતિમાં અને સઘળાં શાસ્ત્રવિહિત કર્મો કરતો હોવા છતાં પણ પોતાનું કલ્યાણ કરી શકે છે. આજ શૈલી અનુસાર (અભ્યાસ કર્યા વિના) અર્જુનનો મોહનાશ થયો અને એમને સ્મૃતિની પ્રાપ્તિ થઇ (અ. ૧૮/૭૩).
 
સાધનની કરણનિરપેક્ષશૈલી બધાને માટે સમાન રૂપે ઉપયોગી છે; કેમકે વિશષ યોગ્યતા, પરિસ્થિતિ વગેરેની આવશ્યકતા નથી. આ શૈલીમાં કેવળ પરમાત્મપ્રાપ્તિની ઉત્કટ અભિલાષા હોવાથી જ તત્કાળ જડતા સાથેનો સંબંધવિચ્છેદ થઇને નિત્યપ્રાપ્ત પરમાત્મતત્વનો અનુભવ થઇ જાય છે. જેવી રીતે ગમે તેટલાં વર્ષોનું અંધારું હોય, એક દીવાસળી સળગાવતાં જ એ નષ્ટ થઇ જાય છે, એવી જ રાતે જડતાની સાથેનો ગમે તેટલો પુરાણો (અનંત જન્મોનો) સંબંધ હોય, પરમાત્મપ્રાપ્તિની ઉત્કટ અભિલાષા થતાં જ તે દૂર થઇ જાય છે. એટલા માટે ઉત્કટ અભિલાષા કરણસાપેક્ષતાથી થવાવાળી સમાધિ કરતાં પણ ઊંચી ચીજ છે. ઊંચામાં ઊંચી નિર્વિકલ્પ સમાધિ થાય, તેનાથી પણ વ્યુત્થાન થાય છે અને પછી વ્યવહાર થાય છે અર્થાત્ સમાધિનો પણ આરંભ અને અંત થાય છે. જ્યાં સુધી આરંભ અને અંત થાય છે, ત્યાં સુધી જડતાની સાથે સંબંધ છે. જડતા સાથે સંબંધવિચ્છેદ થવાથી સાધનનો આરંભ અને અંત નથી થતો, પરંતુ પરમાત્મા સાથે નિત્યયોગનો અનુભવ થઇ જાય છે(સંદર્ભ).
 
(સંદર્ભ) જ્યાં સુધી જડતાની સાથે સંબંધ રહે છે. ત્યાં સુધી બે અવસ્થાઓ રહે છે; કેમકે પરિવર્તનશીલ હોવાથી જડ પ્રકૃતિ કદી એકરૂપ નથી રહેતી. આથી સમાધિ અને વ્યુથાન – એ બન્ને અવસ્થાઓ જડતાની સાથેના સંબંધથી જ થાય છે. જડતા સાથે સંબંધવિચ્છેદ થતાં ‘સહજાવસ્થા’ થાય છે, જેને સંતોએ ‘સહજ સમાધિ’ કહી છે. એનાથી પછી કદી વ્યુથાન નથી થતું.
 
વાસ્તવમાં જોવામાં આવે તો પરમાત્માથી વિયોગ કદી થયો જ નથી, થવાનો સંભવ જ નથી. કેવળ સંસાર સાથે માનેલા સંયોગને કારણે પરમાત્માથી વિયોગ પ્રતીત થઇ રહ્યો છે. સંસાર સાથે માનેલા સંયોગનો ત્યાગ કરવાની સાથે જ પરમાત્મતત્વના અભિલાષિ મનુષ્યને તત્કાળ નિત્યયોગનો અનુભવ થઇ જાય છે અને એમાં સ્થાયી સ્થિતિ થઇ જાય છે.
 
અંતઃકરણને શુદ્ધ કરવાની આવશ્યકતા પણ કરણસાપેક્ષશૈલીમાં જ છે, કરણનિરપેક્ષશૈલીમાં નહિ. જેવી રીતે કલમ ઉત્તમ હોવાથી લખાણ તો ચડિયાતું થઇ શકે છે, પરંતુ લેખક ચડિયાતો નથી થઇ જતો, એવી જ રીતે કરણ (અંતઃકરણ) સાથેનો સંબંધવિચ્છેદ થવાથી; કારણ કે અંતઃકરણ સાથે પોતાનો સંબંધ માનવો એ જ મૂળ અશુદ્ધિ છે.
 
નિત્યપ્રાપ્ત પરમાત્મતત્વની સાથે જીવનો નિત્યયોગ સ્વતઃસિદ્ધ છે; આથી તેની પ્રાપ્તિ માટે કરણની અપેક્ષા નથી રહેતી. કેવળ પરમાત્મા તરફ દ્રષ્ટિ નાખવાની જરૂર છે, જેમકે શ્રીરામચરિત માનસમાં આવ્યું છે – ‘संकर सहज सरूपु सम्हारा’ (૧/૫૮/૪) અર્થાત્ ભગવાન શંકરે પોતાના સહજ સ્વરૂપને સંભાર્યું, અની તરફ દ્રષ્ટિ નાખી. સંભારેલી ચીજ એ હોય છે, જે પહેલેથી જ આપણી પાસે હોય અને કેવળ દ્રષ્ટિ નાખવાથી ખબર પડી જાય કે આ છે. એવી જ રીતે દ્રષ્ટિ નાખવા માત્રથી નિત્યયોગનો અનુભવ થઇ જાય છે. પરંતુ સાંસારિક સુખની કામના, આશા અને ભોગને કારણે પરમાત્મા તરફ દ્રષ્ટિઅ નાખવામાં અને એનો અનુભવ કરવામાં કઠિનતા માલૂમ પડે છે. જ્યાં સુધી સાંસારિક ભોગ અને સંગ્રહની તરફ દ્રષ્ટિ છે, ત્યાં સુધી મનુષ્યમાં એ તાકાત નથી કે તે પોતાના સ્વરૂપની તરફ દ્રષ્ટિ નાખી શકે. જો કોઇ કારણથી, કોઇ ખાસ વિવેચનને કારણે એ તરફ દ્રષ્ટિ ચાલી પણ જાય, તો તેનું સ્થાયી રહેવું ઘણું કઠિન છે. કારણ કે નાશવંત પદાર્થો પ્રત્યેની જે પ્રિતિ હૈયામાં વસેલી છે, તે પ્રીતિ ભગવાન સાથેના સ્વતઃસિદ્ધ સંબંધને સમજવા નથી રહેવા દેતી; અને સમજવામાં આવી જાય તો સ્થિર નથી રહેવા દેતી. હા, ઉત્કટ અભિલાષા જાગ્રત થઇ જાય કે એ તત્વનો અનુભવ કેવી રીતે થાય? તો આ અભિલાષામાં એ તાકાત છે કે તે સંસારની આસક્તિનો નાશ કરી દેશે.
 
ગીતામાં કહેલાં કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ – ત્રણેય સાધનો કરણનિરપેક્ષ અર્થાત્ પોતાનાથી થવાવાળાં છે. કરણ કે ક્રિયા અને પદાર્થો પોતાના અને પોતાને માટેના નથી, પરંતુ બીજાઓના અને બીજાઓની સેવાને માટેના છે; હું શરીર નથી અને શરીર મારું નથી, હું ભગવાનનો છું અને ભગવાન મારા છે – આ રીતનો વિવેકપૂર્વક કરવામાં આવેલો વિચાર અથવા માન્યતા કરસાપેક્ષ (અભ્યાસ) નથી; કરણ કે એમાં જડતા સાથેનો સંબંધવિચ્છેદ છે. આથી કર્મયોગમાં પોતે જાણે છે અને ભક્તિયોગમાં પોતે જ ભગવાનને શરણે થાય છે.
 
ગીતાની આ ‘સાધક સંજીવની’ ટીકામાં પણ સાધનની કરણનિરપેક્ષશૈલીને જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે; કારણ કે સાધકોનું શીઘ્રતાથી અને સુગમતાપૂર્વક કલ્યાણ કેવી રીતે થાય – એ બાબતને દ્રષ્ટિ સમક્ષ રાખીને જ આ ટીકા લખવામાં આવી છે.

ટીકા સંબંધમાં

નાની ઊંમરથી જ મારી ગીતામાં વિશેષ રુચિ રહી છે. ગીતાનું ગંભીરતાપૂર્વક મનનવિચાર કરવાથી તથા અનેક સંતમહાપુરુષોના સંગ અને વચનોથી મને ગીતાના વિષયને સમજવામાં ઘણી સહાય મળી. ગીતામાં મહાન સંતોષ આપવાવાળા અનંત વિચિત્રવિચિત્ર ભાવો ભરેલા પડ્યા છે. ભાવોને પૂર્ણ રીતે સમજવાનું અને તેમને વ્યક્ત કરવાનું મારામાં સામર્થ્ય નથી. પરંતુ જ્યારે કેટલાક ગીતાપ્રેમી સજ્જનોએ વિશેષ આગ્રહ કર્યો, હઠ કરી, ત્યારે ગીતાના માર્મિક ભાવોનો પોતાને બોધ થઇ જાય તથા બીજો કોઇ મનન કરે તો એને પણ એમનો બોધ થઇ જાય – એ દ્રષ્ટિએ ગીતાની વ્યાખ્યા લખાવવાની પ્રવૃતિ થઇ.
 
સહુથી પહેલાં એક બારમા અધ્યાયની ટીકા લખાવી તેને સંવત ૨૦૩૦માં ‘ગીતાનો ભક્તિયોગ’ નામથી પ્રકાશિત કરવામાં આવી. એનાં થોડાં વર્ષો બાદ તેરમા અને ચૌદમા અધ્યાયની ટીકા લખાવી, જેને સંવત ૨૦૩૫માં ‘ગીતાનો જ્ઞાનયોગ’ નામથી પ્રકાશિત કરવામાં આવી. એને લખાવ્યા બાદ એવો વિચાર થયો કે કર્મયોગ, જ્ઞાનયોગ અને ભક્તિયોગ – એ ત્રણે યોગ છે, આથી એ ત્રણેય યોગો ઉપર ત્રણ પુસ્તકો તૈયાર થઇ જાય તો ઠીક રહેશે. એ દ્રષ્ટિએ પહેલાં બારમા અધ્યાયની ટીકાનું સંશોધનપરિવર્ધન કરવામાં આવ્યું અને એની સાથે પંદરમા અધ્યાયની ટીકાને પણ સંમિલિત કરીને સંવત ૨૦૩૯માં ‘ગીતાનો ભક્તિયોગ’ (દ્વિતીય સંસ્કરણ) નામથી પ્રકાશિત કરવામાં આવ્યો. પછી ત્રીજા, ચોથા અને પાંચમાં અધ્યાયની ટીકા લખાવી. એને ‘ગીતાનો કર્મયોગ’ નામથી બે ખંડોમાં પ્રકાશિત કરવામાં આવ્યો. એનું પ્રકાશન વિલંબને લીધે સંવત ૨૦૪૦માં થયું.
 
ઉપર્યુક્ત ‘ગીતાનો ભક્તિયોગ’, ‘ગીતાનો જ્ઞાનયોગ’ અને ‘ગીતાનો કર્મયોગ’ – એ ત્રણે પુસ્તકોમાં લખવાની પધ્ધતિ કંઇક જુદી રહી અર્થાત્ પહેલાં સંબંધ, પછી શ્લોક, પછી ભાવાર્થ, પછી અન્વય અને પછી પદટીકા – એ પધ્ધતિએ લખવામાં આવ્યું. પરંતુ આ ત્રણ પુસ્તકો બાદ લખવાની પધ્ધતિ બદલવામાં આવી અર્થાત્ પહેલાં સંબંધ, પછી શ્લોક અને પછી ટીકા – એ પધ્ધતિએ લખવામાં આવ્યું. એમાં બીજાઓની પ્રેરણા પણ રહી. પધ્ધતિ બદલવામાં ભાવ એ રહ્યો કે લખણ થોડુંક ઓછું થઇ જાય અને જલદી લખવામાં આવે, જેથી વાચકોને વાંચવામાં વધુ સમય ન લાગે અને પુસ્તક પણ જલદી તૈયાર થઇને સાધકોના હાથમાં પહોંચી જાય. આ જ પધ્ધતિથી પહેલાં સોળમા અને સત્તરમા અધ્યાયની ટીકા લખાવી. એને સંવત ૨૦૩૯માં ‘ગીતાની સંપત્તિ અને શ્રદ્ધા’ નામથી પ્રકાશિત કરવામાં આવી. ત્યાર બાદ અઢારમા અધ્યાયની ટીકા લખવામાં આવી. એને સંવત ૨૦૩૯માં ‘ગીતાનો સાર’ નામથી પ્રકાશિત કરવામાં આવી.
 
જ્યારે સોળમા, સત્તરમાં અને અઢારમા અધ્યાયની ટીકા છપાઇ ગઇ, ત્યારે કોઇએ કહ્યું કે જો શ્લોકનો અર્થ પણ આપી દેવામાં આવે તો ઠીક રહેશે; કેમકે પહેલાં વાચક શ્લોકનો અર્થ સમજી લેશે, તો પછી તીકા સમજવામાં સુવિધા રહેશે/ આથી ‘ગીતાની સંપત્તિ અને શ્રદ્ધા’ ના બીજા સંસ્કરણ (સંવત ૨૦૪૦) માં શ્લોકોના અર્થ પણ આપવામાં આવ્યા. શ્લોકોનો અર્થ આપવાની સાથેસાથે પદોની ટીકા કરવાનો ક્રમ પણ કંઇક બદલવામાં આવ્યો.
 
એના પછી દસમા અને અગિયારમા અધ્યાયની ટીકા લખાવી. એને ‘ગીતાની વિભૂતિ અને વિશ્વરૂપદર્શન’ નામથી પ્રકાશિત કરવામાં આવી. પછી સતમા, આઠમા, અને નવમા અધ્યાયની ટીકા લખાવી, જેને ‘ગીતાની રાજવિદ્યા’ નામથી પ્રકાશિત કરવામાં આવી. એના પછી છઠ્ઠા અધ્યાયની ટીકા લખાવી, જે ‘ગીતાનો ધ્યાનયોગ’ નામથી પ્રકાશિત કરવામાં આવી. અંતે પહેલાં અને વીજા અધ્યાયની ટીકા લખાવી. એને ‘ગીતાનો આરંભ’ નામથી પ્રકાશિત કરવામાં આવી. આ ચારેય પુસ્તકો સંવત ૨૦૪૧માં પ્રકાશિત થયાં.
 
આ રીતે ભગત્કૃપાથી સમગ્ર ગીતાની ટીકા અલગઅલગ કુલ દશ ખંડોમાં ગીતાપ્રેસ દ્વારા પ્રકાશિત થઇ. એમને પ્રકાશિત કરવાના કાર્યમાં કાગળ વગેરેની કેટલીય મુશ્કેલીઓ આવતી રહી, તેમ છતા પણ સત્સંગી ભાઇઓના પ્રયત્નથી એમને પ્રકાશિત કરવાનું કાર્ય ચાલતું રહ્યું. લોકોએ પણ એ પુસ્તકોનો ઉત્સાહ તેમ જ પ્રસન્નતાપૂર્વક સ્વીકર કર્યો, જેથી કેટલાંક પુસ્તકોનાં બે બે, ત્રણ ત્રણ સંસ્કરણો પણ નીકળી ગયાં.
 
આ ટીકાને એક જગાએ બેસીને નથી લખાવવામાં આવી અને એને પહેલા અધ્યાયથી માંડીને અઢારમાં અધ્યાય સુધી ક્રમવાર પણ નથી લખવામાં આવી. એટલા માટે એમાં પૂર્વાપર સંબંધની દ્રષ્ટિએ કંઇક વિરોધ આવી શકે છે. પરંતુ એથી સાધકોને ક્યાંય પણ મુશ્કેલી નહિ નડે. ક્યાંકક્યાંક સિદ્ધાંતોના વિવેચનમાં પણ ફરક પડ્યો છે; પરંતુ કર્મયોગ, જ્ઞાનયોગ, અને ભક્તિયોગ – એ ત્રણેય સ્વતંત્રતાપૂર્વક પરમાત્મતત્વની પ્રાપ્તિ કરાવવાવાળા છે – એમાં કંઇ ફરક નથી પડતો. ટીકા લખાવતી વખતે ‘સાધકોને શીઘ્ર લાભ કેવી રીતે થાય’ – એવો ભાવ રહ્યો છે. આ કારણથી ટીકાની ભાષા, શૈલી વગેરેમાં પરિવર્તન થતું રહ્યું છે.
 
આ ટીકામાં ઘણા શ્લોકોનું વિવેચન બીજી ટીકાઓથી વિરુદ્ધ પડે છે. પરંતુ એનું તાત્પર્ય બીજી ટીકાઓને ખોટી બતાવવાનું કિંચિતમાત્ર પણ નથી, પરંતુ મને જેવું નિર્વિવાદરૂપે ઉચિત, પ્રકરણસંગત, યુક્તિયુક્ત, સંતોષજનક અને પ્રિય માલૂમ પડ્યું, એવું જ વિકેચન મેં કર્યું છે. મારો કોઇનું ખંડન અને કોઇનું મંડન કરવાનો ભવ બિલકુલ નથી રહ્યો.
 
શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અર્થ ઘણો જ ગંભીર છે. એનું પઠનપાઠન, મનન ચિંતન અને વિચાર કરવાથી ઘણા જ વિલક્ષણ અને નવાનવા ભાવો સ્ફુતિર થતા રહે છે, જેનાથી મનબુદ્ધિ ચકિત થઇને તૃપ્ત થઇ જાય છે! ટીકા લખાવતી વેળાએ જ્યારે એ ભાવોનો લખવવાનો વિચાર થતો, ત્યારે એક એવું વિચિત્ર પૂર આવી જતું કે ક્યાં કયા ભાવો લખાવું અને કેવી રીતે લખાવું – એ બાબતમાં હું પોતાને બિલકુલ અયોગ્ય જણાતો. છતાં પણ મારા જે સાથીઓ છે અને આદરણીય નિત્રો છે, એમના આગ્રહથી કંઇક લખાવી દેતો. તેઓ એ ભાવોને લખી લેતા ને સંશોધિત કરીને તેમને પુસ્તકરૂપે પ્રકાશિત કરાવી દેતા. પછી ક્યારેક એ પોસ્તકોને જોવાનો પ્રસંગ પડતો ત્યારે એમાં કેટલીક જગ્યાએ ખામીઓ માલૂમ પડતી અને એવું માલૂમ પડતું કે બધી નથી આવી, ઘણીયે બાબતો રહી જઇ છે! એટલા માટે એમાં વારંવાર સંશોધનપરિવર્તન કરવામાં આવતું રહ્યું. આથી વાચકોને પ્રાર્થના છે કે તેઓ અગાઉ લખવામાં આવેલી બાબતની અપેક્ષાએ પાછળથી લખવામાં આવેલી બાબતને જ મહત્વ આપે અને એનો જ સ્વીકાર કરે.
 
સમગ્ર ગીતાની ટીકાના અલગઅલગ કેટલાય ખંડ રહેવાથી એમના પુનર્મુદ્રણમાં અને એમને બધાને એક સાથે મેળવવામાં મુશ્કેલી રહે છે – એમ વિચારીને હવે સમગ્ર ગીતાની ટીકાને એક ક્લેવરમાં પ્રસ્તુત ગ્રંથના રૂપમાં પ્રકાશિત કરવામાં આવી છે. એમ કરતાં પહેલાં પૂર્વપ્રકાશિત સમગ્ર ટીકાને એકવાર ફરીથી જોઇ લીધી છે અને એમાં આવશ્યક સંશોધન, પરિવર્તન અને પરિવર્ધન પણ કર્યાં છે. તેરમા અને ચૌદમા અધ્યાયની ટીકા પણ બીજી વખત લખવામાં આવી છે. ભાષા અને શૈલીને પણ લગભગ એક સમાન બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. કેટલીયે નવી બાબતોને ઉમેરવામાં આવી છે અને કેટલીયે બાબતોને એક સ્થાનેથી દૂર કરીને બીજે યથોચિત સ્થાને મૂકી દેવામાં આવી છે. જે બાબતોની વધારે પુનરુક્તિઓ થઇ છે, તેમને યથાસંભવ દૂર કરી દીધી છે, પરંતુ સંપૂર્ણપણે નહિ. વિશેષ ધ્યાન આપવા યોગ્ય બાબતોની પુનરુક્તિઓને સાધકોને માટે ઉપયોગી સમજીને નથી દૂર કરી. આ કાર્યમાં ઘણી ભૂલો પણ થવાની સંભાવના છે, જેને માટે વાચકોને એવી પ્રાર્થના કરું છું કે એમને ને ભૂલો જણાય, એમને તેઓ જણાવવાની કૃપા કરે. એનાથી આગામી સંસ્કરણમાં એમની સુધારણા કરવામાં સુવિધા રહેશે.
 
ગીતા સાથે સંબંધ ધરાવતા કેટલાય નવાનવા વિષયોના, ખોજપૂર્ણ નિબંધોનો એક સંગ્રહ અલગ તૈયાર કરવામાં આવ્યો છે, જેને ‘ગીતાદર્પણ’ નામથી પ્રકાશિત કરવામાં આવ્યો છે.
ગીતાનાં મનનવિચાર કરવાથી અને ગીતાની ટીકા લખાવવાથી મને ઘણો જ આધ્યાત્મિક લાભ થયો છે અને ગીતાના વિષયોનું બહુ જ સ્પષ્ટ જ્ઞાન પણ થયું છે. બીજાં ભાઇબહેનો પણ જો એનું મનન કરશે, તો એમને પણ આધ્યાત્મિક લાભ અવશ્ય થશે – એવી મારી વ્યક્તિગત માન્યતા છે. ગીતાનાં મનનવિચાર કરવાથી લાભ થાય છે – એમાં મને ક્યારેય કિંચિતમાત્ર પણ સંદેહ નથી.
 
कृष्णानुग्रहदायिका सकरुणा गीता समाराधिता
कर्मज्ञानविरागभक्तिरसिका मर्मार्थसंदर्शिका ।
सोत्कण्ठं किल साधकैरनुदिनं पेपीयमाना सदा
कल्याणं परदेवतेव दिशती संजीवनी वर्धताम् ॥
 
વિનીત –

સ્વામી રામસુખદાસજી

પ્રભુ વંદના

गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलचारूभक्षणम् ।
उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वरपादपङ्कजम् ॥ १ ॥
ગજાનનં ભૂતગણાદિસેવિતં કપિત્થજમ્બૂફલચારૂભક્ષણમ્ ।
ઉમાસુતં શોકવિનાશકારકં નમામિ વિઘ્નેશ્વરપાદપઙ્કજમ્ ॥ ૧ ॥
 
જે હાથીના મોઢાવાળા છે, સમગ્ર સૃષ્ટિનાં પ્રાણીઓ દ્વારા જેમની પૂજાસેવા થાય છે, જે કોઠું અને જાંબુને બહુ સુંદર રીતે આરોગનારા છે, જે શોકનો નાશ કરવાવાળા છે અને જે ભગવતી ઉમાના પુત્ર છે, તે વિઘ્નોનો નાશ કરનારા ગણેશજીનાં ચરણકમળોમાં હું પ્રણામ કરું છું.
 
ध्यानाभ्यासवशीकृतेन मनसा तन्निर्गुणं निष्क्रियं
ज्योतिः किञ्चन योगिनो यदि परं पश्यन्ति पश्यन्तु ते ।
अस्माकं तु तदेव लोचनचमत्काराय भूयाच्चिरं
कालिन्दीपुलिनोदरे किमपि यन्निलं महो धावति ॥ २ ॥
ધ્યાનાભ્યાસવશીકૃતેન મનસા તન્નિર્ગુણં નિષ્ક્રિયં
જ્યોતિઃ કિઞ્ચન યોગિનો યદિ પરં પશ્યન્તિ પશ્યન્તુ તે ।
અસ્માકં તુ તદેવ લોચનચમત્કારાય ભૂયાચ્ચિરં
કાલિન્દીપુલિનોદરે કિમપિ યન્નિલં મહો ધાવતિ ॥ ૨ ॥
 
યોગી લોકો ધ્યાન દ્વારા વશીભૂત થયેલા મન વડે કોઇ નિર્ગુણ અને નિષ્ક્રિય પરમ જ્યોતિનું દર્શન કરતા હોય તો કરતા રહે, પણ અમારે માટે તો યમુનાકિનારે મેઘવર્ણનું જે તેજ દોડી રહ્યું છે, તે જ સદાકાળા આંખોમાં ચમક લાવે છે.
 
यावंरिञ्जनमजं पुरुषं जरन्तं
संचिन्तयामि निखिले जगति स्फुरन्तम् ।
तावद् बलात् स्फुरति हन्त ह्रदन्तरे मे
गोपस्य कोङपि शिशुरञ्जनपुञ्जमञ्जुः ॥ ३ ॥
યાવંરિઞ્જનમજં પુરુષં જરન્તં
સંચિન્તયામિ નિખિલે જગતિ સ્ફુરન્તમ્ ।
તાવદ્ બલાત્ સ્ફુરતિ હન્ત હ્રદન્તરે મે
ગોપસ્ય કોઙપિ શિશુરઞ્જનપુઞ્જમઞ્જુઃ ॥ ૩ ॥
 
અહો ! જ્યારે હું સંપૂર્ણ જગતમાં સ્ફુરિત થનારા નિરંજન, અજન્મા અને પુરાતન પુરુષનું ચિંતન કરું છું, ત્યારે મારા હ્રદયમાં કાજળસમૂહ સમાન કાળા વર્ણવાળો કોઇ બાળગોપાળ બળપૂર્વક સ્ફુરિત થવા લાગે છે.
 
नविद्या येषां श्रीर्न शरणनपीषन्न च गुणाः
परित्यक्ता लोकैरपि वृजिनयुक्ताः श्रुतिजडाः ।
शरण्यं यं तेङपि प्रसृतगुणमाश्चित्य सुजना
विभुक्तास्तं वन्दे यदुपतिमहं कृष्णममलम् ॥ ४ ॥
નવિદ્યા યેષાં શ્રીર્ન શરણનપીષન્ન ચ ગુણાઃ
પરિત્યક્તા લોકૈરપિ વૃજિનયુક્તાઃ શ્રુતિજડાઃ ।
શરણ્યં યં તેઙપિ પ્રસૃતગુણમાશ્ચિત્ય સુજના
વિભુક્તાસ્તં વન્દે યદુપતિમહં કૃષ્ણમમલમ્ ॥ ૪ ॥
 
જેમની પાસે વિદ્યા નથી, ધન નથી અને કોઇ આશ્રય નથી; જેમનામાં કોઇ ગુણ નથી, વેદશાસ્ત્રોનું જ્ઞાન નથી; જેમને સંસારના લોકોએ પાપી સમજીને છોડી દીધા છે, એવા મનુષ્યો પણ જો શરણાગતપાલક પ્રભુને શરણે જઇને સંત બની જાય છે અને મુક્ત થઇ જાય છે, એવા વિશ્વવિખ્યાત ગુણોવાળા નિર્મળ યદુનાથ ભગવાન શ્રીકૃષ્ણને હું પ્રણામ કરું છું.
 
यस्य श्रीकरुणार्णवस्य करुणालेशेन बालो ध्रुवः
स्वेष्टं प्राप्य समार्यधाम समगाद्रङ्कोङप्यविन्दच्छ्रियम् ।
याता मुक्तिमजामिलादिपतिताः शैलाङपि पूज्योङभवत्
तं श्रीमाधवमाश्चितेष्टदमहं नित्यं शरण्यं भजे ॥ ५ ॥
યસ્ય શ્રીકરુણાર્ણવસ્ય કરુણાલેશેન બાલો ધ્રુવઃ
સ્વેષ્ટં પ્રાપ્ય સમાર્યધામ સમગાદ્રઙ્કોઙપ્યવિન્દચ્છ્રિયમ્ ।
યાતા મુક્તિમજામિલાદિપતિતાઃ શૈલાઙપિ પૂજ્યોઙભવત્
તં શ્રીમાધવમાશ્ચિતેષ્ટદમહં નિત્યં શરણ્યં ભજે ॥ ૫ ॥
 
જે કરુણાસાગર ભગવાનની કરુણાના અંશમાત્રથી જ બાળક ધ્રુવે પોતાની ઇચ્છિત વસ્તુ મેળવીને શ્રેષ્ઠ પુરુષોના લોકને મેળવ્યો, દરિદ્ર સુદામાએ લક્ષ્મી પ્રાપ્ત કરી, સજામિલ વગેરે પાપીઓએ મોક્ષ પ્રાપ્ત કર્યો અને ગોવર્ધન પર્વત પણ પૂજ્ય બની ગયો, એવા શરણાગત ભક્તોને ઇચ્છિત વસ્તુ આપવાવાળા શરણ લેવા યોગ્ય ભગવાન શ્રીમાધવનું હું નિત્ય ભજન કરું છું.
 
वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम्
देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरूम् ॥ ६ ॥
વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ્
દેવકીપરમાનન્દં કૃષ્ણં વન્દે જગદ્ગુરૂમ્ ॥ ૬ ॥
 
જે વસુદેવજીના પુત્ર, દિવ્ય રૂપ ધરનારા, કંસ તથા ચાણૂરનો નાશ કરનારા અને દેવકીજીને માટે પરમ આનંદસ્વરૂપ છે, તે જગદ્ગુરુ ભગવાન શ્રીકૃષ્ણને હું વંદન કરું છું.
 
नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् ।
देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् ॥ ७ ॥
નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમમ્ ।
દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત્ ॥ ૭ ॥
 
ભગવાન શ્રીકૃષ્ણ તથા મનુષ્યોમાં શ્રેષ્ઠ અર્જુનને અને દેવી સરસ્વતી તથા વેદવ્યાસજીને નમસ્કારા કરીને પછી મહાભારતની કથા કરવી જોઇએ.

અધ્યાય ૦૧

॥ ૐ શ્રી પરમાત્મને નમઃ ॥
 
વિષય સૂચિ

[૦૧-૧૧] - પાંડવ અને કૌરવસેનાના મુખ્યમુખ્ય મહારથીઓનાં નામોનું વર્ણન
[૧૨-૧૯] - બન્ને પક્ષોની સેનાઓના શંખવાદનનું વર્ણન
[૨૦-૨૭] - અર્જુન દ્વારા સેનાનું અવલોકન
[૨૯-૪૭] - અર્જુન દ્વારા કાયરતા, શોક, અનર્થપરંપરા અને પશ્ચાત્તાપવાળાં વચનો કહેવાં તથા સંજય દ્વારા શોકમગ્ન અર્જુનની અવસ્થનું વર્ણન
 
ભૂમિકા
પાંડવોએ બાર વર્ષનો વનવાસ અને એક વર્ષનો અજ્ઞાતવાસ પૂરો થતાં જ્યારે પ્રતિજ્ઞા મુજબ પોતાનું અરધું રાજ્ય માગ્યું, ત્યારે દુર્યોધને અરધું રાજ્ય તો શું, તીક્ષ્ણ સોયની અણી જેટલી જમીન પણ યુદ્ધ વિના આપવાનું સ્વીકર્યું નહિ. આથી પાંડવોએ કુંતા માતાની આજ્ઞા પ્રમાણે યુદ્ધ કરવાનું સ્વીકાર્યું. આ રીતે પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધ કરવાનું નિશ્ચિત થઇ ગયું અને તદનુસાર બંને પક્ષે યુદ્ધની તૈયારી થવા લાગી.
 
મહર્ષિ વેદવ્યાસને ધૃતરાષ્ટ્ર ઉપર ઘણો સ્નેહ હતો. એ સ્નેહને લીધે એમણે ધૃતરાષ્ટ્ર પાસે આવીને કહ્યું કે, "યુદ્ધ થવું અને તેમાં ક્ષત્રિયોનો મહાન સંહાર થવો અનિવાર્ય છે, એને કોઇ ટાળી શકવાનું નથી. જો યુદ્ધ જોવાની તમારી ઇચ્છા હોય તો હું તમને દિવ્ય દ્રષ્ટિ આપી શકું છું, જેનાથી તમે અહીં બેઠાબેઠા યુદ્ધને સારી રીતે જોઇ શકશો." આથી ધૃતરાષ્ટ્રે કહ્યું કે, "જન્મભર હું આંધળો રહ્યો. હવે મારા કુળના સંહારને હું જોવા ઇચ્છતો નથી. પરંતુ યુદ્ધ કેવી રીતે થઇ રહ્યું છે - એ સમાચાર સાંભળવાની ઇચ્છા જરૂર છે." ત્યારે વ્યાસજીએ કહ્યું કે, "હું સંજયને દિવ્ય દ્રષ્ટિ આપું છું. તેનાથી એ સમગ્ર યુદ્ધને, બધી જ ઘટનાઓને અને સૈનિકોના મનમાં આવેલા વિચારોને પણ જાણી લેશે, સાંભળી લેશે, જોઇ લેશે, અને બધી વાતો તમને સંભળાવી પણ દેશે." એમ કહીને વ્યાસજીએ સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી.
 
નક્કી કરેલા સમય પ્રમાણે કુરુક્ષેત્રમાં યુદ્ધ શરૂ થયું. દસ દિવસ સુધી સંજય યુદ્ધના સ્થળે જ રહ્યા. જ્યારે ભીષ્મ પિતામહને બાણો વડે રથ ઉપરથી પાડી દેવામાં આવ્યા, ત્યારે સંજયે હસ્તિનાપુરમાં (જ્યાં ધૃતરાષ્ટ્ર બેઠેલા હતા ત્યાં) આવીને ધૃતરાષ્ટ્રને એ સમાચાર સંભળાવ્યા. એ સમાચાર સાંભળીને ધૃતરાષ્ટ્રને ભારે દુઃખ થયું અને તેઓ વિલાપ કરવા લાગ્યા. પછી તેમણે સંજયને યુદ્ધનો પૂરો વૃતાંત સંભળાવવા કહ્યું. ભીષ્મપર્વના ચોવીસમા અધ્યાય સુધી સંજયે યુદ્ધસંબંધી વાતો ધૃતરાષ્ટ્રને સંભળાવી.[૧] પચીસમા અધ્યાયના આરંભમાં ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે.


[૧] - મહાભારતમાં કુલ અઢાર પર્વો છે. એ પર્વોમાં કેટલાંક પેટા પર્વો પણ છે. એમાંથી (ભીષ્મપર્વની અંદર) આ 'શ્રીમદ્ ભગવદ્ ગીતા પર્વ' છે, જે ભીષ્મપર્વના તેરમા અધ્યાયથી શરૂ થઇ બેંતાળીસમાં અધ્યાયમાં સમાપ્ત થાય છે.

અધ્યાય ૦૧ - શ્લોક ૦૧

મૂળ શ્લોક: 

धृतराष्ट्र उवाच:
धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः ।
मामकाः पाण्डवाश्चैव किमकुर्वत संजय ॥ १ ॥

શ્લોક ભાવાર્થ: 

ધૃતરાષ્ટ્ર બોલ્યા - હે સંજય ! ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધની ઇચ્છાથી એકત્ર થયેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું?

સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 

'धर्मक्षेत्रे कुरुक्षेत्रे' - કુરુક્ષેત્રમાં દેવોએ યજ્ઞ કર્યો હતો. કુરુ રાજાએ પણ અહીં તપ કર્યું હતું. યજ્ઞ વગેરે ધર્મમય કાર્યો થયા હોવાથી તથા કુરુ રાજાની તપસ્યાભૂમિ હોવાથી એને ધર્મભૂમિ કુરુક્ષેત્ર કહેવામાં આવ્યું છે.

અહીં 'धर्मक्षेत्रे' અને 'कुरुक्षेत्रे' પદોમાં 'क्षेत्रे' શબ્દ આપવામાં ધૃતરાષ્ટ્રનો અભિપ્રાય એ છે કે આ પોતાની કુરુવંશીઓની ભૂમિ છે. આ કેવળ લડાઇની ભૂમિ જ નથી, પરંતુ તિર્થભૂમિ છે, જેમાં પ્રાણી જીવતેજીવત પવિત્ર કર્મો કરીને પોતાનું કલ્યાણ કરી શકે છે. આ રીતે લૌકિક અને પારલૌકિક બધી જાતનો લાભ થઇ જાય - એવો વિચાર કરીને તેમ જ શ્રેષ્ઠ પુરુષોની સંમતિ લઇને જ યુદ્ધ માટે આ ભૂમિની પસંદગી કરવામાં આવી છે.

સંસારમાં મોટે ભાગે ત્રણ બાબતોને કારણે લડાઇ થાય છે - જમીન, ધન અને સ્ત્રી. આ ત્રણમાં પણ રાજાઓનું આપસઅપસમાં લડવું મુખ્યત્વે જમીનને કારણે હોય છે. અહીં 'कुरुक्षेत्रे' પદ આપવાનું તાત્પર્ય પણ જમીનને કારણે લડવામાં છે. કુરુવંશમાં ધૃતરાષ્ટ્ર અને પાંડુના પુત્રો - બધા એક જ ગણાય છે. કુરુવંશના હોવાથી બંનેનો કુરુક્ષેત્રમાં અર્થાત્ રાજા કુરુની જમીન ઉપર સમાન અધિકાર લાગે છે. આ કારણથી (કૌરવોએ પાંડવોને એમની જમીન ન આપવાને કારણે) બંને જમીનને માટે લડાઇ કરવા આવ્યા છે.

જોકે પોતાની જમીન હોવાને કારણે બંનેને માટે 'कुरुक्षेत्रे' પદ વાપરવું એ યુક્તિસંગત અને ન્યાસસંગત છે, તેમ છતાં આપણી સનાતન વૈદિક સંસ્કૃતિ એવી વિલક્ષણ છે કે કોઇ પણ કાર્ય કરવું હોય, ત્યારે તે ધર્મને સામે રાખીને જ કરવામાં આવે છે, જેથી યુદ્ધમાં મરનારાઓનો ઉદ્ધાર થઇ જાય અને કલ્યાણ થઇ જાય.

અહીં આરંભમાં 'धर्म' પદથી એક બીજી વાત પણ દેખાય છે. જો આરંભના 'धर्म' પદમાંથી 'धर्' લઇ લેવામાં આવે અને અઢારમા અધ્યાયના છેલ્લા શ્લોકના 'मम' પદમાંથી 'म' લઇ લેવામાં આવે, તો 'धर्म' શબ્દ બની જાય છે. આથી સંપૂર્ણ ગીતા ધર્મની અંતર્ગત છે અર્થાત્ ધર્મનું પાલન કરવાથી ગીતાના સિદ્ધાંતો અનુસાર કર્તવ્યકર્મ કરવાથી ધર્મનું અનુષ્ઠાન થઇ જાય છે.

આ 'धर्मक्षेत्रे कुरुक्षेत्रे' પદો ઉપરથી બધા મનુષ્યોએ બોધપાઠ લેવો જોઇએ કે કોઇ પણ કાર્ય કરવું હોય તો તે ધર્મને દ્રષ્ટિ સમક્ષ રાખીને જ કરવું જોઇએ. માત્ર પોતાના સુખ અને આરામની દ્રષ્ટિએ નહિ; અને કર્તવ્ય-અકર્તવ્યની બાબતમાં શાસ્ત્રને દ્રષ્ટિ સમક્ષ રાખવું જોઇએ (ગીતા અધ્યાય ૧૬/૨૪).

'समवेता युयुत्सवः' - રાજાઓ દ્વારા વારંવાર સંધિનો પ્રસ્તાવ મૂકવા છતાં પણ દૂર્યોધને સંધિ કરવાનો સ્વીકાર કર્યો નહિ. એટલું જ નહિ, ભગવાન શ્રીકૃષ્ણના કહેવા છતાં પણ મારા પુત્ર દુર્યોધને સ્પષ્ટ જણાવી દીધું કે યુદ્ધ વિના હું તીક્ષ્ણ સોયની અણી જેટલી જમીન પણ પાંડવોને નહિ આપું [૩]. ત્યારે નિરુપાય થઇને પાંડવોએ પણ યુદ્ધ કરવાનો સ્વીકાર કર્યો. આ રીતે મારા પુત્રો અને પાંડુના પુત્રો - બંનેય સેનાઓ સહિત યુદ્ધની ઇચ્છાથી એકઠા થયા છે.

બંને સેનાઓમાં યુદ્ધની ઇચ્છા રહેવા છતાં પણ દુર્યોધનના મનમાં યુદ્ધની ઇચ્છા વિશેષ રૂપથી હતી. એનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યપ્રાપ્તિનો જ હતો. એ રાજ્યપ્રાપ્તિ ધર્મથી થાય કે અધર્મથી થાય, ન્યાયથી થાય કે અન્યાયથી થાય, વિહિત રીતે થાય કે નિષિદ્ધ રીતે થાય, કોઇ પણ રીતે અમને રાજ્ય મળવું જોઇએ - એવો એનો ભાવ હતો. એટલા માટે વિશેષ રૂપે દુર્યોધનનો પક્ષ જ યુયુત્સુ અર્થાત્ યુદ્ધની ઇચ્છાવાળો હતો.

પાંડવોમાં ધર્મનું પ્રાધાન્ય હતું. એમનો એવો ભાવ હતો કે અમે ભલેને ગમે તેવો જીવનનિર્વાહ કરી લઇશું, પરંતુ અમારા ધર્મપાલનમાં વિઘ્ન નહિ આવવા દઇએ અને ધર્મની વિરુદ્ધ નહિ ચાલીએ. આ વાતને લીધે મહારાજ યુધિષ્ઠિર યુદ્ધ કરવા ઇચ્છતા ન હતા. પરંતુ જે માતાની આજ્ઞાથી યુધિષ્ઠિરે ચારેય ભાઇઓ સહિત દ્રૌપદી સાથે વિવાહ કર્યા હતા, તે માતાની આજ્ઞા થવાને કારણે જ મહારાજ યુધિષ્ઠિરની યુદ્ધમાં પ્રવૃત્તિ થઇ હતી [૪]. અર્થાત્ કેવળ માની આજ્ઞાના પાલન રૂપ ધર્મથી જ યુધિષ્ઠિર યુદ્ધની ઇચ્છાવાળા થયા હતા. તાત્પર્ય એ છે કે દુર્યોધન વગેરે તો રાજ્યને માટે જ યુયુત્સુ હતા, પરંતુ પાંડવો ધર્મને માટે જ યુયુત્સુ બન્યા હતા.

'मामकाः पाण्डवाश्चैव' - પાંડવો ધૃતરાષ્ટ્ર ને (પોતાના પિતાના મોટા ભાઇ હોવાથી) પિતાતુલ્ય માનતા હતા અને એમની આજ્ઞાનું પાલન કરતા હતા. ધૃતરાષ્ટ્ર દ્વારા અનુચિત આજ્ઞા દેવાય તોપણ પાંડવો ઉચિત-અનુચિતનો વિચાર નહિ કરીને એમની આજ્ઞાનું પાલન કરતા હતા. આથી અહીં 'मामकाः' પદની અંતર્ગત કૌરવ [૫] અને પાંડવ બંને આવી જાય છે. તેમ છતાં 'पाण्डवाः' પદ જુદું આપવાનું તાત્પર્ય એ છે કે ધૃતરાષ્ટ્રનો પોતાના પુત્રોમાં અને પાંડુના પુત્રોમાં સમાન ભાવ ન હતો. એમનામાં પક્ષપાત હતો, પોતાના પુત્રોમાં મોહ હતો. તેઓ દુર્યોધન વગેરેને તો પોતાના માનતા હતા, પરંતુ પાંડવોને પોતાના માનતા ન હતા [૬]. આ કારણથી તેમણે પોતાના પુત્રો માટે 'मामकाः' અને પાંડુના પુત્રોને માટે 'पाण्डवाः' પદનો પ્રયોગ કર્યો છે; કારણ કે જે ભાવો હૈયામાં હોય છે, તે જ ઘણું કરીને વાણીથી બહાર નીકળે છે. આ વ્દૈધીભાવ (ભેદભાવ) ને કારણે જ ધૃતરાષ્ટ્રને પોતાના કુળના સંહારનું દુઃખ ભોગવવું પડ્યું. એના ઉપરથી મનુષ્યમાત્રે એ બોધપાઠ લેવો જોઇએ કે તેઓ પોતાનાં ઘરોમાં, મહોલ્લાઓમાં, ગામોમાં, પ્રાંતોમાં, દેશોમાં અને સંપ્રદાયોમાં વ્દૈધીભાવ અર્થાત્ આ આપણા છે, આ બીજા છે - એવો ભાવ ન રાખે. કારણ કે વ્દૈધીભાવથી આપસમાં પ્રેમ કે સ્નેહ થતો નથી પણ ઊલટાનો કલહ થાય છે.

અહીં 'पाण्डवाः' પદની સાથે 'एव' પદ આપવાનું તાત્પર્ય એ છે કે પાંડવો તો મોટા ધર્માત્મા છે; આથી એમણે યુદ્ધ નહોતું કરવું જોઇતું. પરંતુ તેઓ પણ યુદ્ધને માટે રણભૂમિમાં આવી ગયા, તો ત્યાં આવીને એમણે શું કર્યું?

['मामकाः અને पाण्डवाः' [૭] - એ બેમાંથી પહેલા 'मामकाः' પદનો ઉત્તર સંજય આગળના (બીજા) શ્લોકથી તેરમા શ્લોક સુધી આપશે કે આપના પુત્ર દુર્યોધને પાંડવોની સેનાને જોઇને દ્રોણાચાર્યના મનમાં પાંડવોના મુખ્યમુખ્ય સેનાપતિઓનાં નામ લીધાં. એ પછી દુર્યોધને પોતાની સેનાના મુખ્યમુખ્ય યોદ્ધાઓનાં નામ લઇને એમના રણકૌશલ્ય વગેરેની પ્રશંસા કરી. દુર્યોધનને પ્રસન્ન કરવા માટે ભીષ્મજીએ જોરથી શંખ વગાડ્યો. એને સાંભળીને કૌરવસેનામાં શંખ વગેરે વાદ્યો વાગી ઊઢ્યાં. પછી ચૌદમા શ્લોકથી ઓગણીસમા શ્લોક સુધી 'पाण्डवाः' પદનો ઉત્તર આપશે કે રથમાં બેઠેલા પાંડવપક્ષના ભગવાન શ્રીકૃષ્ણે શંખ વગાડ્યો. ત્યાર બાદ અર્જુન, ભીમ, યુધિષ્ઠિર, નકુળ, સહદેવ વગેરે પોતપોતાના શંખો વગાડ્યા, જેનાથી દુર્યોધનની સેનાનાં હૈયાં કંપી ઊઠ્યાં. એ પછી પણ સંજય પાંડવોની વાત કહેતાંકહેતા વીસમા શ્લોકથી શ્રીકૃષ્ણ અને અર્જુનના સંવાદના પ્રસંગનો આરંભ કરી દેશે.]

યુદ્ધ થયું નહિ? એ જાતનો વિકલ્પ તો અહીં લઇ શકાતો નથી; કારણ કે દસ દિવસ સુધી યુદ્ધ થઇ ચૂક્યું છે અને ભીષ્મજીને રથ ઉપરથી પાડી નાખ્યા પછી સંજય હસ્તિનાપુર આવીને ધૃતરાષ્ટ્રને ત્યાંની ઘટના સંભળાવી રહ્યા છે.

'મારા અને પાંડુના પુત્રોએ આ શું કર્યું, કે યુદ્ધ કરી બેઠા ! એમણે યુદ્ધ નહોતું કરવું જોઇતું' - એવી નિંદા અથવા આક્ષેપ પણ અહીં નથી સ્વીકારી શકાતો; કેમ કે યુદ્ધ તો ચાલી જ રહ્યું હતું અને ધૃતરાષ્ટ્રના મનમાં પણ આક્ષેપપૂર્વક પૂછવાનો ભાવ ન હતો.

અહીં 'किम्' શબ્દનો અર્થ 'પશ્ન' લેવો એ જ ઠીક બેસે છે. ધૃતરાષ્ટ્ર સંજયને જુદાજુદા પ્રકારની નાનીમોટી બધી ઘટનાઓને અનુક્રમથી વિસ્તારપૂર્વક સારી રીતે જાણવા માટે જ પ્રશ્ન કરી રહ્યા છે.


[૧] - વૈશંપાયન અને જનમેજયના સંવાદની સંદર 'ધૃતરાષ્ટ્રસંજયસંવાદ' છે અને ધૃતરાષ્ટ્ર તથા સંજયના સંવાદની અંદર 'શ્રીકૃષ્ણર્જુનસંવાદ' છે.

[૨] - સંજયનો જ્ન્મ ગવલ્ગણ નામના સૂતથી થયો હતો. તે મુતિઓની જેમ જ્ઞાની અને ધર્માત્મા હતા - 'संजयो मुतिकल्पस्तु यज्ञे सूतो गवल्गणात्' (મહાભારત, આદિપર્વ, ૬૩/૯૭). એ ધૃતરાષ્ટ્રના મંત્રી હતા.

[૩] - यावद्धि तीक्ष्णया सूच्चा विध्येदग्रेण केशव । तावदप्यपरित्याज्यं भूमेर्नः पाण्डवान् प्रति ॥ (મહાભારત, ઉદ્યોગ. ૧૨૭/૨૫)

[૪] - માતા કુંતા ઘણી સહનશીલ હતી. કષ્ટથી બચીને, સુખ, આરામ, રાજ્ય વગેરેની ઇચ્છા - એ વાત એનામાં ન હતી. એ એક વિલક્ષણ માતા હતી, જેણે ભગવાન પાસે વિપત્તિનું જ વરદાન માંગ્યું હતું. એનામાં સુખલોલુપતા ન હતી, પરંતુ એના મનમાં બે વાતોને લઇને ભારે દુઃખ હતું. પહેલી વાત એ કે, રાજ્યને માટે કૌરવપાંડવ આપસાઅપસમાં લડત, કે ગમે તે કરત, પણ મારી પ્રિય પુત્રવધૂ દ્રૌપદીને એ દુર્યોધન વગેરે દુષ્ટોએ સભામાં નગ્ન કરવાની ઇચ્છા કરી, અપમાનિત કરવાની ઇચ્છા કરી - એ ધૃણાપાત્ર ચેષ્ટા કરવી એ માનવતા નથી. આ બાબત માતા કુંતાજી ઘણી જ ખરાબ લાગી.
બીજી વાત, ભગવાન શ્રીકૃષ્ણ પાંડવો તરફથી સંધિનો પ્રસ્તાવ લઇને હસ્તિનાપુર આવ્યા ત્યારે દુર્યોધન, દુઃશાસન, કર્ણ, શકુનિ વગેરી ભગવાનને પકડી લઇને કેદ કરવાની ઇચ્છા કરી. આ વાતને સાંભળીને કુંતાના મનમાં એ વિચાર આવ્યો કે હવે આ દુષ્ટોને જલદીથી મારી નાખવા જોઇએ. કારણ કે એમના જીવતા એઅહેવાથી એમનાં પાપ વધતાં જ રહેશે, જેથી એમને ઘણું જ નુકશાન થશે. આ બે કારણોથી માતા કંતાએ પાંડવોને યુદ્ધને માટે આજ્ઞા આપી હતી.

[૫] - જોકે 'कौरव' શબ્દની અંતર્ગત ધૃતરાષ્ટ્રના પુત્રો દુર્યોધન વગેરે અને પાંડુના પુત્રો યુધિષ્ઠિર વગેરે બધા જ આવી જાય છે, તો પણ આ શ્લોકમાં ધૃતરાષ્ટ્રે યુધિષ્ઠિર વગેરે માટે 'पाण्डव' શબ્દનો પ્રયોગ કર્યો છે. આથી ટીકામાં 'कौरव' શબ્દ દુર્યોધન વગેરે માટે જ આપવામાં આવ્યો છે.

[૬] - ધૃતરાષ્ટ્રના મનમાં વ્દૈધીભાવ હતો કે દુર્યોધન વગેરે મારા પુત્રો છે અને યુધિષ્ઠિર વગેરે મારા પુત્રો નથી, પરંતુ પાંડુના પુત્રો છે. આ ભાવને કારણે દુર્યોધનું ભીમમે વિષ આપીને પાણીમાં ફેંકી દેવું, લાક્ષાગૃહમાં પાંડવોને બાળી નાખવાનો પ્રયત્ન કરવો, યુધિષ્ઠિરની સાથે છળપૂર્વક જુગાર રમવો, પાંડવોનો નાશ કરવાને માટે સેના લઇને વનમાં જવું વગેરે કાર્યો કરવામાં ધૃતરાષ્ટ્રે દુર્યોધનને કદી રોક્યો ન હતો. કારણ કે એમના મનમાં એ જ ભાવ હતો કે જો કોઇ પણ રીતે પાંડવોનો નાશ થઇ જાય, તો મારા પુત્રોનું રાજ્ય સુરક્ષિત રહેશે.

[૭] - અહીં આવેલા 'मामकाः' અને 'पाण्डवाः' નું અલગ અલગ વર્ણન કરવાની દ્રષ્ટ્થી જ આગણ ઉપર સંજયનાં વચનોમાં 'दुर्योधनः' (અધ્યાય ૧/૨) અને 'पाण्डवः' (અધ્યાય ૧/૧૪) શબ્દો પ્રયોજાયા છે.

અધ્યાય ૦૧ - શ્લોક ૦૨

મૂળ શ્લોક: 

संजय उवाच
दृष्ट्वा तु पाण्डवानीकं व्यूढं दुर्योधनस्तदा ।
आचार्यमुपसङ्गम्य राजा वचनमब्रवीत् ॥ २ ॥

શ્લોક ભાવાર્થ: 

સંજય બોલ્યા - એ વખતે વજ્રવ્યૂહથી ઊભી રહેલી પાંડવસેનાને જોઇને રાજા દુર્યોધન દ્રોણાચાર્યની પાસે જઇને આ વચન બોલ્યા.

સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 

'तदा' જે વખતે બન્ને સેનાઓ યુદ્ધને માટે ઊભી રહી હતી, તે સમયની વાત સંજય અહીં 'तदा' પદથી કહે છે. કારણ કે ધૃતરાષ્ટ્રનો પ્રશ્ન 'યુદ્ધની ઇચ્છાવાળા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું' - એ બાબત સાંભળવાને માટે જ હતો. 'तु' - ધૃતરાષ્ટ્રે પોતાના અને પાંડુના પુત્રો વિષે પૂછ્યું છે. આથી સંજય પણ પહેલાં ધૃતરાષ્ટ્રના પુત્રોની વાત બતાવવા માટે અહીં 'तु' પદનો પ્રયોગ કરે છે.
 
'दृष्ट्वा [૧] तु पाण्डवानीकं व्यूढम्' - પાંડવોની વજ્રવ્યૂહથી ઊભેલી સેનાને જોવાનું તાત્પર્ય એ છે કે પાંડવોની સેના ઘણી જ સુંદર રીતે અને એક જ ભાવથી ઊભી હતી અર્થાત્ એમના સૈનિકોમાં બે ભાવો ન હતા, મતભેદ ન હતો. [૨] એમના પક્ષમાં ધર્મ અને ભગવાન શ્રીકૃષ્ણ હતા. જેને પક્ષે ધર્મ અને ભગવાન હોય છે, એમની બીજાઓ ઉપર ભારે અસર પડે છે. એટલા માટે સંખ્યામાં ઓછી હોવા છતાં પણ પાંડવોની સેનાનું તેજ (પ્રભાવ) હતું ને એની બીજાઓ ઉપર ભારે અસર પડતી હતી. આથી પાંડવસેનાની દુર્યોધન ઉપર ભારે અસર પડી, જેથી તે દ્રોણાચાર્ય પાસે જઇને નીતિવાળાં ગંભીર વચનો બોલે છે.
 
'राजा दुर्योधनः' - દુર્યોધનને રાજા કહેવાનું તાત્પર્ય એ છે કે ધૃતરાષ્ટ્રનું સૌથી વધારે પોતાપણું (મોહ) દુર્યોધનમાં જ હતું. પરંપરાની દ્રષ્ટિએ પણ યુવરાજ દુર્યોધન જ હતો. રાજ્યનાં બધાં કાર્યોની દેખભાળ દુર્યોધન જ કરતો હતો. ધૃતરાષ્ટ્ર તો નામમાત્રના રાજા હતા. યુદ્ધ થવામાં પણ મુખ્ય કારણ દુર્યોધન જ હતો. આ બધાં જ કારણોથી સંજયે દુર્યોધનને માટે 'राजा' શબ્દનો પ્રયોગ કર્યો છે.
 
'आचार्यमुपसङ्गम्य' - દ્રોણાચાર્ય પાસે જવામાં મુખ્યત્વે ત્રણ કારણો જણાય છે -
(૧) પોતાનો સ્વાર્થ સાધવા માટે અર્થાત્ દ્રોણાચાર્યના મનમાં પાંડવો પ્રત્યે દ્વેષ ઉત્પન્ન કરીને એમને પોતાના પક્ષમાં વિશેષ રૂપે લાવવા માટે દુર્યોધન દ્રોણાચાર્ય પાસે ગયો.
(૨) વ્યવહારમાં ગુરુ હોવાના સંબંધથી માન આપવા માટે પણ દ્રોણાચાર્ય પાસે જવું યોગ્ય હતું.
(૩) મુખ્ય વ્યક્તિનું સેનામાં યથાસ્થાને ઊભા રહેવું ઘણું જ જરૂરી હોય છે, નહિતર વ્યવસ્થા બગડી જાય છે. એટલા માટે દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું.
 
અહીં શંકા થઇ શકે કે દુર્યોધને તો પિતામહ ભીષ્મ પાસે જવું જોઇતું હતું, કે જેઓ સેનાપતિ હતા. છતાં દુર્યોધન ગુરુ દ્રોણાચાર્યની પાસે જ કેમ ગયો? એનું સમાધાન એ છે કે દ્રોણ અને ભીષ્મ - બંને ઉભયપક્ષપાતી હતા અર્થાત્ તેઓ કૌરવો અને પાંડવો - બંનેનો પક્ષ ખેંચતા હતા. એ બન્નેમાં પણ દ્રોણાચાર્યને વધુ રાજી કરવાના હતા, કારણ કે દ્રોણાચાર્યની સાથે દુર્યોધનના ગુરુ હોવાના સંબંધથી તો સ્નેહ હતો, પરંતુ કુટુંબના સંબંધથી સ્નેહ ન હતો; અને અર્જુન ઉપર દ્રોણાચાર્યની વિશેષ કૃપા હતી. આથી એમને તાજી કરવા માટે દુર્યોધનનું એમની પાસે જવું જ યોગ્ય હતું. વ્યવહારમાં પણ એ જોવા મળે છે કે જેની સાથે સ્નેહ નથી હોતો, એની પાસેથી પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે માણસ એને વધારે માન આપીને રાજી કરે છે.
 
દુર્યોધનના મનમાં એ વિશ્વાસ હતો કે ભીષ્મજી તો અમારા દાદા જ છે; આથી એમની પાસે જ જાઊં તો પણ કંઇ વાંધો નથી. ન જવાથી કદાચ એ નારાજ પણ થઇ જશે તો હું કોઇક રીતે એમને રાજી કરી દઇશ. કારણ કે પિતામહ ભીષ્મની સાથે કૌટુંબિક સંબંધ અને સ્નેહ હતો જ, ભીષ્નનો પણ એની સાથે કૌટુંબિક સંબંધ અને સ્નેહ હતો. એટલા માટે ભીષ્મજીએ દુર્યોધનને રાજી કરવા માટે જોરથી શંખ વગાડ્યો. (અ. ૧/૧૨)
 
'वचनमब्रवीत्' - અહીં 'अब्रवीत्' કહેવું જ પૂરતું હતું; કેમ કે 'अब्रवीत्' ક્રિયાની અંતર્ગત જ 'वचनम्' આવી જાય છે અર્થાત્ દુર્યોધન બોલત, તો 'वचनम्' જ બોલત. એટલા માટે અહીં 'वचनम्' શબ્દની આવશ્યકતા ન હતી આમ છતાં 'वचनम्' શબ્દ આપવાનું તાત્પર્ય એ છે કે દુર્યોધન નીતિયુક્ત ગંભીર વચનો બોલે છે, જેથી દ્રોણાચાર્યના મનમાં પાંડવો પ્રત્યે દ્વેષ પેદા થઇ જાય અને તેઓ અમારા જ પક્ષમાં રહીને સારી રીતે યુદ્ધ કરે, જેથી અમારો વિજય થઇ જાય અને અમારો સ્વાર્થ સિદ્ધ થઇ જાય.
 


[૧] - આ અધ્યાયમાં ત્રણ વાર 'दृष्ट्वा' (જોઇને) પદનો પ્રયોગ થયો છે - પાંડવસેનાને જોઇને દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જવું (અ. ૧/૨); કૌરવસેનાને જોઇને અર્જુનનું ધનુષ્યને ઉઠાવવું (અ. ૧/૨0); અને પોતાનાં સ્વજનો (કુટુંબીઓ) ને જોઇને અર્જુનનું મોહાવિષ્ટ થવું (અ. ૧/૨૮). આ ત્રણમાંથી વે 'दृष्ट्वा' તો આપસાઅપસમાં સેના જોવાને માટે વપરાયા છે અને એક 'दृष्ट्वा' સ્વજનોને જોવા માટે વપરાયું છે, જેનાથી અર્જુનનો ભાવ બદલાઇ જાય છે.
 
[૨] - કૌરવસેનામાં મતભીદ હતો; કારણ કે દુર્યોધન, દુઃશાસન વગેરે તો યુદ્ધ કરવાને ઇચ્છતા હતા, પરંતુ ભીષ્મ, દ્રોણ, વિકર્ણ વગેરે યુદ્ધ કરવાને ઇચ્છતા ન હતા. એ નિયમ છે કે જ્યાં આપસઆપસમાં મતભેદ હોય છે, ત્યાં તેજ (પ્રભાવ) રહેતું નથી -
काँच कटोरो कुम्भ पय मोती मिंत अवास । ताल घाव तिरिया कटक फाटा करें बिनास ॥

શ્લોક માહિતી: 

સંબંધ - ધૃતરાષ્ટ્રના પ્રશ્નનો ઉત્તર સંજય આગળના શ્લોકથી આપવાનો આરંભ કરે છે.

અધ્યાય ૦૧ - શ્લોક ૦૩

મૂળ શ્લોક: 

पश्यैतां पाण्डुपुत्राणामाचार्य महतीं चमूम् ।
व्यूढां द्रुपदपुत्रेण तव शिष्येण धीमता ॥ ३ ॥

શ્લોક ભાવાર્થ: 

હે આચાર્ય ! આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદપુત્ર ધૃષ્ટદ્યુમ્ન દ્વારા વ્હૂહરચનાથી ઊભી કરાયેલી પાંડવોની આ ઘણી મોટી સેનાને જુઓ.

સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 

'आचार्य' - દ્રોણને માટે આચાર્ય સંબોધન આપવામાં દુર્યોધનનો એવો ભાવ દેખાય છે કે આપ અમારા બધાના - કૌરવો અને પાંડવોના આચાર્ય છો. શસ્ત્રવિદ્યા શિખવનારા હોવાથી આપ બધાના ગુરુ છો. એટલા માટે આપના મનમાં કોઇનો પક્ષ અથવા આગ્રહ નહિ હોવો જોઇએ.
 
'तव शिष्येण धीमता' - આ પદોનો પ્રયોગ કરવામાં દુર્યોધનનો ભાવ એ છે કે આપ એટલા સરળ છો કે આપને મારવા માટે જન્મ લેવાવાળા ધૃષ્ટદ્યુમ્નને પણ આપે અસ્ત્રશસ્ત્રની વિદ્યા શિખવાડી છે; ને તે આપનો શિષ્ય ધૃષ્ટદ્યુમ્ન એટલો બુદ્ધિમાન છે કે એણે આપને મારવા માટે આપની પાસેથી જ અસ્ત્રશસ્ત્રની વિદ્યા શીખી છે !
 
'द्रुपदपुत्रेण' - આ પદ કહેવાનો આશય એ છે કે આપને મારવાના ઉદ્દેશ્યને કારણે જ દ્રુપદે યાજ અને ઉપયાજ નામના બ્રહ્મણો પાસે યજ્ઞ કરાવ્યો, જેનાથી ધૃષ્ટદ્યુમ્ન આપની સમક્ષ (વિરોધીપક્ષે) સેનાપતિના રૂપમાં ઊભો છે.
 
જોકે અહીં દુર્યોધન 'દ્રુપદપુત્ર' ને સ્થાને 'ધૃષ્ટદ્યુમ્ન' પણ કહી શકતો હતો, તો પણ દ્રુપદ દ્રોણાચાર્યની સાથે જે વેર રાખતો હતો, એ વેરભાવને યાદ કરાવવાને માટે દુર્યોધન અહીં 'द्रुपदपुत्रेण' શબ્દનો પ્રયોગ કરે છે કે હવે વેર વાળવાની સારી તક છે !
 
'पाण्दुपुत्राणाम् एतां व्यूढां महतीं चमूं पश्य' - દ્રુપદપુત્ર દ્વારા પાંડવોની આ વ્યૂહાકારે ઊભી રખાયેલી ઘણી મોટી સેનાને જુઓ. તાત્પર્ય એ છે કે જે પાંડવો ઉપર આપ સ્નેહ રાખો છો, એ જ પાંડવોએ આપના વિરોધપક્ષે ખાસ આપને મારવાવાળા દ્રુપદપુત્રને સેનાપતિ બનાવીને વ્યૂહરચના કરવાનો અધિકાર આપ્યો છે. જો પાંડવો આપની સાથે સ્નેહ રાખતા હોત તો ઓછામાં ઓછું આપને મારવાવાળાને તો પોતાની સેનાનો મુખ્ય સેનાપતિ બનાવત નહિ, એટલો અધિકાર તો ન આપત. પરંતુ બધું જ જાણવા છતાં પણ એમણે એને જ સેનાપતિ બનાવ્યો છે.
 
જોકે કૌરવોની અપેક્ષાએ પાંડવોની સેના સંખ્યામાં ઓછી હતી અર્થાત્ કૌરવોની સેના અગિયાર અક્ષૌહિણી [૧] અને પાંડવોની સેના સાત અક્ષૌહિણી હતી, તોપણ દુર્યોધન પાંડવોની સેનાને ઘણી મોટી દર્શાવી રહ્યો છે. પાંડવોની સેનાને ઘણી મોટી કહેવામાં બે ભાવો જણાય છે. - (૧) પાંડવોની સેના એવી રીતે વ્યૂહાકારે ઊભી રહી હતી, જેથી દુર્યોધનને થોડી સેના પણ ઘણી જ મોટી દેખાઇ રહી હતી અને (૨) પાંડવસેનામાં સઘળેસઘળા યોદ્ધા એક મતના હતા. આ એકતાને કારણે પાંડવોની નાની સેના પણ બળમાં અને ઉત્સાહમાં મોટી દેખાઇ રહી હતી. આવી સેનાને બતાવીને દુર્યોધન દ્રોણાચાર્યને એમ કહેવા ઇચ્છે છે કે યુદ્ધ કરતી વખતે આપ આ સેનાને સામાન્ય અને નાની નહિ સમજતા. આપ વિશેષ બળનો ઉપયોગ કરીને સાવધાનીથી યુદ્ધ કરજો. પાંડવોનો સેનાપતિ તો આપનો શિષ્ય દ્રુપદપુત્ર જ છે; આથી એના ઉપર વિજય કરવો એ આપને માટે કઇ મોટી વાત છે !
 
'एतां पश्य' કહેવાનું તાત્પર્ય એ છે કે આ પાંડવસેના યુદ્ધને માટે તૈયાર થઇને સામે ઊભી છે. આથી એ સેના પર આપણે કઇ રીતે વિજય કરી શકીએ છીએ - એ વિષયમાં આપે જલદીમાં જલદી નિર્ણય કરકો જોઇએ.
 


[૧] - એક અક્ષૌહિણી સેનામાં ૨૧૮૭૦ રથ; ૨૧૮૭૦ હાથી; ૬૫૬૧૦ ઘોડા અને ૧૦૯૩૫૦ પાયદળ સૈનિકો હોય છે. (મહાભારત, આદિ. ૨/૨૩-૨૬)
શ્લોક માહિતી: 

સંબંધ - દ્રોણાચાર્યની પાસે જઇને દુર્યોધન કયાં વચનો બોલ્યા - એ વાતને આગળના શ્લોકમાં બતાવે છે.

અધ્યાય ૦૧ - શ્લોક ૦૪-૦૬

મૂળ શ્લોક: 

अत्र शूरा महेष्वासा भीमार्जुनसमा युधि ।
युयुधानो विराटश्च द्रुपदश्च महारथः ॥ ४ ॥
धृष्टकेतुश्चेकितानः काशिराजश्च वीर्यवान् ।
पुरुजित्कुन्तिभोजश्च शैब्यश्च नरपुङ्गवः ॥ ५ ॥
युधामन्युश्च विक्रान्त उत्तमौजाश्च वीर्यवान् ।
सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथाः ॥ ६ ॥

શ્લોક ભાવાર્થ: 

અહીં (પાંડવોની સેનામાં) મોટાંમોટાં શૂરવીરો છે, જેમનાં ઘણાં જ મોટાંમોટાં ધનુષ્યો છે તથા જેઓ યુદ્ધમાં ભીમ અને અર્જુનના સમાન છે. તેઓમાં યુયુધાન (સાત્યકિ), રાજા વિરાટ અને મહારથી દ્રુપદ પણ છે. ધૃષ્ટકેતુ અને ચેકિતાન તથા પરાક્રમી કાશીરાજ પણ છે. પુરુજિત અને કુંતીભોજ - એ બન્ને ભાઇઓ તથા મનુષ્યોમાં શ્રેષ્ઠ શૈબ્ય પણ છે. પરાક્રમી ઉત્તમૌજા પણ છે. સુભદ્રાપુત્ર અભિમન્યુ અને દ્રૌપદીના પાંચેય પુત્રો પણ છે. એ સઘળેસઘળા મહારથી છે.

સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 

'अत्र शूरा महेष्वासा भीमार्जुनसमा युधि' - જેનાથી બાણ ચલાવવામાં આવે છે કે ફેંકવામાં આવે છે, એનું નામ 'इष्वास' અર્થાત્ ધનુષ્ય છે. એવાં મોટાંમોટાં 'इष्वास' (ધનુષ્ય) જેમની પાસે છે એ બધા 'महेष्वास' છે. તાત્પર્ય એ છે કે મોટાં ધનુષ્યો ઉપર બાણ ચઢાવવામાં અને પણછ ખેંચવામાં બહુ જ બળ લગાડવું પડે છે. જોરથી ખેંચીને છોડેલું બાણ ઘણો જ પ્રહાર કરે છે. એવાં મોટાંમોટાં ધનુષ્યો પાસે હોવાને કારણે એ બધા બહુ જ બળવાન અને શૂરવીર છે. તેઓ મામૂલી યોદ્ધાઓ નથી. યુદ્ધમાં તેઓ ભીમ અને અર્જુન સમાન છે અર્થાત્ બળમાં તેઓ ભીમ સમાન અને અસ્ત્રશસ્ત્રની કળામાં તેઓ અર્જુન સમાન છે.
 
'युयुधानः' - યુયુધાનએ (સાત્યકિએ) અર્જુન પાસેથી અસ્ત્રશસ્ત્રની વિદ્યા શીખી હતી. એટલા માટે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા દુર્યોધનને નારાયણી સેના આપવા છતાં પણ તે કૃતજ્ઞ થઇને અર્જુનના પક્ષમાં રહ્યો, દુર્યોધનના પક્ષમાં ના ગયો. દ્રોણાચાર્યના મનમાં અર્જુન પ્રત્યે દ્વેષભાવ પેદા કરવા માટે દુર્યોધન મહારથીઓમાં સૌ પહેલાં અર્જુનના શિષ્ય યુયુધાનનું નામ લે છે, તાત્પર્ય એ છે કે આ અર્જુનને તો જુઓ ! એ આપની પાસેથી જ અસ્ત્રશસ્ત્ર ચલાવવાનું શીખ્યો છે અને આપે અર્જુનને એ વરદાન પણ આપ્યું છે કે સંસારમાં તારા સમાન બીજો કોઇ ધનુર્ધર ન બને, એવો પ્રયત્ન કરીશ [૧]. આ પ્રમાણે આપે તો આપના શિષ્ય અર્જુન ઉપર એટલો સ્નેહ રાખ્યો છે, પરંતુ એ કૃતઘ્ન થઇને આપની વિરુદ્ધ લડવાને માટે ઊભો છે, જ્યારે અર્જુનનો શિષ્ય યુયુધાન એના જ પક્ષમાં ઊભો છે. 
[યુયુધાન મહાભારતના યુદ્ધમાં ન મરતાં યાદવોના આપસાઅપસના યુદ્ધમાં માર્યા ગયા.]
 
'विराटश्च' - જેને કારણે અમારા પક્ષના વીર સુશર્મા અપમાનિત કરાયા, આપને સંમોહન-અસ્ત્રથી મોહિત થવું પડ્યું અને અમારા લોકોને પણ જેની ગાયો છોડીને યુદ્ધથી ભાગવું પડ્યું, તે રાજા વિરટ આપના વિરોધપક્ષમાં ઊભો છે.
 
રાજા વિરાટની સાથે દ્રોણાચાર્યને એવો કોઇ વેરભાવ કે દ્વેષભાવ ન હતો; પરંતુ દુર્યોધન એવું સમજે છે કે જો યુયુધાન પછી હું દ્રુપદનું નામ લઉં તો દ્રોણાચાર્યના મનમાં એવો ભાવ આવી શકે છે કે દુર્યોધન પાંડવોની વિરુદ્ધમાં મને ઉશ્કેરીને યુદ્ધ માટે વિશેષપણે પ્રેરણા કરી રહ્યો છે તથા મારા મનમાં પાંડવો પ્રત્યે દ્વેષભાવ પેદા કરી રહ્યો છે. એટલા માટે દુર્યોધન દ્રુપદના નામની પહેલાં વિરાટનું નામ લે છે, જેથી દ્રોણાચાર્ય એની ચાલાકી ન સમજી શકે અને વિશેષપણે યુદ્ધ કરે. [રાજા વિરાટ ઉત્તર, શ્વેત અને શંખ નામના ત્રણે પુત્રો સહિત મહાભારતના યુદ્ધમાં મરણ પામ્યા.]
 
'द्रुपदश्च महारथः' - આપે તો દ્રુપદને પહેલાંની મિત્રતાની યાદ કરાવી, પણ તેણે સભામાં એવું કહીને આપનું અપમાન કર્યું કે હું રાજા છું અને તમે ભીખારી છો; આથી મારી અને તમારી મિત્રતા કેવી? તથા વેરભાવને કારણે આપને મારવાને માટે પુત્ર પણ પેદા કર્યો, એ જ મહારથી દ્રુપદ આપની સાથે લડવા માટે વિરોધ પક્ષમાં ઊભો છે.  [રાજા દ્રુપદ યુદ્ધમાં દ્રોણાચાર્યને હાથે માર્યા ગયા.]
 
'धृष्टकेतुः' - આ ધૃષ્ટકેતુ કેટલો મૂર્ખ છે કે જેના પિતા શિશુપાલમે શ્રીકૃષ્ણે ભરી સભામાં ચક્રથી મારી નાખ્યો હતો, એ જ શ્રીકૃષ્ણના પક્ષમાં એ લડવાને માટે ઊભો છે. [ધૃષ્ટકેતુ દ્રોણાચાર્યને હાથે માર્યા ગયા.]
 
'चेकितानः' - બધી યાધવસેના તો અમારા તરફથી લડવાને માટે તૈયાર છે અને આ યાદવ ચેકિતાન પાંડવોની સેનામાં ઊભો છે. [ચેકિતાન દુર્યોધનને હાથે માર્યા ગયા.]
 
'काशिराजश्च वीर्यवान्' - આ કાશીરાજ ઘણો જ શૂરવીર અને મહારથી છે. એ પણ પાંડવોની સેનામાં ઊભો છે. એટલે આપ સાવધાનીથી યુદ્ધ કરજો; કારણ કે એ મોટો પરાક્રમી છે. [કાશીરાજ મહાભારતના યુદ્ધમાં માર્યા ગયા.]
 
'पुरुजित्कुन्तिभोजश्च' - જો કે યુરુજિત અને કુંતીભોજ - એ બન્ને કુંતીના ભાઇ હોવાથી અમારા અને પાંડવોના મામા છે, તો પણ એમના મનમાં પક્ષપાત હોવાને કારણે એ અમારી વિરુદ્ધના પક્ષે યુદ્ધ કરવાને માટે ઊભા છે. [પુરુજિત અને કુંતીભોજ - બન્નેય યુદ્ધમાં દ્રોણાચાર્યને હાથે માર્યા ગયા.]
 
'शैब्यश्च नरपुङ्गवः' - આ શૈબ્ય યુધિષ્ઠિરના સસરા છે. એ મનુષ્યોમાં શ્રેષ્ઠ અને બહુ જ બળવાન છે. પરિવારને સંબંધે એ પણ અમારા સંબંધી છે. પરંતુ એ પાંડવોને જ પક્ષે ઊભા છે.
 
'युधामन्युश्च विक्रान्त उत्तमौजाश्च वीर्यवान्' - પાંચાલદેશના મહા બળવાન અને વીર યોદ્ધા યુધામન્યુ તથા ઉત્તમૌજા મારા શત્રુ અર્જુનના રથનાં પૈડાંઓની રક્ષા કરવા માટે નિમાયા છે. આપ એમની તરફ પણ નજર રાખજો. [રાત્રે સૂઇ ગયેલા એ બન્નેને અશ્વર્થામાએ મારી નાખ્યા.]
 
'सौभद्रः' - આ શ્રીકૃષ્ણની બહેન સુભદ્રાનો પુત્ર અભિમન્યુ છે. એ બહુ જ શૂરવીર છે. એણે ગર્ભમાં જ ચક્રવ્યૂહભેદનની વિદ્યા શીખી છે. આથી ચક્રવ્યૂહરચનાને વખતે આપ એનો ખ્યાલ રાખજો. [યુદ્ધમાં દુઃશાસનના પુત્ર દ્વારા અન્યાયપૂર્વક શિર ઉપર ગદાનો પ્રહાર કરવાથી અભિમન્યુ યુદ્ધમાં માર્યા ગયા.]
 
'द्रौपदेयाश्च' - યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ - આ પાંચેય દ્વારા દ્રૌપદીના ગર્ભથી અનુક્રમે પ્રતિવિન્ધ્ય, સુતસોમ, શ્રુતકર્મા, શતાનીક અને શ્રુતસેન જન્મ્યા છે. આ પાંચેયને આપ જોઇ લો. દ્રૌપદીએ ભરી સભામાં મારી હાંસી ઉડાવીને મારાને હ્રદયને બાળ્યું છે, એના જ આ પાંચેય પુત્રોને યુદ્ધમાં મારીને આપ એનો બદલો વાળો. [રાત્રે સૂતેલા આ પાંચેયને અશ્વત્થામાએ મારી નાખ્યા.]
 
'सर्व एव महारथाः' - આ શઘળેસઘણા મહારથીઓ છે. જેઓ શાસ્ત્ર અને શસ્ત્રવિદ્યા - બન્નેમાં પ્રવીણ છે અને યુદ્ધમાં એકલા જ એક સાથે દસ હજાર ધનુર્ધારી યોદ્ધાઓનું સંચાલન કરી શકે, એવા વીર પુરુષને મહારથી કહે છે [૨]. એવા ઘણા મહારથીઓ પાંડવસેનામાં ઊભા છે.
 


[૧] - प्रयतिष्य़े तथा कर्तुं यथा नान्यो धनुर्धरः । त्वत्समो भविता लोके सत्यमेतद् ब्रवीमि ते ॥ (મહાભારત, આદિ. ૧૩૧/૨૭)
 
[૨] - एको दशसहस्राणि योधयेद् यस्तु धन्विनाम् । शस्त्रशास्त्रप्रवीणश्च महारथ इति स्मृतः ॥
શ્લોક માહિતી: 

સંબંધ - દ્રોણાચાર્યને પાંડવોની સેના જોવા મટે વિનંતી કરીને હવે દુર્યોધન તેમને પાંડવોની સેનાના મહારથીઓને બતાવે છે.

અધ્યાય ૦૧ - શ્લોક ૦૭

મૂળ શ્લોક: 

अस्माकं तु विशिष्टा ये तान्निबोध द्विहोत्तम ।
नायका मामा सैन्यस्य संज्ञार्थं तान्ब्रवीमि ते ॥ ७ ॥

શ્લોક ભાવાર્થ: 

હે દ્વિજોત્તમ ! અમારા પક્ષમાં પણ જેઓ મુખ્ય છે, એમના ઉપર પણ આપ ધ્યાન આપો. આપને યાદ અપાવવા માટે મારી સેનાના જે નાયકો છે, તેઓને હું કહું છું.

સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 

'अस्माकं तु विशिष्टा ये तान्निबोध द्विजोत्तम' - દુર્યોધન દ્રોણાચાર્યને કહે છે કે, હે દ્વિજશ્રેષ્ઠ ! પાંડવોની સેનામાં શ્રેષ્ઠ મહારથીઓ છે, તો અમારી સેનામાં એમનાથી ઓછી વિશેષતાવાળા મહારથી નથી, ઊલટાના એમની સેનાના મહારથીઓની અપેક્ષાએ વધારે વિશેષતા રાખવાવાળા છે. એમને પણ આપ સમજી લો.
 
ત્રીજા શ્લોકમાં 'पश्य' અને અહીં 'निबोध' ક્રિયા આપવાનું તાત્પર્ય એ છે કે પાંડવોની સેના તો સામે ઊભી છે, એટલા માટે એને જોવા માટે દુર્યોધન 'पश्य' (જુઓ) ક્રિયાનો પ્રયોગ કરે છે. પરંતુ પોતાની સેના સામે નથી અર્થાત્ પોતાની સેનાની તરફ દ્રોણાચાર્યની પીઠ છે, એટલા માટે એને જોવાની વાત ન કહીને એના પર ધ્યાન આપવા માટે 'निबोध' (ધ્યાન આપો) ક્રિયાનો પ્રયોગ કરે છે.
 
'नायका मामा सैन्यस्य संज्ञार्थं तान्ब्रवीमि ते' - મારી સેનામાં પણ જેઓ વિશિષ્ટવિશિષ્ટ સેનાપતિઓ છે, સેનાનાયકો છે અને મહારથીઓ છે, હું તેમનાં નામો કેવળ આપને યાદ અપાવવા માટે, આપનું ધ્યાન એ તરફ ખેંચવા માટે જ કહી રહ્યો છું.
 
'संज्ञार्थम्' - પદનું તાત્પર્ય એ છે કે અમારા ઘણા જ સેનાનાયકો છે, એમનાં નામો હું ક્યાં સુધી કહું? એટલા માટે હું એમનો કેવળ સંકેતમાત્ર કરું છું, કેમકે આપ તો બધાને જાણો જ છો.
 
આ શ્લોકમાં દુર્યોધનનો એવો ભાવ પ્રતીત થાય છે કે અમારો પક્ષ કોઇ પણ રીતે કમજોર નથી. પરંતુ રાજનીતિ પ્રમાણે, શત્રુપક્ષ ચાહે કેટલાય કમજોર હોય અને પોતાનો પક્ષ ચાહે કેટલોય સબળ હોય, એવી અવસ્થામાં પણ શત્રુપક્ષને કમજોર ના સમજવો જોઇએ અને પોતાના પક્ષમાં ઉપેક્ષા, ઉદાસીનતા વગેરે ભાવો કિંચિત્માત્ર પણ ના આવવા દેવા જોઇએ. એટલા માટે સાવચેતી માટે મેં એમના સૈન્યની વાત કહી અને હવે આપણી સેનાની વાત કહું છું.
 
બીજો ભાવ એ છે કે પાંડવોની સેનાને જોઇને દુર્યોધન ઉપર ભારે પ્રભાવ પડ્યો અને એના મનમાં કંઇક ભય પણ પેદા થયો. કારણ કે સંખ્યામાં ઓછી હોવા છતાં પણ પાંડવસેનાના પક્ષમાં ઘણા બધા ધર્માત્મા પુરુષો હતા અને ભગવાન પોતે પણ હતા. જે પક્ષમાં ધર્મ અને ભગવાન રહે છે, તેનો બધાના ઉપર પ્રભાવ પડે છે. પાપીમાં પાપી અને દુષ્ટમાં દુષ્ટ વ્યક્તિ ઉપર પણ એનો પ્રભાવ પડે છે. એટલું જ મહિ, પશુપક્ષી, વૃક્ષલતા વગેરે ઉપર પણ એનો પ્રભાવ પડે છે. કારણ કે ધર્મ અને ભગવાન નિત્ય છે. કેટલીયે ઊંચામાં ઊંચી ભૌતિક શક્તિઓ કેમ ના હોય, પણ છે તો એ બધી અનિત્ય જ. એતલા માટે દુર્યોધન ઉપર પાંડવસેનાની ઘણી અસર પડી. પરંતુ એના અંતરમાં ભૌતિક બળનો વિશ્વાસ મુખ્ય હોવાથી તે દ્રોણાચાર્યને વિશ્વાસ આપવા માટે કહે છે કે આપણા પક્ષમાં જેતલી વિશેષતા છે, એટલી પાંડવોની સેનામાં નથી. આથી આપણે એમના ઉપર સહજ રીતે જ વિજય કરી શકીએ છીએ.

શ્લોક માહિતી: 

સંબંધ - દ્રોણાચાર્યના મનમાં પાંડવો પ્રત્યે દ્વેષ પેદા કરવા અને યુદ્ધ માટે ઉત્સાહ આપવા માતે દુર્યોધને પાંડવસેનાની વિશેષતા બતાવી. દુર્યોધનના મનમાં વિચાર આવ્યો કે દ્રોણાચાર્ય પાંડવોના પક્ષપાતી છે જ; આથી તેઓ પાંડવસેનાનું મહત્વ સાંભળીને મને એમ કહી શકે છે કે જો પાંડવોની સેનામાં આટલી વિશેષતા છે તો એમની સાથે તું સંધિ કેમ નથી કરી લેતો? એવા વિચાર આપતાં જ દુર્યોધન આગળના ત્રણ શ્લોકોમાં પોતાની સેનાની વિશેષતા બતાવે છે.

અધ્યાય ૦૧ - શ્લોક ૦૮

મૂળ શ્લોક: 

भवान्भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः ।
अश्वत्थामा विकर्णश्च सौमदत्तिस्तथैव च ॥ ८ ॥

શ્લોક ભાવાર્થ: 

આપ (દ્રોણાચાર્ય) અને પિતામહ ભીષ્મ તથા કર્ણ અને સંગ્રામવિજયી કૃપાચાર્ય તથા એવા જ અશ્વત્થામા, વિકર્ણ અને સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા.

સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 

'भवान् भीष्मश्च' - આપ અને પિતામહ ભીષ્મ - બન્નેય ઘણા વિશેષ પુરુષો છો. આપ બેઉની સમકક્ષ સંસારમાં ત્રીજો કોઇ પણ નથી. જો આપ બેમાંથી કોઇ એક પણ પોતાની પૂર્ણ શક્તિ વાપરીને યુદ્ધ કરે, તો દેવતા, યક્ષ, રાક્ષસ, મનુષ્ય વગેરેમાં એવો કોઇ પણ નથી, કે જે આપની સામે ટકી શકે. આપ બન્નેના પરાક્રમની વાત જગતમાં પ્રસિદ્ધ જ છે. પિતામહ ભીષ્મ તો આબાલ બ્રહ્મચારી છે અને ઇચ્છામૃત્યુ છે અર્થાત્ એમની ઇચ્છા વિના એમને કોઇ મારી જ નથી શકતા. [મહાભારતના યુદ્ધમાં દ્રોણાચાર્ય ધૃષ્ટદ્યુમ્ન દ્વારા માર્યા ગયા, અને પિતામહ ભીષ્મે પોતાની ઇચ્છાથી જ સૂર્યના ઉત્તરાયણ થયા પછી પોતાના પ્રાણોનો ત્યાગ કરી દીધો.]
 
'कर्णश्च' - કર્ણ તો ઘણો જ શૂરવીર છે. મને તો એવો વિશ્વાસ છે કે તે એકલો જ પાંડવસેના ઉપર વિજય પ્રાપ્ત કરી શકે છે. એની સામે અર્જુન પણ કંઇ કરી શકે તેમ નથી. એવો એ કર્ણ પણ અમારા પક્ષમાં છે. [કર્ણ મહભારતના યુદ્ધમાં અર્જુન દ્વારા માર્યા ગયા.]
 
'कृपश्च समितिञ्जयः' - કૃપાચાર્યની તો વાત જ શું કરવી ! તેઓ તો ચિરંજીવી છે, [૧] અમારા પરમ હિતેચ્છુ છે અને સમગ્ર પાંડવસેના ઉપર વિજય પ્રાપ્ત કરી શકે તેવા છે.
 
જોકે અહીં દ્રોણાચાર્ય અને ભીષ્મના પછી જ દુર્યોધને કૃપાચાર્યનું નામ લેવું જોઇતું હતું, પરંતુ દુર્યોધનને કર્ણ ઉપર જેટલો વિશ્વાસ હતો, એટલો કૃપાચાર્ય ઉપર ન હતો. એટલા માટે કર્ણનું નામ તો હૈયામાંથી વચમાં જ નીકળી પડયું. દ્રોણાચાર્ય અને ભીષ્મ ક્યાંય કૃપાચાર્યનું અપમાન ન સમજી લે, એટલા માટે દુર્યોધન કૃપાચાર્યને 'સંગ્રામવિજયી' વિશેષણ આપીને એમને પ્રસન્ન કરવા માગે છે.
 
'अश्वत्थामा' - એ પણ ચિરંજીવી છે અને આપના જ પુત્ર છે. એ ઘણા મોટા શૂરવીર છે. એમણે આપની પાસેથી જ અસ્ત્રશસ્ત્રની વિદ્યા શીખી છે. અસ્ત્રશસ્ત્રની કળામાં તેઓ ઘણા ચતુર છે.
 
'विकर्णश्च सौमदत्तिस्तथैव च' - આપ એવું ન સમજશો કે માત્ર પાંડવો જ ધર્માત્મા છે, આપણા પક્ષમાં પણ મારો ભાઇ વિકર્ણ મોટો ધર્માત્મા અને શૂરવીર છે. એવી જ રીતે આપણા પ્રપિતામહ શાંતનુના ભાઇ બાહ્લીકના પૌત્ર તથા સોમદત્તના પુત્ર ભૂરિશ્રવા પણ મોટા ધર્માત્મા છે. એમણે મોટીમોટી દક્ષિણાવાળા અનેક યજ્ઞો કર્યા છે. તેઓ મોટા શૂરવીર અને મહારથી છે. [યુદ્ધમાં વિકર્ણ ભીમ દ્વારા અને ભૂરિશ્રવા સાત્યકિ દ્વારા માર્યા ગયા.]
 
અહીં એ શૂરવીરનાં નામ લેવામાં દુર્યોધનનો એ ભાવ જણાઇ આવે છે કે હે આચાર્ય ! આપણી સેનામાં આપ, ભીષ્મ, કર્ણ, કૃપાચાર્ય વગેરે જેવા મહાન પરાક્રમી શૂરવીરો છે, એવા પાંડવોની સેનામાં જોવામાં નથી આપવા. આપણી સેનામાં કૃપાચાર્ય અને અશ્વત્થામા - એ બે ચિરંજીવીઓ છે, જ્યારે પાંડવોની સેનામાં એવા એક પણ નથી. આપણી સેનામાં ધર્માત્માઓની પણ કમી નથી. આ કારણથી અમારે માટે ડરવાની કોઇ વાત નથી.
 


[૧] - અશ્વત્થામા, બલિ, વેદવ્યાસ, હનુમાનજી, વિભીષણ, કૃપાચાર્ય, પરશુરામ અને માર્કણ્ડેય - આ આઠ ચિરંજીવીઓ છે. શાસ્ત્રમાં લખ્યું છે કે -
अश्वत्थामा बलिर्व्यासो हनूमांश्च विभीषणः । कृपः परशुरामश्च सप्तैते चिरजीविनः ।
सप्तैतान् संस्मरेन्नित्यं मार्कण्डेयमथाष्टमम् । जीवेद्वर्षशतं सोङपि सर्वव्याधिविवर्जितः ॥

અધ્યાય ૦૧ - શ્લોક ૦૯

મૂળ શ્લોક: 

अन्ये च बहवः शूरा मदर्थे त्यक्तजीविताः ।
नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः ॥ ९ ॥

શ્લોક ભાવાર્થ: 

એમના ઉપરાંત બીજા ઘણાયે શૂરવીરો છે, જેમણે મારે માટે પોતાની જીવવાની ઇચ્છાનો પણ ત્યાગ કરી દીધો છે અને જેઓ અનેક પ્રકારનાં અસ્ત્રશસ્ત્રોને ચલાવવાવાળા છે તથા જેઓ સઘળેસઘળી યુદ્ધકળામાં અત્યંત ચતુર છે.

સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 

'अन्ये च बहवः शूरा मदर्थे त्यक्तजीविताः' - મેં અત્યાર સુધી આપણી સેનાના જેટલા શૂરવીરોનાં નામ લીધાં છે, તેમના ઉપરાંત પણ અમારી સેનામાં બાહ્લીક, શલ્ય, ભગદત્ત, યજદ્રથ વગેરે ઘણાયે શૂરવીર મહારથીઓ છે, જેઓ મારી ભાલાઇ માટે, મારા વતી લડવા માટે પોતાની જીવવાની ઇચ્છાનો ત્યાગ કરીને અહીં આવ્યા છે. તેઓ મારા વિજય માટે મરી ભલે જાય, પરંતુ યુદ્ધમાંથી હઠશે નહિ. એમની હું આપની સમક્ષ કઇ કૃતજ્ઞતા પ્રગટ કરું ?
 
'नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः' - આ બધા લોકો હાથમાં રાખીને પ્રહાર કરવાવાળાં તલવાર, ગદા, ત્રિશૂળ વગેરે વિવિધ પ્રકારનાં શસ્ત્રોની કળામાં નિપુણ છે; હાથ વડે ફેંકીને પ્રહાર કરવાવાળાં બાણ, તોમર, શક્તિ વગેરે અસ્ત્રોની કળામાં પણ નિપુણ છે. યુદ્ધ કેવી રીતે કરવું જોઇએ; કઇ પદ્ધતિથી, કયા પેંતરાથી અને કઇ યુક્તિથી યુદ્ધ કરવું જોઇએ; સેનાને કઇ રીતે ગોઠવવી જોઇએ વગેરે યુદ્ધકળાઓમાં પણ તેઓ ઘણા નિપુણ અને કુશળ છે. 

અધ્યાય ૦૧ - શ્લોક ૧૦

મૂળ શ્લોક: 

अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितम् ।
पर्याप्तं त्विदमेतेषां बलं भीमाभिरक्षितम् ॥ १० ॥

શ્લોક ભાવાર્થ: 

તે અમારી સેના પાંડવો ઉપર વિજય મેળવવા અપૂરતી છે, અસમર્થ છે; કેમકે તેના સંરક્ષક (બન્ને પક્ષનું ભલું ઇચ્છનારા) ભીષ્મ છે. પરંતુ આ પાંડવોની સેના અમારા ઉપર વિજય મેળવવા પૂરતી છે, સમર્થ છે; કેમકે તેના સંરક્ષક (પોતાની સેનાનો જ પક્ષ ખેંચનાર) ભીમસેન છે.

સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 

'अपर्याप्तं तदस्मकं बलं भीष्माभिरक्षितम्' - અધર્મ-અન્યાયને લીધે દુર્યોધનના મનમાં ભય હોવાથી તે પોતાની સેના વિષે વિચારે છે કે અમારી સેના મોટી હોવા છતાં પણ અર્થાત્ પાંડવોની સરખામણીએ ચાર અક્ષોણી વધારે હોવા છતાં પણ પાંડવો ઉપર વિજય મેળવવામાં તો અસમર્થ જ છે ! કારણ કે અમારી સેનામાં મતભેદ છે. તેમાં એટલી એકતા (સંગઠન), નિર્ભયતા અને નિઃસંકોચતા નથી, જેટલી પાંડવોની સેનામાં છે. અમારી સેનાના મુખ્ય સંરક્ષક પિતામહ ભીષ્મ બન્ને પક્ષનું ભલું ઇચ્છનારા છે અર્થાત્ એમના મનમાં કૌરવ અને પાંડવ બન્ને સેનાઓનો પક્ષ છે. તેઓ કૃષ્ણના મહાન ભક્ત છે. એમના હ્રદયમાં યુધિષ્ઠિર માટે ઘણો આદરભાવ છે. અર્જુન ઉપર પણ એમનો ભારે પ્રેમ છે. આથી એ અમારા પક્ષમાં રહેવા છતાં પણ અંદરખાને પાંડવોનું ભલું ઇચ્છે છે. એ જ ભીષ્મ અમારી સેનાના મુખ્ય સેનાપતિ છે. એવી પરિસ્થિતિમાં અમારી સેના પાંડવોનો સામનો કરવા કેવી રીતે સમર્થ થઇ શકે? ના જ થઇ શકે.
 
'पर्याप्तं त्विदमेतेषां बलं भीमाभिरक्षितम्' - પરંતુ આ જે પાંડવોની સેના છે, તે અમારી ઉપર વિજય મેળવના સમર્થ છે. કારણ કે એમની સેનામાં મતભેદ નથી, પરંતુ આ જે મતના થઇને સંગઠિત છે. એમની સેનાનો સંરક્ષક બળવાન ભીમસેન છે, જે બાળપણથી જ મને હરાવતો આવ્યો છે. એણે એકલે હાથે મારા સહિત સો ભાઇઓને મારવાની પ્રતિજ્ઞા કરી લીધી છે અર્થાત્ એ અમારો નાશ કરવા તત્પર થયો છે ! એનું શરીર વજ્ર જેવું મજબૂત છે. એને મેં ઝેર પિવાડાવ્યું હતું, છતાં એ મર્યો નહિ. એવો એ ભીમસેન પાંડવોની સેનાનો સંરક્ષક છે, એટલે એ સેના વાસ્તવમાં શક્તિશાળી છે, પૂર્ણ છે.
 
અહીં એવી શંકા થઇ શકે કે દુર્યોધને પોતાની સેનાના સંરક્ષક તરીકે ભીષ્મજીનું નામ લીધું, જે સેનાપતિના પદે નિમાયા છે. પરંતુ પાંડવસેનાના સંરક્ષક તરીકે ભીમનું નામ લીધું, જે સેનાપતિ નથી. એનું સમાધાન એ છે કે દુર્યોધન એ વખતે સેનાપતિઓની વાત વિચારી રહ્યો નથી; પરંતુ બન્ને સેનાઓની શક્તિ વિષે વિચારે રહ્યો છે કે કઇ સેનાની શક્તિ વધારે છે? દુર્યોધન ઉપર આરંભથી જ ભીમસેનની શક્તિની, તેના બળવાનપણાની વધારે અસર પડેલી છે. આથી એ પાંડવસેનાના સંરક્ષક તરીકે ભીમસેનનું જ નામ લે છે.
 


[૧] - સંજય વ્યાસજીએ વિશેષ રૂપે દીધેલી દ્રષ્ટિથી સૈનિકોના મનમાં આવેલી વાતોને પણ જાણી લેવામાં સમર્થ હતા -
प्रकाशं वाप्रकाशं वा दिवा वा यदि वा निशि । मनसा चिन्तितमपि सर्वं वेत्स्यति संजयः ॥ (મહાભારત, ભીષ્મ. ૨/૧૧)
શ્લોક માહિતી: 

સંબંધ - દુર્યોધનની વાતો સાંભળીને જ્યારે દ્રોણાચાર્ય કશું પણ ના બોલ્યા, ત્યારે પોતાની ચાલાકી નહિ ચાલી શકવાથી દુર્યોધનના મનમાં કયો વિચાર આવે છે - એને સંજય હવે પછીના શ્લોકમાં કહે છે.[૧]

અધ્યાય ૦૧ - શ્લોક ૧૧

મૂળ શ્લોક: 

अयनेषु च सर्वेषु यथाभागमवस्थिताः ।
भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि ॥ ११ ॥

શ્લોક ભાવાર્થ: 

આપ સઘળેસઘળા લોકો બધા મોરચાઓ ઉપર પોતપોતાની જગાએ દ્રઠતાથી ઊભા રહીને જ પિતામહ ભીષ્મનું ચારે બાજુથી રક્ષણ કરો.

સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 

મોરચાઓ ઉપર આપની નિમણૂક કરવામાં આવી છે, આપ સર્વ યોદ્ધાઓ તે મોરચાઓ ઉપર મક્કમતાપૂર્વક સ્થિર રહીને બધી બાજુથી અને બધી રાતે ભીષ્મજીનું રક્ષણ કરો.
 
ભીષ્મજીનું બધી બાજુથી રક્ષણ કરો - એમ કહીને દુર્યોધન ભીષ્મજીને અંદરખાનેથી પોતાના પક્ષમાં લાવવા માગે છે. એવું કહેવાનો બીજો ભાવ એ છે કે જ્યારે ભીષ્મજી યુદ્ધ કરે, ત્યારે કોઇ પણ વ્યૂહદ્વારેથી શિખંડી એમની સામે ન આવી જાય - એનું આપ લોકો ધ્યાન રાખજો. જો શિખંડી એમની સામે આવી જશે, તો ભીષ્મજી એના ઉપર શસ્ત્રાસ્ત્રો નહિ ચલાવે. કારણ કે શિખંડી પૂર્વ જન્મમાં સ્ત્રી હતો અને આ જન્મમાં પણ પ્રથમ સ્ત્રી હતો, પાછણથી પુરુષ બન્યો છે. એટલા માટે ભીષ્મજી અને સ્ત્રી જ માને છે અને એમણે શિખંડી સાથે યુદ્ધ નહિ કરવાની પ્રતિજ્ઞા કરી રાખી છે. આ શિખંડી શંકરના વરદાનથી ભીષ્મજીને મારવા માટે જ જન્મ્યો છે. આથી જો શિખંડીથી ભીષ્મજીનું રક્ષણ થઇ જશે, તો પછી તેઓ બધાને મારી નાખશે, જેથી ચોક્કસ અમારો જ વિજય થશે. આ વાતને લીધે દુર્યોધન બધા મહારથીઓને ભીષ્મજીનું રક્ષણ કરવાને માટે કહે છે.

શ્લોક માહિતી: 

સંબંધ - હવે દુર્યોધન પિતામહ ભીષ્મને પ્રસન્ન કરવા પોતાની સેનાના બધા મહારથીઓને સંબોધીને કહે છે.

અધ્યાય ૦૧ - શ્લોક ૧૨

મૂળ શ્લોક: 

तस्य सञ्जनयन्हर्षं कुरुवृद्धः पितामहः ।
सिंहनादं विनद्योच्चैः शङ्खं दध्मौ प्रतापवान् ॥ १२ ॥

શ્લોક ભાવાર્થ: 

દુર્યોધનના હ્રદયમાં હર્ષ ઉત્પન્ન કરતાં કુરુવૃદ્ધ પ્રભાવશાળી પિતામહ ભીષ્મે સિંહની જેમ ગર્જના કરીને જોરથી શંખ વગાડ્યો.

સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 

'तस्य संजनयन् हर्षम्' - જોકે દુર્યોધનના હ્રદયમાં હર્ષ થવો એ શંખધ્વનિનું કાર્ય છે અને શંખધ્વનિ એ હર્ષ થવાનું કારણ છે. એટલા માટે અહીં શંખધ્વનિનું વર્ણન પહેલાં થવું જોઇએ અને હર્ષ થવાનું વર્ણન પછી થવું જોઇએ. અર્થાત્ અહીં 'શંખ વગાડતા દુર્યોધનને હર્ષિત કર્યો.' - એમ કહેવું જોઇએ. પરંતુ અહીં એમ ન કહેતાં એવું જ કહ્યું છે કે 'દુર્યોધનને હર્ષિત કરતાં ભીષ્નજીએ શંખ વગાડ્યો'. આમ કહીને સંજય એવો ભાવ પ્રગટ કરી રહ્યા છે કે પિતામહ ભીષ્મની શંખ વગાડવાની ક્રિયામાત્રથી દુર્યોધનના હ્રદયમાં હર્ષ ઉત્પન્ન થઇ જ જશે. ભીષ્મજીની એ પ્રતિભાનું દ્યોતન કરાવવા માટે જ સંજય અગાઉ 'प्रतापवान' વિશેષણ આપે છે.
 
'कुरुवृद्धः' - જોકે કુરુવંશીઓમાં ઉંમરની રીતે જોતાં ભીષ્મજીથી પણ અધિક વૃદ્ધ બાહ્લીક હતા (કે જે ભીષ્મજીના પિતા શાંતનુના નાના ભાઇ હતા), તો પણ કુરુવંશીઓમાં જેટલા મોટાવૃદ્ધ હતા, તે બધામાં ભીષ્મજી ધર્મ અને ઇશ્વરને વિશેષતાથી જાણનારા હતા. આથી જ્ઞાનવૃદ્ધ હોવાને કારણે સંજય ભીષ્મજી માટે 'कुरुवृद्धः' વિશેષણ વાપરે છે.
 
'प्रतापवान्' - ભીષ્મજીના ત્યાગની મોટી અસર હતી. તેઓ કંચનકામિનીમા ત્યાગી હતા અર્થાત્ એમણે રાજ્ય પણ સ્વીકાર્યું નહિ અને લગ્ન પણ કર્યા નહિ. ભીષ્મજી અસ્ત્રશસ્ત્ર ચલાવવામાં ઘણા નિપુણ હતા અને શાસ્ત્રના પણ મોટા જાણકાર હતા. એમના આ બન્ને ગુણોની પણ લોકો ઉપર ઘણી અસર હતી.
 
જ્યારે એકલા ભીષ્મ પોતાના ભાઇ વિચિત્રવીર્ય માટે કાશીરાજની કન્યાઓનું સ્વયંવરમાંથી હરણ કરીને લાવી રહ્યા હતા, ત્યારે સ્વયંવર માટે એકઠા થયેલા બધા ક્ષત્રિયો એમના ઉપર તૂટી પડ્યા. પરંતુ એકલા ભીષ્મજી અસ્ત્રશસ્ત્રની વિદ્યા શીખ્યા હતા, એ ગુરુ પરશુરામજી સમક્ષ પણ એમણે પોતાની હાર સ્વીકારી નહિ. આ રીતે શસ્ત્રની બાબતમાં એમનો ક્ષત્રિયો ઉપર મોટો પ્રભાવ હતો.
 
જ્યારે ભીષ્મ બાણશૈયા ઉપર સૂતા હતા, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે ધર્મરાજાને કહ્યું કે, 'આપને ધર્મના વિષયમાં કંઇ શંકા હોય તો ભીષ્મજીને પૂછી લો; કારણ કે શાસ્ત્રજ્ઞાનનો સૂર્ય અસ્ત પામી રહ્યો છે અર્થાત્ ભીષ્મજી આ લોકમાંથી વિદાય લઇ રહ્યા છે.' [૧] આ રીતે શાસ્ત્રના વિષયમાં એમનો બીજાઓ ઉપર ભારે પ્રભાવ હતો.
 
'पितामहः' - આ પદનો એવો આશય જણાય છે કે દુર્યોધને ચાલાકીથી કહેલી વાતોનો દ્રોણાચાર્યે કોઇ ઉત્તર આપ્યો નહિ. તેઓ એવું સમજ્યા કે દુર્યોધન ચાલાકીથી મને છેતરવા માગે છે, તેથી તેઓ ચુપ જ રહ્યા. પરંતુ પિતામહ (દાદા) હોવાને સંબંધે ભીષ્મજીને દુર્યોધનની ચાલાકીમાં એનું બાળપણ દેખાયું. આથી પિતામહ ભીષ્મ દ્રોણાચાર્યની જેમ ચુપ ન રહેતાં વાત્સલ્યભાવને કારણે દુર્યોધનને હર્ષ ઉપજાવતા શંખ વગાડે છે.
 
'सिहंनादं विनद्योच्चैः शंङ्खं दध्मौ' - જેવી રીતે સિંહના ગર્જવાથી હાથી વગેરે મોટાંમોટાં પશુ પણ ભયભીત થઇ જાય છે, તીવી રીતે માત્ર ગર્જના કરવાથી બધા ભયભીત થઇ જાય અને દુર્યોધન પ્રસન્ન થઇ જાય એવા ભાવથી ભીષ્મજીએ સિંહની માફક ગર્જના કરીને જોરથી શંખ વગાડ્યો.
 


[૧] - तस्मिन्नस्तमिते भीष्मे कौरवाणां धुरंधरे । ज्ञानान्यस्तं गमिष्यन्ति तस्मात् त्वां चोदयाम्हम् ॥
(મહાભારત, શાંતિ. ૪૬/૨૩)
શ્લોક માહિતી: 

સંબંધ - દ્રોણાચાર્ય કંઇ પણ બોલ્યા નહિ એ કારણે દુર્યોધનનો માનસિક ઉત્સાહ ભાંગેલો જોઇને એના પ્રત્યે ભીષ્મજીએ દેખાડેલા પ્રેમ અને સદ્ભાવની વાત સંજય આગળના શ્લોકમાં પ્રગટ કરે છે.

અધ્યાય ૦૧ - શ્લોક ૧૩

સંબંધ - પિતામહ ભીષ્મે શંખ વગાડ્યો એનું પરિણામ શું આવ્યું, એ વાત સંજય આગળના શ્લોકમાં કહે છે.
 
ततः शङ्खाश्च भेर्यश्च पणवानकगोमुखाः ।
सहसैवाभ्यहन्य स शब्दस्तुमुलोङभवत् ॥ १३ ॥
 
તતઃ શઙ્ખાશ્ચ ભેર્યશ્ચ પણવાનકગોમુખાઃ ।
સહસૈવાભ્યહન્ય સ શબ્દસ્તુમુલોઙભવત્ ॥ ૧૩ ॥
 
[ભાવાર્થ]
એ પચી શંખ, ભેરી (નગારાં), ઢોલ, મૃદંગ અને રણશિંગાં વગેરે વાજાં એક સાથે વાગી ઊઠ્યાં. એમનો એ શબ્દ ઘણો ભયંકર થયો.
 
[ટીકા]
'ततः शंङ्खाश्च भेर्यश्च पणवानकगोमुखाः' - જોકે ભીષ્મજીએ યુદ્ધના આરંભની ઘોષણા કરવા માટે શંખ વગાડ્યો ન હતો. પરંતુ દુર્યોધનને ખુશ કરવા માટે જ શંખ વગાડ્યો હતો, તો પણ કૌરવોની સેના ભીષ્મજીના શંખનાદને યુદ્ધની ઘોષણા જ સમજી. આથી ભીષ્મજીએ શંખ વાગાડ્યો એટલે કૌરવસેનાનાં શંખ વગેરે સઘળાં વાજાં એક સાથે વાગી ઊઠ્યાં.
 
'शंख' સમુદ્રમાંથી થાય છે. એ ઠાકોરજીની સેવાપૂજામાં રાખવામાં આવે છે અને આરતી ઉતારવી વગેરે કામોમાં આવે છે. માંગલિક કાર્યોમાં તથા યુદ્ધના આરંભમાં એમાં મોઢાની ફૂંક મારીને વગાડવામાં આવે છે. 'भेरी' નગારાને કહે છે (જે મોટાં નગારાં છે, એને નોબત કહે છે.) એ નગારાં લોઢાનાં બનેલા હોય છે અને ભેંસના ચામડાથી મઢેલાં હોય છે, તથા લાકડાના દાંડિયથી વગાડવામાં આવે છે. એ મંદિરોમાં અને રાજાના કિલ્લઓમાં રાખવામાં આવે છે. ઉત્સવ અને માંગલિક કાર્યોમાં એ ખાસ વગાડવામાં આવે છે. રાજાઓને ત્યાં એ દરરોજ વગાડવામાં આવે છે. 'पणव' ઢોલને કહે છે. એ લોઢા કે લાકડાનાં બનેલાં હોય છે અને બકરાના ચામડાથી મઢેલાં હોય છે, તથા હાથથી કે લાકડાના દાંડિયાથી વગાદવામાં આવે છે. એ આકારમાં ઢોલકી જેવાં હોવા છતાં પણ ઢોલકીથી મોટાં હોય છે. કાર્યના આરંભમાં પણવ વગાડવાને ગણપતિના પૂજન સમાન કલ્યાણ કરનારું માનવામાં આવે છે. 'आनक' મૃદંગને કહે છે, એને પખવાજ પણ કહે છે. આકારમાં એ લાકડામાંથી બનાવેલી ઢોલકી જેવું હોય છે. એ માટીમાંથી બનેલ હોય છે, ચામડાથી મઢેલ હોય છે અને હાથથી વગાડવામાં આવે છે. 'गोमुख' રણશિંગાને કહે છે. આકારમાં એ સાપ જેવું વાંકું હોય છે અને એનું મોઢું ગાયના જેવું હોય છે. એ મોઢાથી ફૂંકીને વગાડવામાં આવે છે.
 
'सहसैवाभ्यहन्यन्त' [૧] - કૌરવસેનામાં ઉત્સાહ ઘણો જ હતો. એટલા માટે પિતામહ ભીષ્મનો શંખ વાગતાંની સાથે જ કૌરવસેનાનાં બધાં વાજાં અનાયાસે જ એક સાથે વાગી ઊઠ્યાં. એમના વાગવામાં વાર ન લાગી અને એમને વગાડવામાં પરિશ્રમ પણ થયો નહિ.
 
'स शब्दस्तुमुलोङभवत्' - જુદાજુદા વિભાગોમાં, ટુકડીમાં ઊભેલી કૌરવ સેનાનાં શંખ વગેરે વાજાંઓનો અવાજ ઘણો ભયંકર થયો અર્થાત્ એમનો અવાજ ઘણા જોરથી ગૂંજતો રહ્યો.
 
======== * ========
[૧] - કર્મને અત્યંત સુગમતાપૂર્વકનું દર્શાવવા માટે જ્યારે કર્મ વગેરેને જ કર્તા બનાવવામાં આવે છે ત્યારે 'कर्मकर्तु' પ્રયોગ થયો કહેવાય છે. દા.ત. કોઇ લાકડું ફાડે છે, તો આ ફાડવાના કર્મને સહેલું દર્શાવવા માટે 'લાકડું ફડાઇ રહ્યું છે' એવો પ્રયોગ કરવામાં આવે છે. તેવી જ રીતે અહીં 'વાજાં વગાડ્યાં' એવો પ્રયોગ હોવો જોઇએ; પરંતુ વાજાં વગાડવાનું સહેલું છે તેમ બતાવવા માટે અને સેનાનો ઉત્સાહ દર્શાવવાને માટે 'વાજાં વાગી ઊઠ્યાં' એવો પ્રયોગ કરવામાં આવ્યો છે.

મૂળ શ્લોક: 

ततः शङ्खाश्च भेर्यश्च पणवानकगोमुखाः ।
सहसैवाभ्यहन्य स शब्दस्तुमुलोङभवत् ॥ १३ ॥

શ્લોક ભાવાર્થ: 

એ પચી શંખ, ભેરી (નગારાં), ઢોલ, મૃદંગ અને રણશિંગાં વગેરે વાજાં એક સાથે વાગી ઊઠ્યાં. એમનો એ શબ્દ ઘણો ભયંકર થયો.

સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 

'ततः शंङ्खाश्च भेर्यश्च पणवानकगोमुखाः' - જોકે ભીષ્મજીએ યુદ્ધના આરંભની ઘોષણા કરવા માટે શંખ વગાડ્યો ન હતો. પરંતુ દુર્યોધનને ખુશ કરવા માટે જ શંખ વગાડ્યો હતો, તો પણ કૌરવોની સેના ભીષ્મજીના શંખનાદને યુદ્ધની ઘોષણા જ સમજી. આથી ભીષ્મજીએ શંખ વાગાડ્યો એટલે કૌરવસેનાનાં શંખ વગેરે સઘળાં વાજાં એક સાથે વાગી ઊઠ્યાં.
 
'शंख' સમુદ્રમાંથી થાય છે. એ ઠાકોરજીની સેવાપૂજામાં રાખવામાં આવે છે અને આરતી ઉતારવી વગેરે કામોમાં આવે છે. માંગલિક કાર્યોમાં તથા યુદ્ધના આરંભમાં એમાં મોઢાની ફૂંક મારીને વગાડવામાં આવે છે. 'भेरी' નગારાને કહે છે (જે મોટાં નગારાં છે, એને નોબત કહે છે.) એ નગારાં લોઢાનાં બનેલા હોય છે અને ભેંસના ચામડાથી મઢેલાં હોય છે, તથા લાકડાના દાંડિયથી વગાડવામાં આવે છે. એ મંદિરોમાં અને રાજાના કિલ્લઓમાં રાખવામાં આવે છે. ઉત્સવ અને માંગલિક કાર્યોમાં એ ખાસ વગાડવામાં આવે છે. રાજાઓને ત્યાં એ દરરોજ વગાડવામાં આવે છે. 'पणव' ઢોલને કહે છે. એ લોઢા કે લાકડાનાં બનેલાં હોય છે અને બકરાના ચામડાથી મઢેલાં હોય છે, તથા હાથથી કે લાકડાના દાંડિયાથી વગાદવામાં આવે છે. એ આકારમાં ઢોલકી જેવાં હોવા છતાં પણ ઢોલકીથી મોટાં હોય છે. કાર્યના આરંભમાં પણવ વગાડવાને ગણપતિના પૂજન સમાન કલ્યાણ કરનારું માનવામાં આવે છે. 'आनक' મૃદંગને કહે છે, એને પખવાજ પણ કહે છે. આકારમાં એ લાકડામાંથી બનાવેલી ઢોલકી જેવું હોય છે. એ માટીમાંથી બનેલ હોય છે, ચામડાથી મઢેલ હોય છે અને હાથથી વગાડવામાં આવે છે. 'गोमुख' રણશિંગાને કહે છે. આકારમાં એ સાપ જેવું વાંકું હોય છે અને એનું મોઢું ગાયના જેવું હોય છે. એ મોઢાથી ફૂંકીને વગાડવામાં આવે છે.
 
'सहसैवाभ्यहन्यन्त' [૧] - કૌરવસેનામાં ઉત્સાહ ઘણો જ હતો. એટલા માટે પિતામહ ભીષ્મનો શંખ વાગતાંની સાથે જ કૌરવસેનાનાં બધાં વાજાં અનાયાસે જ એક સાથે વાગી ઊઠ્યાં. એમના વાગવામાં વાર ન લાગી અને એમને વગાડવામાં પરિશ્રમ પણ થયો નહિ.
 
'स शब्दस्तुमुलोङभवत्' - જુદાજુદા વિભાગોમાં, ટુકડીમાં ઊભેલી કૌરવ સેનાનાં શંખ વગેરે વાજાંઓનો અવાજ ઘણો ભયંકર થયો અર્થાત્ એમનો અવાજ ઘણા જોરથી ગૂંજતો રહ્યો.
 


[૧] - કર્મને અત્યંત સુગમતાપૂર્વકનું દર્શાવવા માટે જ્યારે કર્મ વગેરેને જ કર્તા બનાવવામાં આવે છે ત્યારે 'कर्मकर्तु' પ્રયોગ થયો કહેવાય છે. દા.ત. કોઇ લાકડું ફાડે છે, તો આ ફાડવાના કર્મને સહેલું દર્શાવવા માટે 'લાકડું ફડાઇ રહ્યું છે' એવો પ્રયોગ કરવામાં આવે છે. તેવી જ રીતે અહીં 'વાજાં વગાડ્યાં' એવો પ્રયોગ હોવો જોઇએ; પરંતુ વાજાં વગાડવાનું સહેલું છે તેમ બતાવવા માટે અને સેનાનો ઉત્સાહ દર્શાવવાને માટે 'વાજાં વાગી ઊઠ્યાં' એવો પ્રયોગ કરવામાં આવ્યો છે.
શ્લોક માહિતી: 

સંબંધ - પિતામહ ભીષ્મે શંખ વગાડ્યો એનું પરિણામ શું આવ્યું, એ વાત સંજય આગળના શ્લોકમાં કહે છે.

વિશેષ વાત - દુર્યોધનનો ભય

અર્જુન કૌરવોની સેનાને જોઇને કોઇની પાસે ન જતાં હાથમાં ધનુષ્ય ઉઠાવે છે (અ. ૧/૨૦), પણ દુર્યોધન પાંડવોની સેનાને જોઇને દ્રોણાચાર્ય પાસે જાય છે અને એમને પાંડવોની વ્યૂહરચનાયુક્ત સેનાને જોવા માટે કહે છે. એથી સાબિત થાય છે કે દુર્યોધનના હ્રદયમાં ભય પેઠેલો છે [૧]. અંદર ડર હોવા છતાં પણ તે ચાલાકીથી દ્રોણાચર્યને ખુશ કરવા માગે છે અને એમને પાંડવોની વિરુદ્ધ ઉશ્કેરવા માગે છે. કારણ કે દુર્યોધનના હ્રદયમાં અધર્મ છે, અન્યાય છે, અને પાપ છે. અન્યાયી અને પાપી વ્યક્તિ કદી નિર્ભય અનેસુખશાંતિથી રહી શક્તી નથી - એવો નિયમ છે. પરંતુ અર્જુનના અંતરમાં ધર્મ છે અને ન્યાય પણ છે. તેથી અર્જુનના અંતરમાં પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે ચાલાકીયે નથી અને ભય પણ નથી; પરંતુ ઉત્સાહ છે અને વીરતા છે. તેથી તો એ વીરતામાં આવી જઇને સેનાનું નિરીક્ષણ કરવાને માટે ભગવાનને આજ્ઞા કરે છે કે 'હે અચ્યુત ! બન્ને સેનાઓની મધ્યમાં મારો રથ ઊભો રાખો.' (અ. ૧/૨૧). એનું તાત્પર્ય એ છે કે જેના હૈયામાં નાશવંત ધનસંપત્તિ વગેરેનો સહારો છે, આદર છે અને જેના હૈયામાં અધર્મ છે, અન્યાય છે તથા દુર્ભાવ છે, એનામાં વાસ્તવિક બળ હોતું નથી. તે અંદરખાને પોલો હોય છે અને કદી તે નિર્ભય હોતો નથી. પરંતુ જે પોતાના ધર્મનું પાલન કરે છે અને ભગવાનનો આશરો લે છે, તે કદી ભયભીત થતો નથી. એનામાં સાચું બળ હોય છે. એ હંમેશા ચિંતારહિત અને ભયરહિત રહે છે. આથી પોતાનું કલ્યાણ ઇચ્છનારા સાધકોએ અધર્મ, અન્યાય વગેરેને ત્યજીને તથા એકમાત્ર ભગવાનનો આશરો લઇને ભગવાનના પ્રેમ માટે પોતાના ધર્મનું અનુષ્ઠાન કરવું જોઇએ. ભૌતિક સંપત્તિને મહત્વ આપીને અને સંયોગજનિત સુખના પ્રલોભનમાં ફસાઇને કદી અધર્મનો આશરો લેવો જોઇએ નહી; કારણ કે એ બન્નેથી મનુષ્યનું કદી હિત સધાતું નથી પરંતુ એનાથી ઊલટું અહિત જ થાય છે.
 
======== * ========
[૧] - જ્યારે કૌરવોની સેનાનાં શંખ વગેરે વાજાં વાગ્યાં; ત્યારે એના અવાજની પાંડવસેના ઉપર કંઇ પણ અસર થઇ નહિ. પરંતુ જ્યારે પાંડવોની સેનાના શંખ વાગ્યા, ત્યારે એના અવાજથી દુર્યોધન વગેરેનાં હ્રદયો ફાટી ગયાં. (અ. ૧/૧૩,૧૯). આથી સિદ્ધ થાય છે કે અધર્મ-અન્યાયનો પક્ષ લેવાને કારણે દુર્યોધન વગેરેનાં હ્રદય કમજોર બની ગયાં હતાં અને એમનામાં ભય પેસી ગયો હતો.
 

અધ્યાય ૦૧ - શ્લોક ૧૪

મૂળ શ્લોક: 

ततः श्वेतैर्हयैर्युक्ते महति स्यन्दने स्थितौ ।
माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदध्मतुः ॥ १४ ॥

શ્લોક ભાવાર્થ: 

એ પછી સફેદ ઘોડાઓથી જોડાયેલા મહાન રથ ઉપર બેઠેલા લક્ષ્મીપતિ ભગવાન શ્રીકૃષ્ણ અને પાંડુપુત્ર અર્જુનને દિવ્ય શંખો ઘણા જોરથી વાગાડ્યા.

સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 

'ततः श्वेतैर्हयैर्युक्ते' - ચિત્રરથ નામના ગંધર્વે અર્જુનને એક સો દિવ્ય ઘોડા આપ્યા હતા. એ ઘોડાઓમાં એ વિશેષતા હતી કે લડાઇમાં એ પૈકી ગમે તેટલા ઘોડા કેમ ન માર્યા જાય, તો પણ એ સંખ્યામાં પૂરા સો જ રહેતા હતા, ઘટતા ન હતા. એ પૃથ્વી, સ્વર્ગ વગેરે કોઇ પણ સ્થળે જઇ શકતા હતા. એ જ સો ઘોડાઓમાંથી સુંદર અને સારી તાલીમ પામેલા ચાર સફેદ ઘોડા અર્જુનના રથમાં જોડાયેલા હતા.
 
'महति स्यन्दने स्थितौ' - યજ્ઞોમાં આહુતિ રૂપે આપેલું ઘી ખાતાંખાતાં અગ્નિને અજીર્ણ થઇ ગયું હતું. આથી અગ્નિદેવ ખાંડવવનની ખાસખાસ જડીબુટ્ટીઓ ખાઇને (બાળીને) પોતાનું અજીર્ણ દૂર કરવા માગતા હતા. પરંતુ દેવતાઓ દ્વારા ખાંડવવવનું રક્ષણ થઇ રહ્યું હતું, જેને કારણે અગ્નિદેવ પોતાના કાર્યમાં સફળ થતા ન હતા. એ જ્યારેજ્યારે ખાંડવવનને સળગાવતા હતા, ત્યારેત્યારે ઇંદ્ર વરસાદ વરસાવીને એને (અગ્નિને) ઓલવી નાખતા હતા. આખરે અર્જુનની મદદથી અગ્નિએ આખા વનને બાળીને પોતાનું અજીર્ણ દૂર કર્યું અને પ્રસન્ન થઇને અર્જુનને આ ઘણો જ મોટો રથ આપ્યો. નવ બળદગાડાઓમાં જેતલાં અસ્ત્રશસ્ત્ર સમાઇ શકે, એટલાં અસ્ત્રશસ્ત્ર એ રથમાં રહી શકતાં. એ સોનાથી મઢેલો અને તેજોમય હતો. એનાં પૈડાં ઘણાં જ મજબૂત અને વિશાળ હતાં. એની ધના વીજળી સમાન ચમકતી હતી. એ ધજા એક યોજન (ચાર ગાઉ) સુધી ફરકતી હતી. એતલી લાંબી હોવા છતાં પણ એમાં વજન ન હતું, એ ક્યાંય અટકતી ન હતી અને વૃક્ષ વગેરેમાં ક્યાંય અટવાતી ન હતી. એ ધજા ઉપર હનુમાનજી બિરાજમાન હતા.
 
'स्थितौ' કહેવાનું તાત્પર્ય એ છે કે એ સુંદર અને તેજસ્વી રથ ઉપર ભગવાન શ્રીકૃષ્ણ અને એમના વહાલા ભક્ત અર્જુન બિરાજમાન થયેલા હોવાથી એ રથની શોભા અને તેજ ઘણં જ વધી ગયું હતું.
 
'माधवः पाण्डवश्चव' - 'मा' લક્ષ્મીનું નામ છે અને 'धव' પતિનું નામ છે. આથી 'माधव' નામ લક્ષ્મીપતિનું નામ છે. અહીં પાંડવ નામ અર્જુનનું છે; કારણકે અર્જુન બધા પાંડવોમાં મુખ્ય છે - 'पाण्डवानां धनञ्जयः' (અ. ૧૦/૩૭)
 
અર્જુન 'નર' નો અને શ્રીકૃષ્ણ 'નારાયણ' નો અવતાર હતા. મહાભારતના દરેક પર્વની શરૂઆતમાં નર (અર્જુન) અને નારાયણ (ભગવાન શ્રીકૃષ્ણ) ને નમસ્કાર કરવામાં આવ્યા છે - 'नारायनं नमस्कृत्य नरं चैव नरोत्तमम्' - આ દ્રષ્ટિએ પાંડવસેનામાં ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન - એ બન્ને મુખ્ય હતા. સંજયે પણ ગીતાના અંતમાં કહ્યું છે કે 'જ્યાં યોગેશ્વર ભગવાન શ્રીકૃષ્ણ અને ગાંડીવધનુષ્યધારી અર્જુન રહેશે, ત્યાં જ લક્ષમી, વિજય, વિભૂતિ અને અચળ નીતિ રહેશે.' (અ. ૧૮/૭૮)
 
'दिव्यौ शङ्खौ प्रदध्मतुः' - ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુનના હાથમાં જે શંખો હતા, તે તેજસ્વી અને અલૌકિક હતા. એ શંખોને એમણે ખૂબ જોરથી વગાડ્યા.
 
અહીં શંકા થઇ શકે કે કૌરવપક્ષમાં મુખ્ય સેનાપતિ ભીષ્મ છે, એટલા માટે એમનું સૌ પ્રથમ શંખ વગાડવું, એ યોગ્ય જ છે; પરંતુ પાંડવસેનામાં મુખ્ય સેનાપરિ ધૃષ્ટદ્યુમ્ન હોવા છતાં પણ સારથિ બનેલા ભગવાન શ્રીકૃષ્ણે સૌથી પહેલા શંખ કેમ વગાડ્યો? એનું સમાધાન એ છે કે ભગવાન સારથિ બને કે મહારથિ બને, એમનું અગ્રેસરપણું કદીયે મટી શક્તું નથી. એ કોઇ પણ હોદ્દા ઉપર રહે, છતાં હંમેશાં સૌથી મોટા જ બની રહે છે. કારણ કે એ અચ્યુત છે, કદી ચ્યુત થતા જ નથી. પાંડવસેનામાં ભગવાન શ્રીકૃષ્ણ જ મુખ્ય હતા અને એ જ બધાનું સંચાલન કરતા હરા. જયારે તેઓ બાલ્યાવસ્થામાં હતા, ત્યારે પણ નંદ, ઉપનંદ વગેરે એમની વાત સ્વીકારતા હતા. તેથી જ તો તેમણે બાળક શ્રીકૃષ્ણના કહેવાથી પરંપરાગત ચાલી આવતી ઇંદ્રપૂજાને છોડીને ગોવર્ધનની પૂજા કરવાની શરૂઆત કરી. તાત્પર્ય એ છે કે હ્બગવાન જે કોઇ અવસ્થામાં, જે કોઇ સ્થાન ઉપર અને જ્યાં ક્યાંય પણ રહે છે, ત્યાં તેઓ મુખ્ય જ રહે છે. એતલા માટે ભગવાને પાંડવસેનામાં સૌથી પહેલાં શંખ વગાડ્યો.
 
જે પોતે નાનો હોય, તે ઊંચા સ્થાન ઉપર નિમાવાથી તેને મોટો માનવામાં આવે છે. આથી જે ઊંચા સ્થાનને લીધે પોતાને મોટો માને છે, તે પોતે વાસ્તવમાં નાનો જ હોય છે. પરંતુ જે પોતે મોટો હોય છે, તે ગમે ત્યાં રહેતો હોય, તો પણ તેને લીધે તે સ્થાન પણ મોટું મનાય છે. જેમ કે ભગવાન અહીં સારથિ બન્યા છે, તો એમને લીધે એ સારથિનું સ્થાન (પદ) પણ ઊંચું થઇ ગયું.

શ્લોક માહિતી: 

સંબંધ - આ અધ્યાયના આરંભમાં જ ધૃતરાષ્ટ્રે સંજયને પૂછ્યું હતું કે યુદ્ધક્ષેત્રમાં મારા અને પાંડવોના પુત્રોએ શું કર્યું? આથી સંજયે શ્લોકથી તેરમા શ્લોક સુધી 'ધૃતરાષ્ટ્રના પુત્રોએ શું કર્યું' - એનો જવાબ આપ્યો. હવે આગળના શ્લોકથી સંજય 'પાંડુના પુત્રોએ શું કર્યું' - એનો જવાબ આપે છે.

અધ્યાય ૦૧ - શ્લોક ૧૫

મૂળ શ્લોક: 

पाञ्चजन्यं हृषीकेशो देवदत्तं धनञ्जयः ।
पौण्ड्रं दध्मौ महाशङ्खं भीमकर्मा वृकोदरः ॥ १५ ॥

શ્લોક ભાવાર્થ: 

અંતર્યામી ભગવાન શ્રીકૃષ્ણે પાંચજન્ય નામનો તથા ધનંજય અર્જુને દેવદત્ત નામનો શંખ વગાડ્યો; અને ભયંકર કર્મો કરનાર વૃકોદર ભીમે પૌંડ્ર નામનો મહાશંખ વગાડ્યો.

સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 

'पाञ्चनज्यं हृषीकेशः' - બધાના અંતર્યામી અર્થાત્ બધાના મનની વાત જાણનારા સાક્ષાત્ ભગવાન શ્રીકૃષ્ણે પાંડવોના પક્ષમાં ઊભા રહીને 'પાંચજન્ય' નામનો શંખ વગાડ્યો. ભગવાને પંચજન નામના શંખનું રૂપ ધારણ કરેલા રાક્ષસને મારીને એનો શંખ રૂપે સ્વીકાર કર્યો હતો, એતલે એ શંખનું નામ 'પાંચજન્ય' પડ્યું.
 
'देवदत्तं धनञ्जयः' - રાજસૂય યજ્ઞ વખતે અર્જુને ઘણા રાજાઓને જીતીને બહુ જ ધન એકઠું કર્યું હતું. આથી અર્જુનનું નામ 'ધનજય' પડી ગયું. [૧] નિવાત, કવચ વગેરે રાક્ષસોની સામે યુદ્ધ કરતી વખતે ઇંદ્રે અર્જુનને 'દેવદત્ત' નામનો શંખ આપ્યો હતો. આ શંખનો અવાજ ખૂબ જોરથી થતો હતો, જેથી શત્રુઓની સેના ગભરાઇ જતી હતી. આ શંખ અર્જુને વગાડ્યો.
 
'पौण्ड्रं दध्मौ महाशङ्खं भीमकर्मा वृकोदरः' - હિડિમ્બાસુર, બકાસુર, જટાસુર વગેરે રાક્ષસોને તથા કીચક, જરાસંધ વગેરે બળવાન વીરોને મારવાને કારણે ભીમસેનનું નામ 'ભીમકર્મા' કડી ગયું. એમના પેટમાં જઢરાગ્નિ સિવાય 'વૃક' નામનો એક વિશેષ અગ્નિ હતો, જેનાથી ઘણું જ અધિક ભોજન પચતું હતું. આ કારણથી એમનું નામ 'વૃકોદર' પડી ગયું. એવા ભીમકર્મા વૃકોદર ભીમસેને બહુ જ મોટા આકારવાળો પૌંડ્ર નામનો શંખ વગાડ્યો.
 


[૧] - सर्वाञ्जनपदाञ्जित्वा वित्तमादाय केवलम् । मध्ये धनस्य तिष्ठामि तेनाहुर्मा धनञ्जयम् ॥ (મહાભારત, વિરાટ. ૪૪/૧૩)
શ્લોક માહિતી: 

સંબંધ - હવે સંજય આગળના ચાર શ્લોકોમાં પૂર્વશ્લોકનો ખુલાસો કરતાં બીજાઓના શંખવાદનનું વર્ણન કરે છે.

અધ્યાય ૦૧ - શ્લોક ૧૬

મૂળ શ્લોક: 

अनंतविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः ।
नकुलः सहदेवश्च सुघोषमणिपुष्पकौ ॥ १६ ॥

શ્લોક ભાવાર્થ: 

કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંતવિજય નામનો શંખ વાગાડ્યો તથા નકુળ અને સહદેવે સુઘોષ અને મણિપુષ્પક નામના શંખો વગાડ્યા.

સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 

'अनन्तविजयं राजासुघोषमणिपुष्पकौ' - અર્જુન, ભીમ અને યુધિષ્ઠિર એ ત્રણ કુંતીના પુત્રો છે તથા નકુળ અને સહદેવ - એ બન્ને માદ્રીના પુત્રો છે. આ વિભાગ દર્શાવવા માટે જ અહીં યુધિષ્ઠિર માટે 'કુંતીપુત્ર' વિશેષણ આપવામાં આવ્યું છે.
યુધિષ્ઠરને 'રાજા' કહેવાનું તાત્પર્ય એ છે કે વનવાસ જતાં પહેલાં યુધિષ્ઠિર પોતાના અરધા રાજ્ય (ઇંદ્રપ્રસ્થ) ના રાજા હતા, અને નિયમ મુજબ બાર વર્ષ વનવાસ અને એક વર્ષ ગુપ્તવાસ પછી તેઓ રાજા બનવા જોઇતા હતા. 'રાજા' વિશેષણ આપીને સંજય એ પણ સંકેત કરવા માગે છે કે આગળ જતાં ધર્મરાજ યુધિષ્ઠિર જ સકળ પૃથ્વીમંડળના રાજા થશે.

અધ્યાય ૦૧ - શ્લોક ૧૭-૧૮

મૂળ શ્લોક: 

काश्यश्च परमेष्वासः शिखण्डी च महारथः ।
धृष्टद्युम्नो विराटश्च सात्यकिश्चापराजितः ॥ १७ ॥
द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते ।
सौभद्रश्च महाबाहुः शङ्खान्दध्नुः पृथक्पृथक् ॥ १८ ॥

શ્લોક ભાવાર્થ: 

હે રાજન ! શ્રેષ્ઠ ધનુષ્યવાળા કાશીરાજ અને મહારથી શિખંડી તથા ધૃષ્ટદ્યુમ્ન તેમ જ રાજા વિરાટ અને અજેય સાત્યકિ, રાજા દ્રુપદ અને દ્રૌપદીના પાંચેય પુત્રો તથા લાંબીલાંબી ભુજાઓવાળા સુભદ્રાપુત્ર અભિમન્યુ - એ બધાએ બધી દિશાઓમાંથી અલગ-અલગ (પોતપોતાના) શંખો વગાડ્યા.

સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 

મહારથી શિખંડી ઘણો જ શૂરવીર હતો. તે પૂર્વજન્મમાં સ્ત્રી (કાશીરાજની પુત્રી અંબા) હતો અને આ જન્મમાં પણ રાજા દ્રુપદને પુત્રીરૂપે મળેલો હતો. આગણ જતાં આ જ શિખંડી સ્થૂણાકર્ણ નામના યક્ષ દ્વારા પુરુષત્વ પ્રાપ્ત કરી પુરુષ બન્યો. ભીષ્મજી આ બધી વાતોને જાણતા હતા, અને શિખંડીને સ્ત્રી જ સમજતા હતા. આ કારણથી તેઓ એના ઉપર બાણ ચલાવતા ન હતા. અર્જુને યુદ્ધને વખતે એને જ આગળ કરીને ભીષ્મજી ઉપર બાણ ચલાવ્યાં અને એમને રથ ઉપરથી નીચે પાડી નાખ્યા.
 
અર્જુનનો પુત્ર અભિમન્યુ બહુ જ શૂરવીર હતો. યુદ્ધ સમયે એણે દ્રોણાચાર્યે રચેલા ચક્રવ્યૂહમાં ઘૂસીને પોતાના પરાક્રમથી ઘણા બધા વીરોનો સંહાર કર્યો, છેલ્લે કૌરવસેનાના છ મહારથીઓએ એને અન્યાયપૂર્વક ઘેરી લઇને એના ઉપર ગદાનો પ્રહાર થવાથી એનું મૃત્યુ થઇ ગયું.
 
સંજયે શંખવાદનના વર્ણનમાં કૌરવસેનાના શૂરવીરોમાંથી માત્ર ભીષ્મજીનું જ નામ લીધું અને પાંડવસેનાના શૂરવીરોમાંથી ભગવાન શ્રીકૃષ્ણ, અર્જુન, ભીમ વગેરે અઢાર વીરોનાં નામ લીધાં. એનાથી એવી પ્રતીતિ થાય છે કે સંજયના મનમાં અધર્મના પક્ષ (કૌરવસેના) નો આદર નથી. એટલે એ અધર્મના પક્ષનું અધિક વર્ણન કરવાનું યોગ્ય માનતા નથી. પરંતુ એમના મનમાં ધર્મના પક્ષ (પાંડવસેના) નો આદર હોવાથી અને ભગવાન શ્રીકૃષ્ણ તથા પાંડવો પ્રત્યે આદરભાવ હોવાથી તેઓ એમના પક્ષનું જ વધારે વર્ણન કરવાનું યોગ્ય માને છે, અને એમના પક્ષનું વર્ણન કરવામાં જ એમને આનંદ આવી રહ્યો છે.

અધ્યાય ૦૧ - શ્લોક ૧૯

મૂળ શ્લોક: 

स घोषो धार्तराष्ट्राणां ह्रदयानि व्यदारयत् ।
नभश्च पृथिवीं चैव तुमुलो व्युनुनादयन् ॥ १९ ॥

શ્લોક ભાવાર્થ: 

પાંડવસેનાના શંખોના એ ભયંકર શબ્દે આકાશ અને પૃથવીને પણ ગજાવી નાખતાં અન્યાયપૂર્વક રાજ્ય હડપ કરી જનારા દુર્યોધન વગેરેનાં હ્રદયોને ચીરી નાખ્યાં.

સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 

પાંડવસેનાનો એ શંખધ્વનિ એટલો વિશાળ, ઊંડો, ઊંચો અને ભયંકર થયો કે એ (ધ્વનિ-પ્રતિધ્વનિ) થી પૃથ્વી અને આકાશ વચ્ચેનો ભાગ ગાજી ઊઠ્યો. એ શબ્દથી અન્યાયપૂર્વક રાજ્ય હડપ કરી જનારા અને તેમને મદદ કરવા (એમના પક્ષે) ઊભા રહેલા રાજાઓનાં હ્રદયો ચિરાઇ ગયાં. તાત્પર્ય એ છે કે હ્રદયને કોઇ અસ્ત્રશસ્ત્ર દ્વારા ચીરવાથી જેવી પીસા થાય છે, એવી જ પીડા એમના હ્રદયમાં યુદ્ધનો શંખધ્વનિથી થઇ ગઇ. એ શંખધ્વનિએ કૌરવસેનાના હ્રદયમાં યુદ્ધનો જે ઉત્સાહ હતો, બળ હતું, એને કમજોર બનાવી દીધું, જેથી એમના હ્રદયમાં પાંડવસેનાનો ભય પેસી ગયો.
 
સંજય એ વાતો ધૃતરાષ્ટ્રને સંભળાવી રહ્યા છે. ધૃતરાષ્ટ્રની જ સમક્ષ 'ધૃતરાષ્ટ્રના પુત્રો અથવા સંબંધીઓનાં હ્રદયોને ચીરી નાખ્યાં' એવું સંજયનું કહેવું વિવેકપૂર્ણ અને યુક્તિસંગત જણાતું નથી. માટે સંજયે 'धार्तराष्टाणाम्' નહીં કહેતાં 'तावकीनानाम्' (આપના પુત્રો અથવા સંબંધિઓના - એમ) કહેવું જોઇતું હતું; કારણ કે એમ કહેવું એ જ વિવેક છે. એ દ્રષ્ટિએ અહીં 'धार्तराष्टाणाम्' પદનો અર્થ 'જેમણે અન્યાયપૂર્વક રાજ્યને ધારણ કર્યું' [૧] - એવો લેવો જ યુક્તિસંગત અને સભ્યતાપૂર્ણ જણાય છે. અન્યાયનો પક્ષ લેવાથી જ એમનાં હ્રદય ચિરાઇ ગયાં - એ દ્રષ્ટિએ પણ આ અર્થ લેવો જ યુક્તિસંગત જણાય છે. અહીં શંકા થાય છે કે કૌરવોની અગિયાર અક્ષોણી [૨] સેનાનાં શંખ વગેરે વાજાં વાગ્યાં તો એમના અવાજની પાંડવસેના ઉપર કંઇ પણ અસર થઇ નહિ, પરંતુ પાંડવોની સાત અક્ષોણી સેનાના શંખ વાગ્યા તો એમના અવાજથી કૌરવોની સેનાનાં હ્રદયો કેમ ચિરાઇ ગયાં? એનું સમાધાન એ છે કે જેમના હ્રદયમાં અધર્મ, પાપ કે અન્યાય નથી અર્થાત્ જેઓ ધર્મપૂર્વક પોતાના કર્તવ્યનું પાલન કરે છે, એમનાં હ્રદય મજબૂત હોય છે અને એમના હ્રદયમાં ભય પેદા થતો નથી. ન્યાયનો પક્ષ હોવાથી એમનામાં ઉત્સાહ હોય છે અને શૂરવીરતા હોય છે. પાંડવોએ વનવાસ પહેલાં પણ ન્યાય અને ધર્મપૂર્વક રાજ્ય કર્યું હતું અને વનવાસ પછી પણ નિયમ અનુસાર કૌરવો પાસે ન્યાયપૂર્વક રાજ્યની માગણી કરી હતી. આથી એમના હ્રદયમાં ભય ન હતો, પરંતુ ઉત્સાહ હતો. આ કારણથી કૌરવોની અગિયાર અક્ષોણી સેનાના વાજાંના અવાજની પાંડવોની સેના ઉપર કઇ અસર થઇ નહિ. પરંતુ જે અધર્મ, પાપ, અન્યાય વગેરે કરે છે એમનાં હ્રદય કુદરતી રીતે શંકાવિહીનતા રહેતાં નથી. એમનાં પોતાનાં કરેલાં પાપ અને અન્યાય જ એમનાં હ્રદયને નિર્બણ કરી દે છે. અધર્મ અધર્મીને ખાઇ જાય છે. દુર્યોધન વગેરી પાંડવોને અન્યાયપૂર્વક મારવાના ઘણા જ પ્રયત્નો કર્યાં હતા. એમણે છળકપટથી અન્યાયપૂર્વક પાંડવોનું રાજ્ય છીનવી લીધું હતું અને એમને બહુ જ કષ્ટ આપ્યું હતું. આ કારણથી એમનાં હ્રદય કમજોર કે નિર્બળ થઇ ગયાં હતાં. તાત્પર્ય એ છે કે કૌરવોનો પક્ષ અધર્મનો હતો. એટલા માટે પાંડવોની સાત અક્ષોણી સેનાના શંખધ્વનિથી એમનાં હ્રદય ફાટી ગયાં, એમને ઘણી મોટી પીડા થઇ ગઇ.
 
આ પ્રસંગથી સાધકે સાવધાન થવું જોઇએ કે તેના દ્વારા પોતાના શરીર, મન અને વાણીથી કદી પણ કોઇ અન્યાય અને અધર્મનું આચરણ ન થઇ જાય. અન્યાય અને અધર્મવાળા આચરણથી મનુષ્યનું હ્રદય કમજોર કે નિર્બળ થઇ જાય છે. એના હ્રદયમાં ભય પેદા થઇ જાય છે. ઉદાહરણ તરીકે, લંકાધિપતિ રાવણથી ત્રણેય લોક ડરતા હતા. તે જ રાવણ જ્યારે સીતાજીનું હરણ કરવા જાય છે ત્યારે ભયભીત થઇને આમતેમ જુએ છે. [૩] એટલા માટે સાધકે કદી પણ અન્યાયી તથા અધર્મવાળું આચરણ કરવું જોઇએ નહિ.
 


[૧] - 'अन्यायेन धृतं यैस्ते धृतराष्ट्राः' એવો બહુવ્રીહિ સમાસ કર્યા પછી 'धृतराष्ट्रा एव' એ વિગ્રહમાં સ્વાર્થે તદ્ધિતનો  'अण' પ્રત્યય કરવામાં આવ્યો, જેનાથી 'धार्तराष्ट्राः' એવું રૂપ બન્યું. અહીં છઠ્ઠી વિભક્તિના પ્રયોગી જરૂર હોવાથી છઠ્ઠીમાં - 'धार्तराष्ट्राणाम्' એવો પ્રયોગ કર્યો છે.
 
[૨] - દુર્યોધનના પક્ષમાં અગિયાર અક્ષોણી સેના હોવાનો સંભવ જ ન હતો; પરંતુ જ્યારે પાંડવો વનવાસ માટે ગયા, ત્યારે દુર્યોધને ધર્મરાજ યુધિષ્ઠિરની રાજ્યા કરવાની નીતિ સ્વીકારી. જેવી રીતે યુધિષ્ઠિર પોતાનું કર્તવ્ય સમજીને પ્રજાને સુખી કરવા માટે ધર્મ અને ન્યાયપૂર્વક રાજ્ય કરતા હતા, એવી જ રીતે દુર્યોધને પણ પોતાનું રાજ્ય સ્થાપિત કરવા માટે અને પોતાનો પ્રભાવ જમાવવા માટે પ્રજા સાથે યુધિષ્ઠિરના જેવો વર્તાવ કર્યો. તેર વર્ષ સુધી પ્રજા સાથે સારો વર્તાવ કરવાથી યુદ્ધને સમયે ઘણી સેના એકત્રિત થઇ, જે પહેલાં પાંડવોના પક્ષમાં હતી અને પાંડવોને ચાહતી હતી. આ રીતે નવ અક્ષોણી નારાયણી સેનાને તથા મદ્રરાજ શલ્યની એક અક્ષોણી સેનાને દુર્યોધને ચાલાકીથી પોતાના પક્ષમાં લાવી દીધી, જે પાંડવોના પક્ષમાં હતી. આથી દુર્યોધનના પક્ષમાં અગિયાર અક્ષોણી સેના અને પાંડવોના પક્ષમાં સાત અક્ષોણી સેના હતી.
 
[૩] - सून बीच दसकंधर देखा । आवा निक़ट बती कें वेषा ।
जाकें डर सुर असुर डेराहीं । निसि न नीद दिन अन्न न खाहीं ॥
सो दससीस स्वान की नाईं । इत उत चितइ चला भडिहाई ।
इमि कुपंथ पग डिटेल खगेसा । रह न तेज तन बुधि बल लेसा ॥ (માનસ ૩/૨૮/૪-૫)

અધ્યાય ૦૧ - શ્લોક ૨૦

મૂળ શ્લોક: 

अथ व्यवस्थितान्दृष्ट्वा धार्तराष्ट्रांकपिध्वजः ।
प्रवृत्ते शस्त्रसंपाते धनुरुद्यम्य पाण्डवः ॥ २० ॥
हृषीकेशं तदा वाक्यमिदमाह महिपते । (श्लोक क्रमशः)

શ્લોક ભાવાર્થ: 

હે મહિપતિ ધૃતરાષ્ટ્ર ! હવે જે સમયે શસ્ત્રો ચલાવવાની તૈયારી થઇ રહી હતી તે સમયે અન્યાયપૂર્વક રાજ્યને ધારણ કરવાવાળા રાજાઓ અને એમના સાથીદારોને વ્યવસ્થિત રીતે સામે ઊભેલા જોઇને કપિધ્વજ પાંડુપુત્ર અર્જુને પોતાનું ગાંડીવ ધનુષ્ય ઉઠાવ્યું અને અંતર્યામી ભગવાન શ્રીકૃષ્ણને આ વચન કહ્યું.

સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 

'अथ' - આ પદનું તાત્પર્ય એ છે કે હવે સંજય ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુનના સંવાદરૂપ 'ભગવદ્ગીતા' નો આરંભ કરે છે. અઠારમા અધ્યાયના ચુંમોતેરમા શ્લોકમાં આવેલા 'इति' પદથી આ સંવાદ પૂરો થાય છે. એવી જ રીતે ભગવદ્ ગીતાના ઉપદેશનો આરંભ એના બીજા અધ્યાયના અગિયારમા શ્લોકથી થાય છે અને અઠારમા અધ્યાયના છાસઠમા ઉપદેશ પૂરો થાય છે.
 
'प्रवृत्ते शस्त्रसंपाते' - જોકે પિતામહ ભીષ્મે યુદ્ધના આરંભની ઘોષણા કરવા માટે શંખ વગાડ્યો ન હતો, પરંતુ કેવળ દુર્યોધનને ખુશ કરવા માટે જ શંખ વગાડ્યો હતો, તેમ છતાં કૌરવો અને પાંડવોની સેનાએ એને યુદ્ધના આરંભની ઘોષણા જ માની લીધી અને પોતપોતાનાં અસ્ત્રશસ્ત્ર હાથમાં ઉઠાવીને તૈયાર થઇ ગયા. આ રીતે સેનાએ શસ્ત્રો ઉઠાવેલાં જોઇને વીરતામાં આવી જઇને અર્જુને પણ પોતાનું ગાંડીવ ધનુષ્ય હાથમાં ઉઠાવી લીધું,
 
'व्यवस्थितान् धार्तराष्ट्रान् दृष्ट्वा' - આ પદોથી સંજયનું કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે આપના પુત્ર દુર્યોધને પાંડવોની સેનાને જોઇ, ત્યારે તે દોડતોદોડતો દ્રોણાચાર્ય પાસે ગયો. પરંતુ જ્યારે અર્જુને કૌરવોની સેનાને જોઇ, ત્યારે એનો હાથ સીધો ગાંડીવ ધનુષ્ય ઉપર જ ગયો - 'धनुरुद्यम्य'. આથી જણાઈ આવે છે કે દુર્યોધનના અંતરમાં ભય છે અને અર્જુનના હૈયામાં નિર્ભયતા છે, ઉત્સાહ છે તથા વીરતા છે.
 
'कपिध्वजः' - અર્જુનને માટે 'કપિધ્વજ' વિશેષણ વાપરીને સંજય ધૃતરાષ્ટ્રને અર્જુનના રથની ધજા ઉપર બિરાજેલા હનુમાનજીનું સ્મરણ કરાવે છે. જ્યારે પાંડવો વનમાં રહેતા હતા, ત્યારે એક દિવસ વાયુદેવે અકસ્માત્ એક દિવ્ય હજાર પાંખડીઓવાળું કમળ લાવી દ્રૌપદી આગળ નાખ્યું. એને જોઇને દ્રૌપદી બહુ જ પ્રસન્ન થઇ ગઇ અને તેણે ભીમસેનને કહ્યું કે, 'હે પરાક્રમીઓમાં શ્રેષ્ઠ ! આપ એવાં ઘણાં કમળો લાવી આપો.' દ્રૌપદીની ઇચ્છા પૂર્ણ કરવા માટે ભીમસેન ત્યાંથી ચાલી નીકળ્યા. જ્યારે તેઓ કદલીવનમાં પહોંચ્યા, ત્યારે ત્યાં એમને હનુમાનજીનો મેળાપ થઇ ગયો. એ બન્નેયની આપસમાં કેટલીય વાતો થઇ. છેવટે હનુમાનજીએ ભીમસેનને વરદાન માંગવા આગ્રહ કર્યો ત્યારે ભીમસેને કહ્યું કે, 'મારા ઉપર આપની કૃપા કાયમ રહે.' એના જવાબમાં હનુમાનજીએ કહ્યું કે, 'હે વાયુપુત્ર ! જ્યારે તમે બાણ અને શક્તિના આઘાતથી વ્યાકુળ બનેલી દુશ્મનોની સેનામાં પેસી જઇને સિંહગર્જના કરશો, તે વખતે હું મારી ગર્જનાથી એ સિંહગર્જનાને વધારીને ઘણી મોટી બનાવી દઇશ. એ ઉપરાંત હું અર્જુનના રથની ધજા ઉપર બેસીને એવી ભયંકર ગર્જના કરીશ, જે શત્રુઓના પ્રાણોનું હરણ કરનારી બનશે અને જેથી તમે તમારા શત્રુઓને સુગમતાથી મારી શકશો.' [૧] આવી રીતે જેમના રથની ધજા ઉપર હનુમાનજી બિરાજેલા છે, તેમનો વિજય નિશ્ચિત છે.
 
'पाण्डवः' - ધૃતરાષ્ટ્રે પોતાના પ્રશ્નોમાં 'पाण्डवः' પદનો પ્રયોગ કર્યો હતો, એટલે સંજય ધૃતરાષ્ટ્રને પાંડવોની યાદ અપાવવા માટે વારંવાર (અ. ૧/૧૪માં અને અહીં) 'पाण्डवः' શબ્દનો પ્રયોગ કરે છે.
 
'हृषिकेशं तदा वाक्यमिदमाह महीपते' - પાંડવોની સેનાને જોઇને દુર્યોધન તો ગુરુ દ્રોણાચાર્ય પાસે જઇને ચાલાકીથી ભરેલાં વચનો બોલે છે; પરંતુ અર્જુન કૌરવોની સેનાને જોઇને જે જગદ્ગુરુ છે, અંતર્યામી છે, મનબુદ્ધિ, વગેરેનાં પ્રેરક છે - એવા ભગવાન શ્રીકૃષ્ણને શૂરવીરતા, ઉત્સાહ અને પોતાના કર્તવ્યથી ભરેલાં (આગળ કહેવાશે તે) વચનો બોલે છે.
 


[૧] -
तदाहं बृंहयिष्यामि स्वरवेण रवं तव । विजयस्य ध्वजस्थश्च नादान् मोक्ष्यामि दारुणान् ॥
शत्रूणां ये प्राणहराः सुखं येन हनिष्यथ । (મહાભારત, વન. ૧૫૧/૧૭-૧૮)
શ્લોક માહિતી: 

સંબંધ - ધૃતરાષ્ટ્રે પહેલા શ્લોકમાં પોતાના અને પાંડુના પુત્રો અંગે પ્રશ્ન કર્યો હતો. એનો ઉત્તર સંજયે બીજા શ્લોકથી ઓગણીસમા શ્લોક સુધી આપી દીધો. હવે ભગવદ્ ગીતાના પ્રાકટ્યનો સંજય આગળના શ્લોકથી આરંભ કરે છે.

અધ્યાય ૦૧ - શ્લોક ૨૧-૨૨

મૂળ શ્લોક: 

अर्जुन उवाच
सेनायोरुभयोर्मध्ये रथं स्थापय मेङच्युत ॥ २१ ॥
यावदेतान्निरीक्षेङहं योद्धुकामानवस्थितान् ।
कैर्मया सह योद्धव्यमस्मिन् रणमुद्यमे ॥ २२ ॥

શ્લોક ભાવાર્થ: 

અર્જુન બોલ્યા - હે અચ્યુત ! બન્ને સેનાઓની મધ્યમાં મારા રથને આપ ત્યાં સુધી ઊભો રાખો, જ્યાં સુધી હું યુદ્ધભૂમિમાં ઊભા રહેલા આ યુદ્ધની ઇચ્છાવાળાઓને જોઇ ન લઉં કે આ યુદ્ધ રૂપી ઉદ્યોગમાં મારે કોનીકોની સાથે યુદ્ધ કરવું યોગ્ય છે.

સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 

'अच्युत सेनयोरुभयोर्मध्ये रथं स्थापय' - બન્ને સેનાઓ જ્યાં યુદ્ધ કરવાને માટે એકબીજાની સામે ઊભી હતી, ત્યાં એ બન્ને સેના વચ્ચે એટલું અંતર હતું, જેથી એક સેના બીજી સેના ઉપર બાણ વગેરે મારી શકે. એ બન્ને સેનાઓનો મધ્યભાગ બે દ્રષ્ટિએ મધ્યમાં હતો - (૧) સેનાઓ જેટલી પહોળી ઊભી હતી, એ પહોળાઈનો મધ્યભાગ અને (૨) બન્ને સેનાઓનો મધ્યભાગ, જ્યાંથી કૌરવસેના જેટલી દૂર ઊભી હતી. એવા મધ્યભાગમાં રથ ઊભો રાખવા માટે અર્જુન ભગવાનને કહે છે, જ્યાંથી બન્ને સેનાઓને સહેલાઈથી જોઇ શકાય.
 
'सेनयोरुभयोर्मध्ये' પદ ગીતામાં ત્રણ વાર આવ્યું છે - અહીં આ જ અધ્યાયના ચોવીસમા શ્લોકમાં અને બીજા અધ્યાયના દસમા શ્લોકમાં. ત્રણવાર આવવાનું તાત્પર્ય એ છે કે પહેલાં અર્જુન બહાદૂરીથી પોતાનો રથ બન્ને સેનાઓની મધ્યમાં ઊભો રાખવાની આજ્ઞા આપે છે (અ. ૧/૨૧), પછી ભગવાન બન્ને સેનાઓની વચ્ચે રથ ઊભો રાખીને કુરુવંશીઓને જોવાને માટે કહે છે (અ. ૧/૨૪) અને અંતે તેઓ બન્ને સેનાઓની વચમાં જ વિષાદમગ્ન અર્જુનને ગીતાનો ઉપદેશ આપે છે (અ. ૨/૧૦). આ રીતે પહેલાં અર્જુનમાં બહાદૂરી હતી, વચમાં કુટુંબીઓને જોઇને મોહને કારણે એમની યુદ્ધથી ઉદાસીનતા થઇ ગઇ અને અંતમાં એમને ભગવાન દ્વારા ગીતાનો મહાન ઉપદેશ મળ્યો, જેથી એમનો મોહ દૂર થઇ ગયો. આનાથી એ ભાવ નીકળે છે કે મનુષ્ય જ્યાં કંઇ અને જે કોઇ પણ પરિસ્થિતિમાં મુકાયો હોય, ત્યાં જ રહીને તે પ્રાપ્ત પરિસ્થિતિનો સદુપયોગ કરીને નિષ્કામ બની શકે છે અને ત્યાં એને પરમાત્માની પ્રાપ્તિ થઇ શકે છે. કારણ કે પરમાત્મા બધી જ પરિસ્થિતિઓમાં હંમેશા એકરૂપે રહે છે.
 
'यावदेतान्नितीक्षेङहं ... रणसमुद्यमे' - બે સેનાઓની વચ્ચે રથ ક્યાં સુધી ઊભો રાખે? એ અંગે અર્જુન કહે છે કે યુદ્ધની ઇચ્છાને લઇને કૌરવસેનામાં આવેલા સેનાસહિત જેટલા રાજાઓ ઊભેલા છે, એ બધાને જ્યાં સુધી હું જોઇ ના લઉં, ત્યાં સુધી આપ રથને ત્યાં જ ઊભો રાખો. આ યુદ્ધના ઉદ્યોગમાં મારે કોનીકોની સાથે યુદ્ધ કરવાનું છે? એમાં કોણ મારા જેટલા બળવાળા છે? કોણ મારાથી ઓછા બળવાળા છે? અને કોણ મારાથી વધારે બળવાળા છે? એ બધાને હું જરા જોઇ લઉં.
 
અહીં 'योद्धुकामान्' પદથી અર્જુન કહી રહ્યા છે કે અમે તો સંધિની વાત જ વિચારી હતી, પણ એમણે સંધિની વાત સ્વીકારી નહીં; કેમ કે એમના મનમાં યુદ્ધ કરવાની વધારે ઇચ્છા છે. એટલે એમને હું જોઉ કે કેટલું બળ લઇને તેઓ યુદ્ધ કરવાની ઇચ્છા રાખે છે.

અધ્યાય ૦૧ - શ્લોક ૨૩

મૂળ શ્લોક: 

योत्स्यमानानवेक्षेङहं य एतेङत्र समागताः ।
धार्तराष्ट्रस्य दुर्बुद्धीर्युद्धे प्रियचिकीर्षवः ॥ २३ ॥

શ્લોક ભાવાર્થ: 

દુષ્ટબુદ્ધિ દુર્યોધનનું યુદ્ધમાં પ્રિય કરવાની ઇચ્છાવાળા જે જે રાજાઓ આ સેનામાં આવ્યા છે, તે યુદ્ધ કરવા અધીરા બનેલા બધાને હું જોઇ લઉ.

સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 

'धार्तराष्ट्रस्य [૧] दुर्बुद्धेर्युद्धे प्रियचिकीर्षवः' - અહીં દુર્યોધને દુષ્ટબુદ્ધિવાળો કહીને અર્જુન એમ બતાવવા માગે છે કે આ દુર્યોધને અમારો નાશ કરવા માટે આજ સુધી અનેક પ્રકારનાં ષડયંત્રો રચ્યાં છે. અમને અપમાનિત કરવા અનેકવિધ પ્રવૃત્તિઓ કરી છે. નિયમ પ્રમાણે અને ન્યાયની રીતે અમે અરધા રાજ્યના અધિકારી છીએ, પણ એનેય એ હડપ કરી જવા માગે છે અને આપવા માગતો નથી. એવી તો એની દુષ્ટબુદ્ધિ છે; અને અહીં આવેલા રાજાઓ એનું યુદ્ધમાં પ્રિય કરવા માગે છે ! વાસ્તવમાં તો મિત્રોનું એ કર્તવ્ય છે કે તેઓ એવું કામ કરે, એવી વાત બતાવે, જેથી પોતાના મિત્રનું આ લોકમાં અને પરલોકમાં ભલું થાય. પરંતુ આ રાજાઓ દુર્યોધનની દુષ્ટબુદ્ધિને શુદ્ધ નહિ કરતાં ઊલટી એને વધારવા માગે છે અને દુર્યોધનની દુષ્ટબુદ્ધિને શુદ્ધ નહિ કરતાં ઊલટી એને વધારવા માગે છે અને દુર્યોધનને યુદ્ધ કરાવીને, યુદ્ધમાં એને મદદ કરીને એનું પતન જ કરવા માગે છે. તાત્પર્ય એ છે કે દુર્યોધનનું ભલું કઇ વાતમાં છેલ એને કઇ રીતે રાજ્ય પણ મળશે અને એનો પરલોક પણ કઇ રીતે સુધરશે - આ વાતોનો તેઓ વિચાર જ નથી કરી રહ્યા. જો રાજાઓ એને એવી સલાહ આપત, કે ભાઇ ! ઓછામાં ઓછું અરધું રાજ્ય તમે અને પાંડવોનું અરધું રાજ્ય પાંડવોને આપી દો તો એનાથી દુર્યોધનનું અરધું રાજ્ય પણ રહેત અને એનો પરલોક પણ સુધરત.
 
'योत्स्यमानानवेक्षेङहं च एतेङत्र समागताः' - આ યુદ્ધને માટે ઉતાવળા થનારાઓને જરા જોઇ તો લઉ ! એમણે અધર્મનો અને અન્યાયનો પક્ષ લીધો છે, એટલે એ અમારી સામે ટકી નહિ શકે, નાશ પામશે.
 
'योत्स्यमानान्' - કહેવાનું તાત્પર્ય એ છે કે એમના મનમાં યુદ્ધની તડપ વધારે આવી રહી છે, એટલે જોઉ તો ખરો કે એ છે કોણ?

અધ્યાય ૦૧ - શ્લોક ૨૪-૨૫

મૂળ શ્લોક: 

संजय उवाच
एवमुक्तो हृषीकोशे गुडाकेशेन भारत ।
सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् ॥ २४ ॥
भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षिताम्
उवाच पार्थ पश्यैतान्समवेतान्कुरूनिति ॥ २५ ॥

શ્લોક ભાવાર્થ: 

સંજય બોલ્યા - હે ભરતવંશી રાજન ! નિદ્રાવિજયી અર્જુને આ પ્રમાણે કહ્યું એટલે અંતર્યામી ભગવાન શ્રીકૃષ્ણએ બન્ને સેનાઓના મધ્યભાગમાં પિતામહ ભીષ્મ અને આચાર્ય દ્રોણની સામે તથા સઘળાં રાજાઓની સામે શ્રેષ્ઠ રથને ઊભો રાખીને આ પ્રમાણે કહ્યું કે, 'હે પાર્થ ! આ એકઠા થયેલા કુરુવંશીઓને જો.'

સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 

'गुडाकेशेन' - 'गुडाकेश' શબ્દના બે અર્થ થાય છે. - (૧) 'गुडा' ગોળાકારને કહે છે અને 'केश' વાળને કહે છે. જેના માથાના વાળ ગોળાકાર અર્થાત્ ગુચ્છાદાર છે, એનું નામ 'गुडाकेश' છે, (૨) 'गुडाका' નિદ્રાને કહે છે અને 'ईश' સ્વામીને કહે છે. જે નિદ્રાનો સ્વામી છે અર્થાત્ નિદ્રા લે, ચાહે ન લે - એવો જેનો નિદ્રા ઉપર અધિકાર છે, એનું નામ 'गुडाकेश' છે. અર્જુનના વાળ ગુચ્છાદાર હતા અને નિદ્રા ઉપર એનો કાબૂ હતો; આથી એને 'गुडाकेश' કહ્યો છે.
 
'एवमुक्तः' - જે નિદ્રા-આળસના સુખનો ગુલામ બનતો નથી અને વિષયભોગોનો દાસ બનતો નથી, કેવળ ભગવાનનો જ દાસ (ભક્ત) બને છે, એ ભક્તની વાત ભગવાન સાંભળે છે; માત્ર સાંભળતા જ નથી, એની આજ્ઞાનું પાલન પણ કરે છે. આથી પોતાના મિત્ર ભક્ત અર્જુને આજ્ઞા આપી એટલે ભગવાન શ્રીકૃષ્ણે બન્ને સેનાઓની વચમાં અર્જુનનો રથ ઊભો રાખ્યો.
 
'हृषीकेशः' - ઇંદ્રિયોને 'हृषीक' કહે છે. જે ઇંદ્રિયોનો ઇશ અર્થાત્ સ્વામી છે, એને ઋષિકેશ કહે છે. પહેલાં એકવીસમા શ્લોકમાં અને અહીં 'हृषीकेश' કહેવાનું તાત્પર્ય એ છે કે મન, બુદ્ધિ, ઇંદ્રિયો વગેરે બધાના પ્રેરક છે અને બધાને આજ્ઞા આપનારા છે, એ જ અંતર્યામી ભગવાન અહીં અર્જુનની આજ્ઞાનું પાલન કરનારા બની ગયા છે. આ એમની અર્જુન ઉપર કેટલી કૃપા છે !
 
'सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम्' - બન્ને સેનાઓની વચમાં જ્યાં ખાલી જગા હતી, ત્યાં ભગવાને અર્જુનના શ્રેષ્ઠ રથને ઊભો કર્યો.
 
'भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षिताम्' - એ રથને પણ ભગવાને અદ્ભુત ચતુરાઈથી એવી જગાએ ઊભો રાખ્યો, કે જ્યાંથી અર્જુનને કૌટુંબિક સંબંધવાળા આચાર્ય દ્રોણ અને કૌરવસેનાના મુખ્ય-મુખ્ય રાજાઓ સામે દેખાઈ આવે.
 
'उवाच पार्थ पश्यैतांसमवेतान्कुरूनिति' - 'कुरु' પદમાં ધૃતરાષ્ટ્રના પુત્રો અને પાંડુના પુત્રો - એ બન્ને સમાઇ જાય છે; કેમ કે એ બન્ને કુરુવંશના છે. 'યુદ્ધને માટે એક્ઠા થયેલા આ કુરુના વંશજોને જો' - એવું કહેવાનું તાત્પર્ય એ છે કે કુરુવંશીઓને જોઇને અર્જુનના મનમાં એ ભાવ પેદા થઇ જાય કે અમે બધા એક જ છીએ ને ! આ પક્ષના હોય કે પેલા પક્ષના હોય; ભલા હોય ચાહે બૂરા હોય; સદાચારી હોય ચાહે દુરાચારી હોય; પણ બધા છે તો આપણા જ કુટુંબીઓ. આ કારણે અર્જુનના મનમાં છુપાયેલો કુટુંબની મમતાવાળો મોહ જાગ્રત થઇ જાય અને મોહ જાગ્રત થવાથી અર્જુન જિજ્ઞાસુ બની જાય, જેથી અર્જુનને નિમિત્ત બનાવીને ભાવી કળિયુગના જીવોના કલ્યાણ માટે ગીતાનો મહાન ઉપદેશ આપી શકાય - એ ભાવથી ભગવાને અહીં 'पश्यैतान् समवेतान् कुरून्' કહ્યું છે. નહિતર ભગવાન 'पश्यैतान् धार्तराष्ट्रान् समानिति' - એમ પણ કહી શકત. પરંતુ એવું કહેવાથી અર્જુનના મનમાં યુદ્ધ કરવાનો જુસ્સો આવી જાત, જેથી ગીતાના પ્રાકટ્યનો અવસર જ ન આવત ! અને અર્જુનના મનમાં છુપાયેલો કૌટુંબિક મોહ પણ દૂર ન થાત, જેને દૂર કરવાની ભગવાન પોતાની જવાબદારી માને છે. જેવી રીતે કોઇ ફોલ્લો થાય તો વૈદ્ય પહેલાં એને પકવવાની ચેષ્ટા કરે છે અને જ્યારે એ પાકી જાય, ત્યારે એમાં ચીરો કરીને સાફ કરી કે છે, તેવી જ રીતે ભગવાન ભક્તના મનમાં છુપાયેલા મોહને પ્રથમ જાગ્રત કરીને પછી એને દૂર કરે છે. અહીં પણ ભગવાન અર્જુનના મનમાં છુપાયેલા મોહને 'कुरून् पश्य' કહીને જાગ્રત કરી રહ્યા છે, જેનો આગળ ઉપદેશ આપીને નાશ કરી નાખશે.
 
અર્જુને કહ્યું હતું કે, 'એમને હું જોઇ લઉ' - 'निरीक्षे' (અ. ૧/૨૨), 'अवेक्षे' (અ. ૧/૨૩); આથી અહીં ભગવાને 'पश्य' ('તું જોઇ લે') - એમ કહેવાની જરૂર જ ન હતી. ભગવાને તો ફક્ત રથ ઊભો રાખવાનો હતો. પરંતુ ભગવાને રથ ઊભો રાખીને અર્જુનના મોહને જાગ્રત કરવા માટે જ 'कुरून् पश्य' (આ કુરુના વંશજોને જો) - એમ કહ્યું છે.
 
કૌટુંબિક સ્નેહ અને ભગવત્-પ્રેમ એ બેમાં ઘણો ફેર છે. કુટુંબમાં મમતાવાળો સ્નેહ થઇ જાય છે ત્યારે કુટુંબના અવગુણો તરફ નજર જતી જ નથી; પરંતુ 'આ મારા છે' - એવો ભાવ રહે છે. એવી જ રીતે ભગવાનનો ભક્તમાં ખાસ સ્નેહ થઇ જાય છે ત્યારે ભક્તના અવગુણો તરફ ભગવાનની નજર જતી જ નથી. પરંતુ 'આ મારો જ છે' - એવો ભાવ રહે છે. કૌટુંબિક સ્નેહમાં ક્રિયા તથા પદાર્થ (શરીર વગેરે) નું અને ભતવત્-પ્રેમમાં ભાવનું પ્રાધાન્ય રહે છે. કૌટુંબિક સ્નેહમાં મૂઢતા (મોહ) નું અને ભગતવ્-પેમમાં આત્મીયતાનું પ્રાધાન્ય રહે છે. કૌટુંબિક સ્નેહમાં અંધારું અને ભગવત્-પેમમાં પ્રકાશ રહે છે. કૌટુંબિક સ્નેહમાં મનુષ્ય કર્તવ્યચ્યુત થઇ જાય છે અને ભગવત્-પ્રેમમાં તલ્લીનતાને કારણે કર્તવ્યના પાલનનું વિસ્મરણ તો થઇ શકે છે, પરંતુ ભક્ત કદીય કર્તવ્યચ્યુત નથી થતો. કૌટુંબિક સ્નેહમાં કુટુંબીઓનું અને ભગવત્-પેમમાં ભગવાનનું પ્રાધાન્ય હોય છે.

શ્લોક માહિતી: 

સંબંધ - અર્જુનના આમ કહેવાથી ભગવાને શું કર્યું - એને સંજય આગળના બે શ્લોકોમાં કહે છે.

અધ્યાય ૦૧ - શ્લોક ૨૬

મૂળ શ્લોક: 

तत्रापश्यत्स्थितान्पार्थः पितृनथ पितामहान् ।
आचार्यान्मातुलान्भ्रातृंपुत्रान्सखींस्तथा ॥ २६ ॥
श्चशुरान्सुहृदश्चैव सेनयोरुभयोरपि ।

શ્લોક ભાવાર્થ: 

એ પછી પૃથાનંદન અર્જુને એ બન્નેય સેનાઓમાં ઊભેલા પિતાઓને, પિતામહોને, આચાર્યોને, મામાઓને, ભાઇઓને, પૌત્રોને તથા મિત્રોને, સસરાઓને અને સુહૃદોને પણ જોયા.

સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 

જ્યારે ભગવાને અર્જુનને કહ્યું કે આ રણભૂમિમાં એકઠા થયેલા કુરુવંશીઓને જોમ ત્યારે અર્જુનની દ્રષ્ટિ બન્ને સેનાઓમાં ઊભેલા પોતાના કુટુંબીઓ ઉપર ગઇ. એમણે જોયું કે એ સેનાઓમાં યુદ્ધ માટે પોતપોતાના સ્થાન ઉપર ભૂરિશ્રવા વગેરે પિતાજીના ભાઇ ઊભા છે, જે મારે માટે પિતા સમાન છે. ભીષ્મ, સોમદત્ત વગેરે પિતામહ ઊભા છે. દ્રોણ, કૃપ વગેરે આચાર્યો (વિદ્યા ભણાવનાર અને કુલગુરુ) ઊભા છે. પુરુજિત, કુંતીભોજ, શલ્ય, શકુનિ વગેરે મામાઓ ઊભા છે. ભીમ, દુર્યોધન વગેરે ભાઇઓ ઊભા છે. અભિમન્યુ, ઘટોત્કચ, લક્ષ્મણ (દુર્યોધનનો પુત્ર) વગેરે મારા અને મારા ભાઇઓના પુત્રો ઊભા છે. લક્ષ્મણ વગેરેના પુત્રો ઊભા છે, જેઓ મારા પૌત્રો છે. દુર્યોધનના અશ્વત્થામા વગેરે મિત્રો ઊભા છે. દ્રુપદ, શૈબ્ય વગેરે સસરાઓ ઊભા છે. કોઇ પણ કારણ વગર પોતપોતાના પક્ષનું ભલું ઇચ્છનારા સાત્યકિ, કૃતવર્મા વગેરે સુહ્રદો પણ ઊભા છે.

શ્લોક માહિતી: 

સંબંધ - અગાઉના શ્લોકમાં ભગવાને અર્જુનને કુરુવંશીઓને જોવા માટે કહ્યું. એ પચી શું થયું - એનું વર્ણન સંજય આગળના શ્લોકોમાં કરે છે.

અધ્યાય ૦૧ - શ્લોક ૨૭

મૂળ શ્લોક: 

तान्समीक्ष्य स कौन्तेयः सर्वान्बन्धूनवस्थितात् ॥ २७ ॥
कृपया परयाविष्टो विषीदन्निदमब्रवीत् ।

શ્લોક ભાવાર્થ: 

પોતપોતાની જગા ઉપર ઊભા રહેલા તે સઘળાં બાંધવોને જોઇને એ કુંતીનંદન અર્જુન અત્યંત કાયરતાથી યુક્ત થઇને વિષાદ કરતા આ વચનો બોલ્યા.

સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 

'तान् सर्वान्बन्धूनवस्थितान् समीक्ष्य' - અગાઉના શ્લોકમાં કહ્યા મુજબ અર્જુને જેઓને જોયા છે, તેઓના ઉપરાંત અર્જુને બાહ્લીક વગેરે પ્રપિતામહ; ધૃષ્ટદ્યુમ્ન, શિખંડી, સુરથ વગેરે સાળાઓ; જયદ્રથ વગેરે બનેવી તથા બીજા કેટલાય સંબંધીઓને બન્ને સેનાઓમાં ઊભેલા જોયા.
 
'स कौन्तेयः कृपया परयाविष्टः' - આ પદોમાં 'स कौन्तेयः' કહેવાનું તાત્પર્ય એ છે કે - માતા કુંતીએ જેમને યુદ્ધ કરવા માટે સંદેશો મોકલ્યો હતો અને જેમણે શૂરાતનમાં આવી જઇને, 'મારી સામે હાથ ઉગામનારા કોણ છે?' એવું કહેનારો અને જેણે મુખ્યમુખ્ય યોદ્ધાઓને જોવા માટે ભગવાન શ્રીકૃષ્ણને બન્ને સેનાઓ વચ્ચે પોતાનો રથ ઊભો રાખવાની આજ્ઞા કરી હતી, એ જ કુંતીપુત્ર અર્જુન અત્યંત કાયરતાવાળો બની જાય છે !
 
બન્નેય સેનાઓમાં જન્મ અને વિદ્યાના સંબંધીઓ ને સંબંધીઓ જ જોવાથી અર્જુનના મનમાં એ વિચાર આવ્યો કે, 'યુદ્ધમાં આ પક્ષના લોકો મરે કે પેલા પક્ષના લોકો મરે. નુકસાન તો અમારું જ થશે, કુળ તો અમારું જ નાશ પામશે, સંબંધીઓ તો અમારા જ હણાશે.' આવો વિચાર આવવાથી અર્જુનની યુદ્ધની ઇચ્છા તો દૂર થઇ ગઇ અને હૈયામાં કાયરતા આવી ગઇ. એ કાયરતાને ભગવાને આગળ (અ. ૨/૨-૩) 'कश्मलम्' તથા 'हृदयदौर्बल्यम्' કહી છે અને અર્જુને (અ. ૨/૭માં) 'कार्यण्यदोषोपहतस्वभावः' કહીને એનો સ્વીકાર પણ કર્યો છે.  
 
અર્જુન કાયરતાને વશ બન્યો છે - 'कृपयाविष्टः' આથી સિદ્ધ થાય છે કે આ કાયરતા પહેલાં ન હતી, પરંતુ હમણાં આવી છે. આથી એ આગંતુક દોષો છે. આગંતુક હોવાથી એ કાયરતા ટકશે નહિ, પરંતુ શૂરવીરતા અર્જુનમાં સ્વાભાવિક છે; આથી એ તો રહેશે જ.
 
અત્યંત કાયરતા કોને કહેવાય? વિના કોઇ કારણે નિંદા, તિરસ્કાર અને અપમાન કરનારા, દુઃખ આપનારા, વેરભાવ રાખનારા, નાશ કરવાનો પ્રયત્ન કરનારા; દુર્યોધન, દુઃશાસન, શકુનિ વગેરેને પોતાની સામે યુદ્ધ કરવા માટે ઊભેલા જોઇને પણ એમને મારવાનો વિચાર ન થવો, એમના નાશ માટે પ્રવૃત્તિ ન કરવી - એ અત્યંત કાયરતા રૂપ દોષ છે. અહીં અર્જુનને કાયરતા રૂપી દોષે એવો ઘેરી લીધો છે કે જે અર્જુન વગેરેનું અનિષ્ટ ઇચ્છનારા અને વખતોવખત અનિષ્ટ કરવાનો પ્રયત્ન કરનારા છે, એ અધર્મીઓ-પાપીઓ ઉપર પણ અર્જુનને દયા આવી રહી છે. (ગીતા અ. ૧/૩૫,૪૬) અને એ ક્ષત્રિયના કર્તવ્ય રૂપી પોતાના ધર્મથી વંચિત થઇ રહ્યા છે.
 
'विषीदन्निदमब्रवीत्' - યુદ્ધને પરિણામે કુટુંબની કુળની અને દેશની કેવી હાલત થશે - એના વિચારથી અર્જુન ઘણા જ દુઃખી થઇ રહ્યા છે અને એ અવસ્થામાં તેઓ જે વચનો કહે છે; તેનું વર્ણન આગળના શ્લોકમાં કરવામાં આવ્યું છે.

શ્લોક માહિતી: 

સંબંધ - પોતાના બધા કુટુંબીઓને જોયા પછી અર્જુને શું કર્યું - એને આગળના ચાર શ્લોકોમાં કહે છે.

અધ્યાય ૦૧ - શ્લોક ૨૮-૩૦

મૂળ શ્લોક: 

अर्जुन उवाच
दृष्ट्वेमं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितम् ॥ २८ ॥
सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति ।
वेपथुश्च शरीरे में रोमहर्षश्च जायते ॥ २९ ॥
गाण्डीवं स्रंसते हस्तात्त्वक्चैव परिदह्यते ।
न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च में मनः ॥ ३० ॥

શ્લોક ભાવાર્થ: 

અર્જુન બોલ્યા - હે કૃષ્ણ ! યુદ્ધની ઇચ્છાવાળા આ કુટુંબસમુદાયને સામે ઊભેલા જોઇને મારા ગાત્રો ઢીલા થઇ રહ્યાં છે અને મોઢું સૂકાઈ રહ્યું છે અને રુવાંટાં ઊભાં થઇ રહ્યાં છે. હાથમાંથી ગાંડીવ ધનુષ્ય સરકી રહ્યું છે અને ચામડી પણ બળી રહી છે. મારું મન જાણે ભમે છે અને હું ઊભો રહેવા પણ અસમર્થ થઇ રહ્યો છું.

સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 

'दृष्ट्वेमं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितम्' - અર્જુનને 'कृष्ण' નામ ઘણું જ પ્રિય હતું. આ સંબોધન ગીતામાં નવ વખત આવ્યું છે. ભગવાન કૃષ્ણને માટે બીજું કોઇ સંબોધન એટલી વાર આવ્યું નથી. એવી જ રીતે ભગવાનને અર્જુનનું 'पार्थ' નામ ઘણું પ્રિય હતું. એટલે ભગવાન અને અર્જુન પરસ્પરની વાતચીતમાં એ નામો લેતા હતા અને એ વાત લોકોમાં પણ પ્રસિદ્ધ હતી. આ દ્રષ્ટિએ સંજયે ગીતાના અંતે 'कृष्ण' અને 'पार्थ' નામનો ઉલ્લેખ કર્યો છે - 'यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः' (અ. ૧૮/૭૮).
 
ધૃતરાષ્ટ્ર પહેલાં 'समवेता युयुत्सवः' કહ્યું હતું અને અહીં અર્જુને પણ 'युयुत्सुं समुपस्थितम्' કહ્યું છે. પરંતુ બન્નેની દ્રષ્ટિમાં ઘણો ફેર છે. ધૃતરાષ્ટ્રની દ્રષ્ટિમાં તો દુર્યોધન વગેરે મારા પુત્રો છે અને યુધિષ્ઠિર વગેરે પાંડુના પુત્રો છે - એવો ભેદ છે; એટલે ધૃતરાષ્ટ્રે ત્યાં 'मामकाः' અને 'पाण्डवाः' કહ્યું છે. પરંતુ અર્જુનની દ્રષ્ટિમાં એ ભેદભાવ નથી; આથી અર્જુને અહીં 'स्वजनम्' કહ્યું છે, જેમાં બન્ને પક્ષોના લોકો આવી જાય છે. તાત્પર્ય એ છે કે ધૃતરાષ્ટ્રને તો યુદ્ધમાં પોતાના પુત્રોના મરવાની આશંકાથી ભય છે, શોક છે; પરંતુ અર્જુનને બન્ને તરફના કુટુંબીઓના મરવાની આશંકાથી શોક થઇ રહ્યો છે, કે કોઇ પણ તરફના કોઇ પણ મરે પણ એ અંતે છે તો અમારા જ કુટુંબી.
 
અત્યાર સુધી 'दृष्ट्वा' પદ ત્રણ વાર આવ્યું છે. 'दृष्ट्वा तु पाण्डवानीकम्' (અ. ૧/૨), 'व्यवस्थितान्दृष्ट्वा धार्तराष्ट्रान्' (અ. ૧/૨૦), 'दृष्ट्वेमं स्वजनम्' (અ. ૧/૨૮). આ ત્રણેનું તાત્પર્ય એ છે કે દુર્યોધનનું જોવું તો એક જ જાતનું રહ્યું અર્થાત્ દુર્યોધનનો તો યુદ્ધનો જ એક ભાવ રહ્યો; પરંતુ અર્જુનનું જોવાનું બે પ્રકારનું હતું. પહેલાં તો અર્જુન ધૃતરાષ્ટ્રના પુત્રોને જોઇને શૂરાતનમાં આવી જઇને યુદ્ધ માટે ધનુષ્ય ઉઠાવીને ઊભા થઇ જાય છે અને હવે સ્વજનોને જોઇને કાયરતાને વશ થઇ રહ્યા છે, યુદ્ધથી ઉપરત થઇ રહ્યા છે અને એમના હાથમાંથી ધનુષ્ય સરકી રહ્યું છે.
 
'सीदन्ति मम गात्राणि ... भ्रमतीव च मे मनः' - અર્જુનના મનમાં યુદ્ધના ભાવિ પરિણામના વિચારથી ચિંતા થઇ રહી છે, દુઃખ થઇ રહ્યું છે. એ ચિંતા અને દુઃખની અસર અર્જુનના આખા શરીર ઉપર પડી રહી છે. એ અસરને અર્જુન સ્પષ્ટ શબ્દોમાં કહી રહ્યા છે, કે મારા શરીરનાં હાથ, પગ, મોઢું વગેરે એકેએક અંગ (અવયવ) શિથિલ થઇ રહ્યા છે. મોઢું સૂકાઈ રહ્યું છે, જેથી બોલવાનું પણ મુશ્કેલ બની રહ્યું છે ! આખું શરીર થરથર કંપી રહ્યું છે ! શરીરનાં બધાં જ રુવાંટાં ઊભા થઇ રહ્યા છે અર્થાત્ સમગ્ર શરીરમાં રોમાંચ થઇ રહ્યો છે ! જે ગાંડીવ ધનુષ્યની પણછના ટંકારથી શત્રુઓ ભયભીત થઇ જાય છે, તે જ ગાંડીવ ધનુષ્ય આજે મારા હાથમાંથી સરકી રહ્યું છે. ત્વચામાં - આખા શરીરમાં બળતરા થઇ રહી છે. [૧] મારું મન ભમી રહ્યું છે અર્થાત્ મારે શું કરવું જોઇએ - એ પણ સૂઝતું નથી ! અહીં રણભૂમિમાં રથ ઉપર ઊભો રહેવામાં પણ હું અસમર્થ બની રહ્યો છું. એવું લાગે છે કે હું મૂર્ચ્છામાં આવીને ગબડી પડીશ ! આવા અનર્થ કરનારા યુદ્ધમાં ઊભા રહેવું એ પણ જાણે એક પાપ હોય એમ જણાઈ રહ્યું છે.
 


[૧] - चिन्ता चितासमा ह्युक्ता बिन्दुमात्रं विशेषतः । सजीवं दहते चिन्ता निर्जीवं दहते चिता ॥ - ચિંતાને ચિતા સમાન કહી છે, તેમાં માત્ર એક જ બિંદુ વધારે છે. ચિંતા જીવતા પુરુષને બાળે છે અને ચિતા મરેલા પુરુષને બાળે છે.

અધ્યાય ૦૧ - શ્લોક ૩૧

મૂળ શ્લોક: 

निमित्तानि च पश्यामि विपरीतानि केशव । न अच श्रेयोऽनुपश्यामि हत्वा स्वनजमाहवे ॥ ३१ ॥

શ્લોક ભાવાર્થ: 

હે કેશવ ! હું લક્ષણો - શકુનોને પણ વિપરીત જોઇ રહ્યો છું અને યુદ્ધમાં સ્વજનોને મારીને શ્રેય (લાભ) પણ નથી જોઇ રહ્યો.

સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 

'निमित्तानि च पश्यामि विपरीतानि केशव' - હે કેશવ ! હું શકુનોને [૧] પણ વિપરીત જ જોઇ રહ્યો છું. તાત્પર્ય એ છે કે કોઇ પણ કાર્યની શરૂઆતમાં મનમાં જેટલો વધારે ઉત્સાહ (હર્ષ) હોય છે, એ ઉત્સાહ તે કાર્યને એટલું જ સિદ્ધ કરનારો બને છે. પરંતુ કાર્યના આરંભમાં જ જો ઉત્સાહભંગ થઇ જવાય છે, મનમાં અયોગ્ય સંકલ્પવિકલ્પ ઊઠતા રહે છે, તો એ કાર્યનું પરિણામ સારું નથી આવતું. એ જ ભાવથી અર્જુન કહી રહ્યા છે કે અત્યારે મારા શરીરમાં અવયવો ઢીલા પડવા, ધ્રુજારી આવવી, મોઢું સુકાવું વગેરે જે લક્ષણો દેખાઈ રહ્યાં છે, તે વ્યક્તિગત શકુનો પણ યોગ્ય થઇ રહ્યા નથી. [૨] એ સિવાય આકાશમાંથી ઉલ્કાપાત થવો, કસમયે ગ્રહણ થવું, ધરતીકંપ થવો, પશુપક્ષીઓ દ્વારા ભયંકર બોલી બોલાવી, ચંદ્રમાના કાળા ધાબાં ન દેખાવાં, વાદળોમાંથી લોહીનો વરસાદ પડવો વગેરે જે શકુનો અગાઉ થયા છે, તે પણ બરાબર થયા નથી. આ રીતે હાલના અને અગાઉના એ બન્નેય શ્કુનો તરફ નજર નાખું છું, તો મને એ બન્નેય શકુનો વિપરીત અર્થાત્ ભાવિ અનિષ્ટના જ સૂચક જણાય છે.

'न च श्रेयोऽनुपश्यामि हत्वा स्वजनमाहवे' - યુદ્ધમાં પોતાના કુટુંબીઓને મારવાથી અમને કોઇ લાભ થશે - એવી વાત પણ નથી. આ યુદ્ધના ફળસ્વરૂપે અમારે માટે આ લોક અને પરલોક - બન્નેય ભલું કરનારા બને એમ જણાતું નથી. કારણ કે જે પોતાના કુળનો નાશ કરે છે, તે અત્યંત પાપી હોય છે. આથી કુળનો નાશ કરવાથી અમને પાપ જ લાગશે, જેને પરિણામે અમારે નરકમાં જવું પડશે.

આ શ્લોકમાં 'निमित्तनि पश्यामि' - અને 'श्रेयः अनुपश्यामि' [૩] - આ બે વાક્યોથી અર્જુન એ કહેવા માગે છે કે હું શકુનો જોઉ અથવા જાતે વિચાર કરું, બન્નેય રીતે યુદ્ધનો આરંભ અને તેનું પરિણામ અમારે માટે તેમ જ સંસારમાત્રને માટે હિતકારક નથી જણાતું.


[૧] - જેટલા પણ શકુનો થાય છે, તે કોઇ સારી કે ખરાબ ઘટના બનવામાં નિમિત્ત થતા નથી અર્થાત્ એ કોઇ ઘટનાના નિર્માતા નથી હોતા, પરંતુ ભાવિ ઘટનાના સંકેતો આપનારા હોય છે. શકુન બતાવવાવાળાં પ્રાણી વાસ્તવમાં શકુનોને બતાવતાં નથી; પરંતુ એમની સ્વાભાવિક ચેષ્ટાથી શકુનો સૂચિત થાય છે.

[૨] - જોકે અર્જુન શરીરમાં થનારા લક્ષણોને પણ શકુન માની રહ્યા છે, તેમ છતાં વાસ્તવમાં એ શકુનો નથી. એ તો શોકને કારણે ઇંદ્રિયો, શરીર, મન અને બુદ્ધિમાં થનાર વિકારો છે.

[૩]  - અહીં 'पश्यामि' ક્રિયા ભૂતકાળના અને વર્તમાનકાળના શકુનોની બાબતમાં અને 'अनुपश्यामि' ક્રિયા ભવિષ્યના પરિણામની બાબતમાં આવી છે.

શ્લોક માહિતી: 

સંબંધ - અગાઉના શ્લોકમાં પોતાના શરીરના શોકથી ઉત્પન્ન થયેલા આઠ ચિન્હોનું વર્ણન કરીને હવે અર્જુન ભાવિ પરિણામને દર્શાવનારા શકુનોની દ્રષ્ટિએ યુદ્ધ કરવું એ અયોગ્ય છે એમ દર્શાવે છે.

અધ્યાય ૦૧ - શ્લોક ૩૨

મૂળ શ્લોક: 

न काङ्क्षे विजयं न च राज्यं सुखानि च ।
किं नौ राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा ॥ ३२ ॥

શ્લોક ભાવાર્થ: 

હે કૃષ્ણ ! હું વિજય ઇચ્છતો નથી, રાજ્ય ઇચ્છતો નથી અને સુખને પણ ઇચ્છતો નથી. હે ગોવિન્દ ! અમને રાજ્યથી શું લાભ? ભોગોથી શું લાભ? અથવા જીવવાથી પણ શું લાભ?

સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 

'न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च' - માની લો કે યુદ્ધમાં અમારો વિજય થઇ જાય, તો વિજય થવાથી સમગ્ર પૃથ્વી ઉપર અમારું રાજ્ય થઇ થશે, અધિકાર થઇ જશે. પૃથ્વીનું રાજ્ય મળવાથી અમને અનેક જાતનાં સુખ મળશે. પરંતુ એ પૈકી હું કશું જ ઇચ્છતો નથી અર્થાત્ મારા મનમાં વિજય, રાજ્ય કે સુખની કામના નથી.
'किं नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा' - જ્યારે અમારા મનમાં કોઇ પ્રકારની (વિજય રાજ્ય અને સુખની) કામના જ નથી, તો પછી ગમે તેટલુંય મોટું રાજ્ય કેમ ન મળી જાય, પણ તેમનાથી અમને શું લાભ? ગમે તેટલાંયે સુંદર-સુંદર ભોગો મળી જાય પરંતુ તેનાથી અમને શું લાભ? અથવા કુટુંબીઓને મારીને અમે રાજ્યનું સુખ ભોગવતા ગમે તેટલાંયે વર્ષો સુધી જીવતા રહીએ, તો પણ એનાથી અમને શું લાભ? તાત્પર્ય એ છે કે એ વિજય, રાજ્ય અને ભોગ ત્યારે જ સુખ આપી શકે છે, કે જ્યારે મનમાં એની કામના હોય, એ પ્રિય લાગતું હોય અને એનું મહત્વ હોય. પરંતુ અમારા મનમાં તો એમની કામના જ નથી. આથી એ અમને શું સુખ આપી શકે? આ કુટુંબીઓને મારીને અમારી જીવવાની પણ ઇચ્છા નથી; કેમ કે જ્યારે અમારા કુટુંબીઓ મરી જશે ત્યારે એ રાજ્ય અને ભોગ કોના કામમાં આવશે? રાજ્ય, ભોગ વગેરે તો કુટુંબને માટે હોય છે, પણ જ્યારે એ જ મરી જશે, તો એમને કોણ ભોગવશે? ભોગવવાની વાત તો દૂર રહી, ઊલટું અમને વધારે ચિંતા થશે, શોક થશે !

શ્લોક માહિતી: 

સંબંધ - જેમાં શુભ શકુન દેખાતા નથી અને શ્રેય પણ દેખાતું નથી, એવો અનિષ્ટ કરનારો વિજય મેળવવાની અનિચ્છા અર્જુન આગળના શ્લોકમાં પ્રગટ કરે છે.

અધ્યાય ૦૧ - શ્લોક ૩૩

મૂળ શ્લોક: 

येषामर्थे काङिक्षतं नो राज्यं भोगाः सुखानि च ।
त इमेऽवस्थिता युद्धे प्राणांस्त्यक्त्वा धनानि च ॥ ३३ ॥

શ્લોક ભાવાર્થ: 

જેમના માટે અમારી રાજ્ય, ભોગ અને સુખની ઇચ્છા છે, એ જ આ બધા પોતાના પ્રાણોની અને ધનની આશાને ત્યજીને યુદ્ધમાં ઊભા છે.

સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 

'येषामर्थे काङिक्षतं नो राज्यं भोगाः सुखानि च' - અમે રાજ્ય, સુખ, ભોગ વગેરે જે કંઇ ઇચ્છીએ છીએ, એમને પોતાના વ્યક્તિગત સુખને માટે ઇચ્છતા નથી, પરંતુ આ કુટુંબીઓ, પ્રેમીઓ, મિત્રો વગેરેને માટે જ ઇચ્છીએ છીએ. આચાર્યો, પિતાઓ, પિતામહો, પુત્રો વગેરેને સુખ અને આરામ પહોંચે, એમની સેવા થઇ શકે, એ પ્રસન્ન રહે - એને માટે જ અમે યુદ્ધ કરીને રાજ્ય લેવા ઇચ્છીએ છીએ, ભોગ-સામગ્રી એકઠી કરવા માગીએ છીએ.
 
'त इमेऽवस्थिता युद्धे प्राणांस्त्यक्त्वा धनानि च' - પરંતુ એ જ આ સઘળેસઘળા પોતાના પ્રાણોની અને ધનની આશા ત્યજીને યુદ્ધ કરવા માટે અમારી સમક્ષ રણભૂમિમાં ઊભા છે. એમણે એવો વિચાર કરી દીધો છે કે નથી અમને પ્રાણોનો મોહ કે નથી ધનની તૃષ્ણા; અમે બેશક મરી જઇએ, પણ યુદ્ધમાંથી હઠીશું નહિ. જો આ બધા મરી જ જાય, તો પછી અમારે રાજ્ય કોના માટે જોઇએ? સુખ કોના માટે જોઇએ? ધન કોના માટે જોઇએ? અર્થાત્ આ બધાની ઇચ્છા અમે કોના માટે કરીએ?
 
'प्राणांस्त्यक्त्वा धनानि च' નું તાત્પર્ય એ છે કે તો પ્રાણોની અને ધનની આશાને છોડીને ઊભા છે અર્થાત્ અમે જીવતા રહીશું અને અમને ધન મળશે - એવી ઇચ્છાને છોડીને તેઓ ઊભા છે. જો એમને પ્રાણોની અને ધનની ઇચ્છા હોત, તો તેઓ મરવા માટે યુદ્ધમાં કેમ ઊભા રહેત? આથી અહીં પ્રાણ અને ધનનો ત્યાગ કરવાનું તાત્પર્ય એમની આશાનો ત્યાગ કરવામાં જ છે.

શ્લોક માહિતી: 

સંબંધ - અર્જુન વિજય વગેરે કેમ ઇચ્છતા નથી; એનું કારણ આગળના શ્લોકમાં બતાવે છે.